શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ તાપીની ટીમે ડોલવણ-કરંજખેડ અને વાલોડના બુહારી ગ્રામ પંચાયતની મુલાકાત લીધી:
ઘન કચરા વ્યવસ્થાપન અંગે ગ્રામ પંચાયતોની મુલાકાત લઈ તાલુકાના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું:
વ્યારા-તાપી: સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણના જિલ્લા કો-ઓર્ડિનેટર નિતિનભાઈ ગામીત, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ ધર્મેન્દ્રભાઈ પારેખે ડોલવણ-કરંજખેડ અને વાલોડ તાલુકાના બુહારી ગ્રામ પંચાયતના સરપંચ-તલાટીશ્રી સાથે ઘન કચરા વ્યવસ્થાપન અને સ્વચ્છતાના મુદ્દાઓ અંગે ગામના સરપંચ અને તલાટી-કમ-મંત્રીશ્રીઓ સાથે બેઠક કરી હતી.
બેઠકમાં જિલ્લા કો-ઓર્ડિનેટર જણાવ્યું કે, ઘરે-ઘરથી ગ્રામજનો સૂકો અને ભીનો કચરો છૂટો પાડીને કચરો એકત્ર કરનાર ટીમને આપે તેવી વ્યવસ્થા ગોઠવવી, કચરો એકત્ર કરનાર ટીમ કચરાને સેગ્રીગેશન શેડ પર લાવે અને કચરાનું વ્યવસ્થિત રીતે વર્ગીકરણ કરી વ્યારા નગરપાલિકાની ડેબ્રિસોલ્વ પ્રા. લિ. સાથે થયેલ કરાર મુજબ પ્લાસ્ટિક કચરાનું વૈજ્ઞાનિક ઢબે નિકાલમાં આવે. આ ઉપરાંત ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અંગે લારી-ગલ્લા તેમજ દુકાનદારો સાથે બેઠકનું આયોજન કરવા અંગે સૂચનો કર્યા હતા. વધુમાં દુકાનદારો પોતે પ્લાસ્ટિક બેગને ખરીદવાનું બંધ કરી કાપડની થેલીનો ઉપયોગ કરશે તો ગામના લોકોમાં પણ કાપડની થેલીનો ઉપયોગની આદત બની જશે તે ઉદેશ્યથી તેઓને જાગૃત કરવા જણાવ્યું હતું.
વધુમાં વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃતિઓ દ્વારા ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા અંગે જાગૃત કરવા અંગે આઇ.ઇ.સી કન્સલ્ટન્ટ રોશન સાવંતે પણ સ્વચ્છ ભારત મિશનની તાલુકાની ટીમને માર્ગદર્શક સૂચનો કર્યા હતા.