રાષ્ટ્રીય

કેન્દ્રીય મંત્રીએ સ્મોલ આઇલેન્ડ ડેવલપિંગ સ્ટેટ્સ (SIDS)માં પ્રતિરોધક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવો” વિષય પર આયોજિત સત્રમાં ભાગ લીધો :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ,  24×7 વેબ પોર્ટલ

કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રીએ COP 27 ખાતે “સ્મોલ આઇલેન્ડ ડેવલપિંગ સ્ટેટ્સ (SIDS)માં પ્રતિરોધક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવો” વિષય પર આયોજિત સત્રમાં ભાગ લીધો :

મુખ્ય અંશો:

  • પ્રતિરોધક આઇલેન્ડ સ્ટેટ્સ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ (IRIS)ની દૂરંદેશી રજૂ કરવામાં આવી.
  • IRIS હેઠળની પરિયોજનાઓના અમલીકરણ માટે પ્રથમ પ્રસ્તાવના આહ્વાનની જાહેરાત કરવામાં આવી.
  • IRIS ભારતની LiFE પહેલની દાર્શનિકતાને સમાવે છે.

COP 27ની સાથે સાથે આજે UNFCCC પેવેલિયન ખાતે સ્મોલ આઇલેન્ડ ડેવલપિંગ સ્ટેટ્સ (SIDS)માં પ્રતિરોધક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવો વિષય પર એક સત્ર યોજવામાં આવ્યું હતું. ભારત સરકારના કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દર યાદવ, મોરેશિયસ સરકારના પર્યાવરણ, ઘન કચરો અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી કાવ્યદાસ રામાનો, જમૈકા સરકારના આર્થિક વૃદ્ધિ અને રોજગાર સર્જન મંત્રાલયના સેનેટર મેથ્યુ સમુડા અને AOSIS તેમજ ફિજીના પ્રતિનિધિઓએ સત્રમાં ભાગ લીધો હતો.

આ સત્રનો એજન્ડા IRISની દૂરંદેશી રજૂ કરવાનો અને પ્રથમ ‘પ્રસ્તાવના આહ્વાન’ (કોલ ફોર પ્રપોઝલ)ની જાહેરાત કરવાનો હતો. આ સત્રમાં IRIS દૂરંદેશી 2022-2030 પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને પ્રથમ ‘પ્રસ્તાવના આહ્વાન’ હેઠળ આવતી IRIS પરિયોજનાઓના અમલીકરણને સરળ બનાવતા મુખ્ય સક્ષમકર્તા પરિબળોને પ્રતિબિંબિત કરવામાં આવ્યા હતા. IRIS એ પ્રથમ પહેલ હશે જે COP 27માં ગયા અઠવાડિયે આપદા પ્રતિરોધક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગઠબંધન (CDRI) દ્વારા શરૂ કરવામાં આવેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રતિરોધક પ્રવેગક ભંડોળ (IRAF) દ્વારા અમલમાં મૂકવામાં આવશે.

શ્રી ભૂપેન્દર યાદવે પોતાના મુખ્ય સંબોધનમાં જણાવ્યું હતું કે:

“વૈશ્વિક પ્રેક્ષકગણ સમક્ષ ‘પ્રતિરોધક આઇલેન્ડ સ્ટેટ્સ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ (IRIS)ની દૂરંદેશી રજૂ કરવા માટે અને IRIS હેઠળ આવતી પરિયોજનાઓ માટે પ્રથમ ‘પ્રસ્તાવનાના આહ્વાન’ની જાહેરાત કરવા માટે આજે હું આપ સૌની સાથે જોડાયો છુ તેનો મને આનંદ છે.

આપ સૌ જાણો છો તે મુજબ, IRIS એ એવી મુખ્ય વ્યૂહાત્મક પહેલ છે જે સૌથી વધુ સંવેદનશીલ અને ખુલ્લા દેશોમાં હોય તેવા SIDS માટે પ્રતિરોધકતા અને આબોહવા અનુકૂલન ઉકેલો પ્રાપ્ત કરવા અને પહોંચાડવા માટે એક સાધન તરીકે ડિઝાઇન કરવામાં આવી છે.

સહ-નિર્માણ અને પૂરકતાના મુખ્ય માર્ગદર્શક સિદ્ધાંતોને વળગીને, ભારત, UK, ઑસ્ટ્રેલિયા, જમૈકા, મોરેશિયસ અને ફિજી દ્વારા COP26 ખાતે વર્લ્ડ લીડર્સ સમિટમાં IRISની શરૂઆત કરવામાં આવી હતી. તે SIDSમાં માળખાકીય સુવિધાઓમાં પ્રતિરોધકતાને લગતા ઉકેલો પર એકબીજા સાથે અભ્યાસ, માહિતીના આદાનપ્રદાન અને જોડાણની સુવિધા પૂરી પાડવા માટેનું સંયુક્ત પ્લેટફોર્મ છે.

મહિલાઓ અને સજ્જનો, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભારત સરકાર બદલાતી આબોહવાની વ્યવસ્થામાં SIDSના હિતોનું રક્ષણ કરવા માટે અડગ રીતે પ્રતિબદ્ધ છે.

આજે, આપણે જાણીએ છીએ કે આબોહવા પરિવર્તન એ પર્યાવરણ સંબંધિત અન્ય તમામ પડકારોમાં સૌથી મહત્વપૂર્ણ પડકાર છે. એકંદરે થતા ઉત્સર્જનને અંકુશમાં રાખ્ય વગર, અન્ય પર્યાવરણીય પડકારોમાં ભલે સફળતા મળી જાય, અને તેના લક્ષ્યો પ્રાપ્ત કરી લેવામાં આવે તો પણ, લાંબાગાળા માટે તેની કોઇ કિંમત નથી.

આબોહવા પરિવર્તન પર સ્થાનિક કાર્યવાહી અને બહુપક્ષીય સહયોગ એમ બંને માટે ભારત પ્રતિબદ્ધ છે. અમે માનવજાતના ગ્રહોના ઘર પૃથ્વીને સુરક્ષિત કરવાના આહ્વાન તમામ વૈશ્વિક પર્યાવરણ સંબંધિત ચિંતાઓ સામે લડવાનું ચાલુ રાખીશું. પરંતુ ગ્લોબલ વોર્મિંગ પણ આપણને ચેતવણી આપે છે કે હિસ્સેદારીને અને આંતરરાષ્ટ્રીય સહકાર, કોઇ પણ પાછળ ન રહી જાય તે અભિગમમાં જ સફળતાની ચાવી રહેલી છે, જ્યાં સૌથી ભાગ્યશાળી છે તેમણે અવશ્યપણે આગેવાની લેવી જોઇએ. કોઇ પણ રાષ્ટ્ર એકલા હાથે આ સફરમાં આગળ ન વધી શકે. સાચી સમજણ, યોગ્ય વિચાર અને સહકાર સાથે લીધેલા પગલાં – આ બધુ જ આગામી નિર્ણાયક અડધી સદી માટે આપણો માર્ગ નક્કી કરવા માટે જરૂરી છે.

મિત્રો,

IPCCના AR6 અહેવાલો આપણને સ્પષ્ટપણે જણાવે છે કે, વધી રહેલા તાપમાન માટેની જવાબદારી એકંદરે થતા CO2ના કુલ ઉત્સર્જનમાં યોગદાનની સીધી સપ્રમાણતામાં છે. તમામ CO2 ઉત્સર્જન, જ્યારે અને જ્યાં પણ તે થાય છે, તે તાપમાનની વૃદ્ધિમાં સમાન રીતે યોગદાન આપે છે.

IPCC રિપોર્ટ્સ અને અન્ય તમામ શ્રેષ્ઠ ઉપલબ્ધ વિજ્ઞાન પણ દર્શાવે છે કે, ભારત એવા દેશોમાંથી એક છે જ્યાં આબોહવા પરિવર્તન બાબતે ઉચ્ચ જોખમ રહેલું છે. આથી, અમે આઇલેન્ડ સ્ટેટ્સ (ટાપુ દેશો) અને અન્ય લોકોની પરિસ્થિતિ પ્રત્યે ખૂબ સહાનુભૂતિ ધરાવીએ છીએ. ભારત, 7500 કિમીથી વધુ લાંબો દરિયાકિનારો અને આસપાસના સમુદ્રમાં 1000 થી વધુ ટાપુઓ ધરાવતો અને જીવન તેમજ આજીવિકા માટે સમુદ્ર પર નિર્ભર એવી દરિયાકાંઠે વસતી વિશાળ વસ્તી ધરાવતો દેશ છે જે વૈશ્વિક સ્તરે પણ અત્યંત સંવેદનશીલ રાષ્ટ્ર છે. માત્ર એક ઉદાહરણ આપવા માટે કહીએ તો, 1995 – 2020 દરમિયાન, ભારતમાં આબોહવાને લગતી આપદાની 1058 ઘટનાઓ નોંધાઇ હતી.

માથા દીઠ ઉત્સર્જનને ધ્યાનમાં લેતા, સરખામણી માટે હેતુલક્ષી ધોરણે, ભારતનું ઉત્સર્જન, આજે પણ, વૈશ્વિક સરેરાશના લગભગ એક તૃતીયાંશ જેટલું છે. શ્રેષ્ઠ ઉપલબ્ધ વિજ્ઞાન કહે છે કે, જો સમગ્ર દુનિયાએ ભારતની જેમ માથા દીઠ સ્તરે ઉત્સર્જન કર્યું હોત તો, આબોહવાનું સંકટ ન હોત.

મને વિશ્વાસ છે કે આજની બેઠકમાં IRIS પરિયોજનાના અમલીકરણની લાંબા ગાળાની દૂરંદેશી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. અહીં જે દૂરંદેશી નક્કી કરવામાં આવી છે તે SIDSને સંસાધનો અને ક્ષમતાઓને એકીકૃત કરીને તેમના સૌથી વધુ દબાણવાળા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા પડકારોનો સામનો કરવાની તક પૂરી પાડવામાં મદદ કરશે.

મહિલાઓ અને સજ્જનો, ભારત IRISના માધ્યમથી, વસુદેવ કુટુમ્બકમ – વિશ્વ એક પરિવાર છે- માં તેની ભાવનાને અમલમાં મૂકી રહ્યું છે અને બધા માટે વધુ સારો તેમજ સુરક્ષિત પૃથ્વી ગ્રહ બનાવવા માટે ભાગીદારો સાથે આબોહવા પરિવર્તનને પહોંચી વળવા માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે.

અંતે, હું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ટાંકીને સમાપન કરવા માંગુ છું જેમણે IRISના મૂળ સારને અસરકારક રીતે વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે અને હું ટાંકું છુ કે –

“CDRI અથવા IRIS એ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબત નથી, પરંતુ તે માનવ કલ્યાણની સૌથી સંવેદનશીલ જવાબદારીનો એક ભાગ છે. માનવજાત પ્રત્યે તે આપણા સૌની સામૂહિક જવાબદારી છે. તે એક રીતે આપણાં પાપોનું સામાન્ય પ્રાયશ્ચિત છે”

CDRI અને IRIS વિશે

આદરણીય પ્રધાનમંત્રી દ્વારા સપ્ટેમ્બર 2019માં ન્યૂયોર્ક ખાતે આપદા પ્રતિરોધક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગઠબંધન (CDRI)ની શરૂઆત કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ ટકાઉક્ષમ વિકાસના સમર્થનમાં આબોહવા અને આપદાના જોખમો માટે નવા અને હાલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસ્થાતંત્રની પ્રતિરોધકતાને પ્રોત્સાહન આપવાનો છે. CDRI સમૃદ્ધિ અને યોગ્ય કાર્યને સક્ષમ કરીને મૂળભૂત સેવાઓની સાર્વત્રિક ઍક્સેસને વિસ્તૃત કરવા માટે ટકાઉક્ષમ વિકાસ લક્ષ્યોની આવશ્યકતાઓ પ્રત્યે પ્રતિભાવ આપવા માટે પ્રતિરોધક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી વિકાસને પ્રોત્સાહન આપે છે.

ભારત સરકારે આ ગઠબંધનને IRISની ડિઝાઇનિંગના તબક્કેથી રસ લઇને તેની રચના અને સંચાલનમાં સમર્થન આપ્યું. IRISના માધ્યમથી, ભારત સરકારનો ઉદ્દેશ સમગ્ર દુનિયામાં SIDSને તેમના નવા અને હાલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આપદા અને આબોહવા જોખમો માટે પ્રતિરોધક બનાવવા માટે સમર્થન આપવાનો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है