
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
રાજપીપળા કલેકટર કચેરી ખાતે સરપંચ પરિષદ ગુજરાત નર્મદા ઝોન પ્રમુખ નિરંજનભાઇ વસાવા, તિલકવાડા તાલુકા પ્રમુખ અરુણભાઈ તડવી, અલ્કેશભાઇ , ભઈલાલભાઈ રાકેશભાઈ, તેમજ દરેક સમાજના આગેવાનશ્રીઓ દ્વારા કલેકટરશ્રી ને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી કે, નર્મદા જિલ્લામાં તિલકવાડા તાલુકામાં આવેલ સાવલી ગામની નજીકમાં આવેલ ૨૫ જેટલા ગામોના રહેવાસીઓના બેંક ખાતાઓ મોજે સાવલી, તાલુકો તિલકવાડા જીલ્લો નર્મદા મુકામે બેંક ઓફ બરોડા શાખામાં આવેલ છે, જે બેંક છેલ્લાં 35 વર્ષથી સાવલી મુકામે કાર્યરત છે, અને હાલના સમયમાં બેંક રોજ – બરોજ ના જીવનનું અભિન્ન અંગ બની ગયેલ છે, હાલ સરકારશ્રી દ્વારા અમલમાં તમામ યોજનાઓની નાણાંની લેવડ દેવડ બેંક દ્વારા કરવામાં આવે છે, તથા નાગરિકોને મળતી તમામ સહાય બેંક ખાતા મારફતે આપવામાં આવે છે, તથા અન્ય બીજી નાણાકીય કામગીરી માટે પણ બેંક હાલ ખૂબ ઉપયોગી માધ્યમ છે, સાવલી મુકામે બેંક ઓફ બરોડાની શાખા માં 25 થી 30 ગામોના લોકોના ખાતાઓ આવેલ છે, હાલ શાખામાં 13,000 ખાતા આવેલ છે, બેંક નો વાર્ષિક લેવડ-દેવડ નો હિસાબ ૨૫ કરોડનો છે, બેંકમાં આજુબાજુના ગામડાઓ ના લોકોની 4 થી 5 કરોડ રૂપિયાની ફિકસ ડિપોઝીટો આવેલી છે, તથા 700 લોન ગ્રાહકો છે, ઉપરોક્ત શાખામાં આવેલ મુખ્યત્વે ખાતાઓમાં આદિવાસી સમાજના વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન તથા શાળાના બાળકોની શિષ્યવૃતિ જમા કરવા માટે ના ખાતાઓ તેમજ ખેડૂતો તથા મનરેગાના મજુર લાભાર્થીઓના ખાતાઓ છે, અને આજુબાજુ ગામોમાં નોકરી કરતાં સરકારી કર્મચારીઓના ખાતાઓ પણ બેંક ઓફ બરોડા સાવલી શાખામાં આવેલા છે, ઉપરોક્ત બેંક શાખા વિસ્તારમાં ૮૦ થી ૯૦ ટકા આદિવાસી વસતી હોય છે, જે માંથી મોટાભાગની અભણ આદિવાસી વસ્તી હોય, અને જો બેંક ઓફ બરોડાની શાખા સાવલી મુકામે બંધ કરવામાં આવે તો ઘણા મોટા પ્રમાણમાં નુકસાન જાય એમ છે, તથા બેંક સેવા માટે 10 થી 15 કિલોમીટર દૂર જવું પડે તેમ છે, ઉપરોક્ત તમામ હકીકત આદિવાસી સમાજના વિસ્તાર લોકો અને દરેક સમાજના લોકોની વસ્તી ને નુકસાન કરે તેમ હોય તે બાબતે સાહેબશ્રી ને આ વિસ્તારના દરેક સમાજના લોકોને પડતી મુશ્કેલી ને ધ્યાનમાં રાખીને બેંકની શાખા બંધ ન થાય તેવી લોકહીતમાં કાર્યવાહી કરવા જિલ્લાના તમામ સરપંચશ્રીઓ તેમજ સાવલી ગામની આજુબાજુ રહેતાં તમામ 25 થી 30 ગામના લોકો દ્વારા પ્રજાના હિતમાં તેનો વહેલી તકે સુખદ નિરાકરણ આવે અને તેની ઘટતી કાર્યવાહી કરવામાં આવે તે બાબતે નર્મદા જિલ્લા કલેકટરશ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું.