![](https://gramintoday.com/wp-content/uploads/2022/03/IMG-20220322-WA0139-780x470.jpg)
શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ડોલવણ તાલુકાને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી આધારિત તાલુકો બનાવવાની કવાયત શરૂ:
જિલ્લા પંચાયતના વિવિધ વિભાગો દ્વારા તાલીમ, માર્ગદર્શન અને સહાય આપી ખેડૂતોને આ ઝૂંબેશમાં સાંકળી લેવાશે:
વ્યારા-તાપી: તાપી જિલ્લાએ પોતે એક ચેલેન્જ ઉપાડી છે. જેમાં જિલ્લામાં સૌ પ્રથમ ડોલવણ તાલુકાને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતો તાલુકો બનાવવાની નેમ લીધી છે. આ ધ્યેય પ્રાપ્ત કરવા ડોલવણ તાલુકાના ખેડૂતો ઉપર વિશ્વાસ રાખી જિલ્લા પંચાયતના વિવિધ વિભાગો દ્વારા તાલીમ, માર્ગદર્શન અને સહાય આપી ખેડૂતો સાથે આગળ ધપી રહ્યા છે. જેમાં જાન્યુઆરી માસમાં તાપી જિલ્લાના વ્યારા સ્થિત કૃષિ વિજ્ઞાન કેંદ્ર ખાતે પ્રાકૃતિક ખેતી માટે ડોલવણના માસ્ટર ટ્રેનરોને તાલીમ આપવામાં આવી હતી. તાલીમ બાદ દરેક ગામમાં ઓછામાં ઓછા ૩ માસ્ટર ટ્રેનર તૈયાર કરવામાં આવ્યા જેઓને પોતાના ગામના અન્ય ખેડૂતોને આ અંગે માર્ગદર્શન આપી પ્રાકૃતિક ખેતીમાં જોડાવા સમજ આપવામા આવી હતી. એક ઝુંબેશ રૂપે સંપૂર્ણ ડોલવણ તાલુકાના ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતીમાં જોડાવાનું આયોજન જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય આજીવિકા મિશન અંતર્ગત કાર્યરત સ્વ સહાય જુથોને પ્રાકૃતિક ખેતી સાથે સાંકળવા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં એક્ટીવ સ્વ-સહાય જુથોને પણ પ્રાકૃતિક ખેતી માટે પસંદ કરવામાં આવ્યા હતા.
આ ઝુંબેશમાં તાલીમના ભાગરૂપે આજથી ગ્રામ્ય કક્ષાએ સ્થળ તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ડોલવણના ૧૨ ગામોના ૫૭ સ્વ-સહાય જુથના ૧૮૦ સભ્યો આ તાલીમમા જોડાઇ લાભ મેળવી રહ્યા છે. આ માસ્ટર ટ્રેનરો પોતે પ્રાકૃતિક ખેતી કરી શકે છે અને બીજાને ખેતી માટે પ્રોત્સાહિત કરી શકે તે માટે તેઓ પાસે કુલ-૧૦૯ જેટલી દેશી ગાયો પણ ઉપલબ્ધ છે. તાલીમ બાદ દરેક લાભાર્થીઓને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની રાષ્ટ્રીય આજીવીકા મિશન હેઠળ ૨૦૦ લી.ના ડ્રમ, ટબ, ડોલ, ૧૦ લી.ના કેન, અને ઝારાનું વિતરણ કરવામાં આવનાર છે.
અત્રે નોંધનિય છે કે, તાપી જિલ્લામા પ્રાકૃતિક ખેતી અંગેના સમગ્ર પ્રોજેક્ટ હેઠળ ડોલવણ તાલુકાને સપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતો તાલુકો બનાવવાના આયોજનના ભાગરૂપે જે લાભાર્થીઓને પાસે દેશી ગાય ઉપલબ્ધ નથી તેઓને જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ અને સહકારી અગ્રણીય સંસ્થા સુમુલના સહયોગથી ગાય ટુંક સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. જેથી પ્રાકૃતિક ખેતી અને જીવામૃત, બીજામૃત વગેરે બનાવવા માટે દેશી ગાય ઉપલબ્ધ થતા ખેડૂતોની સમસ્યા હલ થશે. લાભાર્થીઓને કૃષિ વિજ્ઞાન કેંદ્ર દ્વારા સમયાંતરે યોગ્ય તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવી રહી છે. પ્રાકુતિક ખેતીમાં સરળતા રહે તે માટે આત્મા પ્રોજેક્ટ દ્વારા વિવિધ સાધન સહાય આપી ખેડૂતોને પ્રેરણા આપી રહ્યા છે. વધુમાં સ્વ-સહાય જુથો પાસે જીવામૃત, બીજામૃત તૈયાર કરાવી પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લાના તમામ ખેડૂતોને વેચાણ કરવામાં આવશે. આ માટે જરૂરી સાધન સામગ્રી ખેતીવાડી વિભાગ તરફથી પુરી પાડવામાં આવશે અને આ અંગેની નાણાકીય સહાય રાષ્ટ્રી ગ્રામિણ આજીવિકા મિશન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તરફથી પુરી પાડવામાં આવશે. આમ, ડોલવણ તાલુકો ઝડપથી સંપુર્ણપણે પ્રાકૃતિક ખેતી કરે તે માટેના તમામ સોપાનોનું વિસ્તૃત અધ્યયન કરી સુદ્રઢ આયોજન જિલ્લા પંચાયતની ટીમ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યું છે.