ખેતીવાડી

આદિવાસી મહિલાઓએ આત્મનિર્ભરનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કરી સૌ માટે બની પ્રેરણારૂપ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

દેડીયાપાડાની મહિલાઓએ આત્મનિર્ભરનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કરી સૌ માટે બની પ્રેરણારૂપ:

બોરીપીઠાની બહેનો માટે ઉન્નતિના દ્વાર સમાન “ઉન્નતિ જૈવિક ઉત્પાદન કેન્દ્ર” : કુદરતી જંતુનાશક દવાઓના વેચાણથી માસિક રૂ. ૫૦ હજારની આવક મેળવી રહી છે બોરીપીઠા ગામની મહિલાઓ, 

નર્મદા: દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ મહિલા ઉત્કર્ષ માટેની પરિણામલક્ષી અગેકૂચ થકી મહિલાઓ આજે સમાજ, રાજ્ય-રાષ્ટ્રના વિકાસમાં સિંહફાળો આપી રહી છે. જેનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે ડેડીયાપાડાના બોરીપીઠા ગામની વતની શ્રીમતી શુક્રાબેન વસાવા.

બોરીપીઠા ગામની સૌથી જાગૃત આત્મનિર્ભર મહિલા એટલે શુક્રાબેન. આ કથન ખોટું નથી. કારણ કે, ગામની શુક્રાબેન જ્યારે ગામની જ અન્ય બહેનોને રોજગારી પુરી પાડીને તેમની જીવનશૈલીમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરતી હોય તો તેનાથી વિશેષ ગર્વની વાત શું હોઈ શકે ? શુક્રાબેન “ઉન્નતિ જૈવિક ઉત્પાદન કેન્દ્ર” થકી કુદરતી જંતુનાશક દવાઓનું નિર્માણ કરીને સારી આવક પ્રાપ્ત કરી રહી છે. સાથોસાથ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરવાની કામગીરીને પણ આગળ ધપાવી રહી છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના માન. રાજ્યપાલશ્રી દેવવ્રત આચાર્ય, માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તથા નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના નેતૃત્વ હેઠળ જિલ્લાને પ્રાકૃતિક કૃષિને દિનપ્રતિદિન પ્રોત્સાહન મળી રહ્યું છે ત્યારે શુક્રાબેને પણ પ્રાકૃતિક ખેતીને વેગવાન બનાવવાનું બિડું ઉપાડીને આસપાસના ખેડૂતોની જમીનને ફળદ્રુપ બનાવવા માટે કુદરતી છાણીયા ખાતરના તત્વોના મિશ્રણથી જૈવિક દવાઓ તૈયાર કરી રહી છે.

ઉન્નતિ જૈવિક ઉત્પાદન કેન્દ્ર ની શરૂઆત કરીને જમીનને ફળદ્રુપ બનાવવા માટે કુદરતી રીતે તૈયાર કરેલી આ જૈવિક દવાઓ માટે શુક્રાબેને અન્ય બહેનોની પણ મદદ લીધી છે. જેના વેચાણ થકી બહેનો માસિક રૂ. 50 હજારથી વધુની આવક મેળવી રહ્યાં છે. શુક્રાબેનની કંઈક કરવાની ધગશના કારણે પોતાની સાથે અન્ય બહેનોની જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તનો આવ્યા છે. બહેનો પોતાના પરિવારને આર્થિક ટેકો આપીને સ્વાવલંબી જીવન જીવી રહી છે. અને આત્મનિર્ભર તરફ સ્વબળે આગળ વધી રહી છે.

શ્રીમતી શુક્રાબેન વસાવા માધ્યમો સાથેના વાર્તાલાપ કરતા જણાવે છે કે, આગાખાન સંસ્થા દ્વારા તાલીમ થકી જૈવિક દવાઓ અંગે માહિતગાર થયા હતા. સરળતાથી ઉપલબ્ધ થતી પ્રાકૃતિક વસ્તુઓ-વનસ્પતિઓનો ઉપયોગ કરીને જૈવિક દવાઓ તૈયાર કરવાની પદ્ધતિ શીખ્યા બાદ સૌ પ્રથમ દવાઓનો ઉપયોગ પોતાના ખેતરમાં જ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રાબેને આસપાસના ખેડૂતમિત્રોને શરૂઆતમાં પોતાની નવનિર્મિત પરિણામલક્ષી પ્રોડક્ટને નિશુલ્ક ઉપલબ્ધ કરાવ્યા હતા. શુક્રબેન જણાવે છે કે, પાકમાં સુધારો જોવા મળતા ખેડૂતોની માંગ વધતી ગઈ અને જે બાદ ગામમાં જ “ઉન્નતિ જૈવિક ઉત્પાદન કેન્દ્ર” શરૂ કર્યું. આજે તેમની સાથે પાંચ લોકો જોડાયેલા છે.

લલીતાબેન વિનોદભાઈ વસાવા જણાવે છે કે, કોઈપણ પ્રકારના કેમિકલ વગર આંકડાનાં પાંદડા, બેસન કે કોઈ પણ દાળનો લોટ, ગોળ, લીમડાનાં પાદંડા, ગૌમૂત્ર, તાજી છાસ, પાણી માંથી અમૃતપાણી જે પાકના વિકાસ માટે ઉપયોગમાં આવે છે. ખેતીના પાકમાં આવતી હાનિકારક કીડો કીટકોને નાશ કરવા માટે પેન્ટાફાઈટર. ગૌમૂત્ર, કડવા લીમડા, તીખા મરચા, દેશી લસણ માંથી અગ્નિયાસ્ત્ર જે ઈયળ અને કોઈ પણ પ્રકારના જીવાને રક્ષણ આપવામાં મદદ કરે છે. ડાંગર તુવેરના બીજને પડ આપવા માટે બીજામૃત દવા ઉપયોગ કરવામાં આવે છે. બોરીપીઠા ગામમાં પ્રવેશતાની સાથે જ શુક્રાબેનના ઘરે મીઠાબેન, લલીતાબેન, સવિતાબેન, અને સુભાષભાઈ, જેવિક કુદરતી દવાઓ બનાવતા જોવા મળે છે.

રાસાયણિક દવાઓના બદલે કુદરતી તત્વોથી બનતી જૈવિક દવાઓના વેચાણ દ્વારા છેલ્લા બે વર્ષમાં શુક્રાબેન સહિત અન્ય બહેનોના જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. આજે જૈવિક દવાઓની માંગ ડેડીયાપાડાના આજુબાજુના ગામો સહિત ઝઘડિયા, નિઝર અને સુરત સુધી તેમની માંગ પહોંચી છે. જે શુક્રાબેનના સફળ પ્રયાસોનું પરિણામ છે. આજે આત્મનિર્ભર બની રહેલા શુક્રાબેન અન્ય બહેનોને રોજગારી પુરી પાડીને સન્માનભેર જીવન જીવી રહ્યાં છે. જે ખરેખર બીજા માટે પ્રેરણારૂપ છે.અને બહેનો માટે પૂરક રોજગારીનું એક સાધન બન્યું છે.

રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है