શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
– વિશ્વના અનેક દેશોમાં લોકશાહી સામે પ્રશ્નાર્થ છે, ત્યારે ભારતની લોકશાહી મજબૂત અને અખંડ :-રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ:
રાજપીપલા: સરદાર વલ્લભાઇ પટેલની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંનિધ્યમાં યોજાઇ રહેલી બે દિવસીય ૮૦મી અખિલ ભારતીય પીઠાસીન અધિકારીઓની પરિષદનો આજે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે પ્રારંભ કરાવ્યો છે. લોકકલ્યાણના શુભાશયથી દેશનું સંચાલન કરતા ત્રણ મુખ્ય બંધારણીય આધારસ્તંભો સંસદ, ન્યાયતંત્ર અને પ્રશાસન બાબતે સમુદ્રમંથન કરવાનો કેવડિયા ખાતે પ્રારંભ થયો છે. આ પરિષદમાં તમામ રાજ્યોના વિધાનસભા-વિધાનપરિષદના અધ્યક્ષો અને અધિકારીઓ ભાગ લઇ રહ્યા છે.
રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનું ઉદબોધન:-
વિશ્વના અનેક દેશોમાં લોકશાહી સામે સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે ભારતની લોકશાહી અખંડ અને મજબૂત છે. ભારત એ લોકશાહીનું જનક છે.સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં આજનો દિવસ ગૌરવપૂર્ણ છે. સરદાર સાહેબની પ્રતિમાને statue of unity નો દરજ્જો ઉચિત છે. આ આપણા માટે પ્રસન્નતા અને ગૌરવની ઘટના છે, કારણ આપણે સૌ સરદારની સૌથી ઊંચી પ્રતિમાના સાનિધ્યમાં છીએ. એક સમયે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી હતું અને આજે સ્ટેચ્યુ ઑફ યુનિટી સૌથી ઉંચી પ્રતિમા છે.
આજે દેવઉઠી એકાદશી છે, આ દૈવી સંયોગ છે કે, આજથી માંગલિક કર્યો શરૂ થયા છે. આ કાર્ય પણ. આ ઐતિહાસિક કાર્યક્રમમાં સંમિલિત થવાની મને ખુશી છે.
સંવિધાન દિવસનું આપણા માટે વિશેષ મહત્વ છે. શ્રી વિઠ્ઠલભાઈ પટેલ કેન્દ્રીય વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ રહ્યા. જે સરદારના મોટાભાઈ અને ગુજરાતના હતા. શ્રી ગણેશ વાસુદેવ માવલંકર લોકસભાના પહેલા સ્પીકર બન્યા. યોગાનુયોગ તેઓ પણ ગુજરાતમાં જન્મ્યા હતા. ભારતમાં લોકતંત્રના પાયા મજબૂત છે. આપના પ્રાચીન ગ્રંથોમાં ગણતંત્રનો ઉલ્લેખ છે. બિહારના પ્રાચીન ગણરાજ્ય વૈશાલી કપિલવસ્તુનો ઉલ્લેખ છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોની અપેક્ષા લોકપ્રતિનિધિઓ પાસેથી વધી છે. માધ્યમોના આ ગતિશીલ યુગમાં સંસદ, વિધાનસભાની કામગીરીનું જીવંત પ્રસારણ કરાય છે. આવા સમયમાં જનપ્રતિનિધિઓ સંસદીય પ્રણાલિકાનું પાલન કરે તેવું પ્રજા ઈચ્છે છે. આ વ્યવસ્થામાં વાદને વિવાદ ન બનાવતા સંવાદથી સમાધાન કરે. શિષ્ટ સંવાદથી લોક સમસ્યાનું નિરાકરણ લાવી કામ કરે. નિષ્પક્ષ કામગીરી અતિ આવશ્યક છે.
એક ગોવાળનું ઉદાહરણ આપી નિષ્પક્ષ ન્યાયની અને કામગીરીની ચર્ચા કરી તેમણે રાજા વિક્રમાદિત્યના ઉદાહરણથી સૌ નિષ્પક્ષતાથી વર્તન કરે તેમ જણાવ્યું હતું. તેમણે નિષ્પક્ષ અને નિર્ણાયક કાર્ય કરવા ઉપર ભાર મૂક્યો. સશક્ત લોકતંત્ર આ સંમેલનનો ઉદ્દેશ હોવો જોઈએ. ગરીબ, દલિત, પીડિત માટે કાર્ય થાય. તેમણે કહ્યું કે, આ માટે ઘોષણાપત્ર રજૂ થાય તે જરૂરી છે.
રાષ્ટ્રપતિશ્રીએ શ્રી અહેમદ પટેલના દુઃખદ નિધન બદલ તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.