વિશેષ મુલાકાત

કાટીસકુવા(નજીક) ગામ ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૨ નો શુભારંભ:

સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૨ નો શુભારંભ રાજ્યના કૃષિ,ઉર્જા અને પેટ્રલકેમિકલ્સ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના વરદ હસ્તે કરાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

સુજલામ સુફલામ જળસંચય અભિયાન-૨૦૨૨ અંતર્ગત:
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કાટીસકુવા(નજીક) ગામ ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૨ નો શુભારંભ:

“તાપી જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન -૨૦૨૨ અંતર્ગત કુલ રૂા.૧૩.૭૦ કરોડના ખર્ચે કુલ-૨૩૭ હાથ ધરાશે”
– ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ
 વ્યારા-તાપી: તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કાટીસકુવા(નજીક) ગામ ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૨ નો શુભારંભ રાજ્યના કૃષિ,ઉર્જા અને પેટ્રલકેમિકલ્સ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના વરદ હસ્તે કરાયો હતો. આ પ્રસંગે તાપી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સૂરજભાઈ વસાવા, કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા, અધિક્ષક ઈજનેરશ્રી એસ.આર.મહાકાળ, સંગઠન પ્રમુખ ડો.જયરામભાઈ ગામીતની ઉપસ્થિત રહયા હતા.


મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જળ અભિયાન-૨૦૨૨ અંતર્ગત જણાવ્યું હતું કે તાપી જિલ્લામાં ચેકડેમ રીપેરીંગ, ઉંડા કરવાનું તથા સંગ્રહ તળાવ રીપેરીંગ જેવા કુલ ૯૬ કામો રૂા.૬૦૨.૩૪ લાખના ખર્ચે હાથ ધરાનાર છે. જેના થકી ૫૩૪.૫૨ લાખ ઘનફૂટ પાણીનો સંગ્રહ થશે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગા હેઠળ ચેકડેમ ડીસીલ્ટીંગ, ખેતતલાવડી, નવા તળાવ, નહેરોની મરામત અને જાળવણી, વોકળાની સાફ-સફાઈ જેવા કુલ૧૧૬ કામો રૂા.૬૨૬.૬૦ લાખના ખર્ચે હાથ ધરાશે. જેનાથી ૮૪.૧૨ લાખ ઘનફૂટ પાણીનો સંગ્રહ થશે. સદર કામો દ્વારા ૨,૬૯,૦૦૯(બેલાખ ઓગણસિત્તેર હજાર નવ) માનવ દિન રોજગારી ઉત્પન્ન થશે. વન અને પર્યાવરણ વિભાગ દ્વારા નવીન ચેકડેમ બનાવવાના કુલ ૭૯.૯ લાખના ૨૧ કામો કરવામાં આવશે. સુજલામ સુફલામ જળ અભિયાન -૨૦૨૨ અંતર્ગત અંદાજિત કુલ રૂા.૧૩.૭૦ કરોડના ખર્ચે કુલ-૨૩૭ કામો હાથ ધરાશે એમ ઉમેર્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સૂરજભાઈ વસાવાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, પાણીએ કોઇ પણ વિસ્તારના વિકાસની પ્રાથમિક જરૂરીયાત છે. જનશક્તિને જળશક્તિમાં રૂપાંતર કરવા માટે પાણીનું મહત્વ સમજી એક એક ટીપાને બચાવી મહાસાગર બનાવવા આહવાન કર્યું હતું. વધુમાં તેમણે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ જળ સંચયના કામો થનાર છે જેમાં ઉત્કૃષ્ટ લોકભાગીદારી નોંધાવવા અને આ અભિયાન થકી પાણીનો સંચય કરવા ખાસ અનુરોધ કર્યો હતો.
કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે, પાણીનો સંગ્રહ થાય, કુવા તળાવોના જળ સ્તર ઉંચા લાવવા સાથે પર્યાવરણ બચાવવા અને ખેડૂતોને સિચાઇ અને પશુપાલન માટે પર્યાપ્ત માત્રામાં પાણી મળે રહે તે ઉદ્દેશ સાથે આ અભિયાન સફળતા પૂર્વક છેલ્લા ૫ વર્ષથી ગુજરાત સરકાર દ્વારા ચોમાસા પહેલા સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કરવામાં આવેલ છે. જેની નોંધ સમગ્ર દેશમાં લેવામાં આવી છે. તેમણે રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ વેબીનાર “કેચ ધ રેઇન: વેન ઇટ ફોલ, વ્હેર ઇટ ફોલ”માં ગુજરાતનું પ્રતિનિધિત્વ તાપી જિલ્લાએ કરેલ હોવાનું જણાવ્યું હતું. આ વેબીનારમાં ગુજરાત રાજ્યના જળ અભિયાનના માઇક્રો પ્લાનિંગ, એક્ઝીક્યુશન માટે રાષ્ટ્રીય સ્તરે સરાહના કરવામાં આવી હતી.


વધુમાં તેમણે સુજલામ સુફલામ જળ અભિયાન -૨૦૨૨ અંતર્ગત તાપી જિલ્લામાં તળાવો, કુવા, નહેર ઉંડા કરવા, તેની સફાઇ કામગીરી, મરામત, પાળા અને વેસ્ટ વિયરનું મજબુતીકરણ, તથા વરસાદનું પાણી દરિયામાં વહી જતું અટકાવવા નવા ચેક ડેમોનું નિર્માણ અને ખાસ જંગલોમાં નાના-નાના ચેક ડેમોના નિર્માણ કરી પશુ-પક્ષીઓને પુરતુ પાણી મળી રહે તેનું સુદ્રઢ આયોજન અંગે સૌને વિગતવાર જાણકારી આપી આ તમામ કામોને સરકારી કામો નહિ પરંતું પોતાન ગામના કામો છે એ રીતે સમજી લોકભાગીદારી નોંધાવવા ખાસ અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાએ સ્વાગત પ્રવચન કરતા સુજલામ સુફલામ જળ અભિયાન -૨૦૨૨ને રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, આ અભિયાન હેઠળ તાપી જિલ્લામાં ૨૩૭ જેટલા વ્યક્તિગત અને સામુહિક કામો થનાર છે. રાજ્યમાં જળસંચયનો વ્યાપ વધે અને સિંચાઇ માટે પાણીની યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ થાય તથા પાણીનો વ્યય અટકાવવા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે હેઠળ ચેકડેમ ડીસીલ્ટીંગ, ખેતતલાવડી, નવા તળાવ, નહેરોની મરામત અને જાળવણી જેવા કામોનુ સુદ્રઢ આયોજન તાપી જિલ્લામાં કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે તળાવના નિર્માણ માટે શ્રીજી કૃપા ટ્રસ્ટના પ્રતિનિધિને પ્રભારીમંત્રીશ્રીના હસ્તે વર્કઓર્ડર આપી કામગીરીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
કાર્યક્રમના અંતે અધિક્ષક ઈજનેરશ્રી એસ.આર.મહાકાળે આભારદર્શન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ ગામીત દ્વારા કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં વ્યારા પ્રાંત અધિકારી આર.સી.પટેલ, ખેતીવાડી અધિકારી સતિશ ગામીત, પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલ, સંગઠન પ્રમુખ ડો.જયરામભાઈ ગામીત, ઉપપ્રમુખ વિક્ર્મ તરસાડીયા, શિક્ષણ સમિતીના સરીતાબેન વસાવા,બાંધકામ અધ્યક્ષ નિતીન ગામીત, કારોબારી અધ્યક્ષ મોહન કોંકણી, જશુબેન, કુસુમબેન, તાલુકા અને જિલ્લા પંચાયતના અન્ય સભ્યો, કાટીસકુવા નજીકના સરપંચશ્રી ઉર્મીલાબેન ગામીત, બેડકુવા, રામકુવા, ચાપાવાડી, સરકુવાના સરપંચશ્રીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है