![](https://gramintoday.com/wp-content/uploads/2023/06/ba2c653c-15e6-415a-9e9e-e9a02d2ab554-780x470.jpg)
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
મણિપુર રાજ્યમાં આદિવાસી ખ્રિસ્તી સમુદાય પર થઈ રહેલ હિંસાને અટકાવવા ડાંગ કલેક્ટર વતી રાષ્ટ્રપતી મહોદયને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું:
ડાંગ : આજરોજ ડાંગ જિલ્લાના ખ્રિસ્તી સમુદાયના પાળકો, ફાધર, આગેવાનોએ મણિપુર રાજ્યમાં આદિવાસી ખ્રિસ્તી સમુદાય પર થઈ રહેલ અત્યાચાર ને અટકાવવા માટે ડાંગ જિલ્લા કલેક્ટર મારફત રાષ્ટ્રપતિ ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.
તાજેતરના દિવસોમાં મણિપુર રાજ્યમાં કુકી અને મીતેઈ આદિવાસીઓ વચ્ચે હિંસા અથડામણો થઈ રહેલ છે. જેમાં ખાસ કરીને ખ્રિસ્તી ધર્મ પાળતી કુકી આદિજાતિ સાથે ઘણી હિંસા અને સતાવણી થઈ છે. છેલ્લા કેટલાક દિવસોમાં થયેલી હિંસાને કારણે હજારો સ્થાનિક (કુકી) સ્થળાંતર કરી ગયા છે. તેઓએ તેમના ઘર અને જમીન ગુમાવી દીધી છે. તેઓએ તેમના વતન – શહેરની બહાર કામચલાઉ આશ્રય લીધો છે. મણીપુરમાં 200 થી વધુ ચર્ચ સળગાવી દેવામાં આવ્યા છે, લગભગ 100 લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજારો લોકો ઘાયલ થયા છે. જાણે કે દેશમાં કોઈ કાયદાકાનૂન જ નં હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. મણિપુરમાં અત્યાચાર નો ભોગ બનેલ લોકો માટે સમસ્ત ખ્રીસ્તી સમાજ ભારત દ્વારા નીચે મુજબની માંગણી કરવામાં આવી છે:
(1). મણિપુરમાં વસતા ખ્રિસ્તી આદિવાસી લઘુમતી સમુદાય પર થઈ રહેલ દુષ્કર્મ બંધ થવાં જોઈએ,
(2). ઘણા કિસ્સાઓમાં પીડિતોને આરોપી બનાવવામાં આવે છે. તેમના પર ખોટી રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જેલમાં ધકેલી દેવામાં આવે છે જે બંધ થવું જોઈએ.
(3). મણિપુરમાં તાત્કાલિક શાંતિની પુનઃસ્થાપના અને તમામ આદિવાસીઓ અને ખ્રિસ્તીઓ કે જેઓ તેમની જમીનો અને ઘર મિલકતો ગુમાવી છે તેમને તાત્કાલિક સરકાર દ્વારા સહાય આપવી જોઈએ.
મણિપુર ના આદિવાસી ખ્રિસ્તી સમુદાય પર થઈ રહેલ અત્યાચાર ખૂબજ નિંદનીય હોય તેને અટકાવવા નિચે મુજબનાં અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં સમાજના અગ્રણીઓ જેમકે પા. ઓગસ્ટીન રજવાડે, પા. ચંદરભાઈ ગીરજલી, નાનુભાઈ લાખન, જીવલ્યાભાઈ બાગુલ, શૈલેષભાઇ ચૌધરી, સોમનાથભાઈ આહિર, રમણભાઈ ચૌધરી, દામુભાઈ ગાઈન, ધેડુભાઇ વગેરે મોટી સંખ્યામાં પાળકો, આગેવાનો ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.