
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
રાજપીપલા, સોમવાર :- જાહેર વિતરણ યોજના હેઠળના કેરોસીનના વિવિધ ચાર્જીસમાં થયેલ ફેરફારને અનુલક્ષીને નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીને મળેલી સત્તાની રૂએ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના ગૃહ વપરાશ હેઠળના કેરોસીનના છુટક કેરોસીનના ભાવમાં વધારો કરીને તા.૧ લી સપ્ટેમ્બર, ૨૦૨૦ ની અસરથી નર્મદા જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાં છુટક કેરોસીનના વેંચાણના નવા ભાવો નિયત કરાયાં છે.
તદ્અનુસાર સદરહું કેરોસીનના એક લીટરના છુટક વેચાણના નિયત થયેલા ભાવ મુજબ હવે નાંદોદ તાલુકા માટે રૂા. ૨૭.૧૯ ન.પૈ., ગરૂડેશ્વર તાલુકા માટે રૂા. ૨૭.૧૯ ન.પૈ., દેડીયાપાડા તાલુકા માટે રૂા. ૨૭.૬૭ ન.પૈ., સાગબારા તાલુકા માટે રૂા. ૨૭.૮૬ ન.પૈ. અને તિલકવાડા તાલુકા માટે રૂા. ૨૭.૫૧ ન.પૈ. મુજબનો છુટક વેચાણ ભાવ રહેશે.
ઉપર જણાવ્યા મુજબના ભાવો ગુરૂત્તમ હોઇ, કોઇપણ એજન્ટ/ છુટક વિક્રેતા/ ફેરીયા તેનાથી વધુ ભાવ લઇ શકશે નહિ. આ નિયત કરાયેલા ભાવો કરતા વધુ ભાવો લેતા હોવાનું જણાશે તો તેમની સામે આ હુકમના ભંગ બદલ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ૧૯૫૫ ની કલમ -૩ (૭) મુજબ શિક્ષાને પાત્ર થશે તેમજ ધી કેરોસીન (વપરાશ નિયંત્રણ અને અધિકત્તમ કિંમત નક્કી કરવા) બાબત હુકમ-૧૯૯૩ ની કલમ ૪ (સી) તેમજ આવશ્યક ચીજવસ્તુ (પરવાના નિયંત્રણ અને જથ્થા જાહેરાત) આદેશ-૧૯૮૧ ની કલમ-૨૨ નો ભંગ ગણી કાયદેસરનાં પગલાં લેવામાં આવશે, તેમ જિલ્લા કલેક્ટરશ્રી, નર્મદા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.