
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
કોવિડ-૧૯ ની મહામારીને અનુલક્ષીને સાગબારા તાલુકામાં દેવમોગરા ખાતે પાંડોરી માતાજીના મંદિરે મહાશિવરાત્રિના દિવસથી પ્રારંભાતો મેળો ચાલુ વર્ષે જાહેર હિતમાં મોકૂફ રખાયો:
મંદિરે દર્શનાર્થે આવનાર શ્રધ્ધાળુઓ માટે કોવિડ-૧૯ ની સ્થાયી સુચનાઓ-માર્ગદર્શિકા-પ્રોટોકોલ સહિતની કેટલીક બાબતોનું ચૂસ્ત પાલન થાય તે સુનિશ્વિત કરવા અપાયેલ દિશાનિર્દેશ:
જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહના અધ્યક્ષપદે યોજાયેલી બેઠકમાં સર્વાનુમતે લેવાયેલો નિર્ણય,
રાજપીપલા,બુધવાર :- નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં દેવમોગરા ગામે આદિવાસી સમાજની કુળદેવી પાંડોરી માતાજીના મંદિર દર ખાતે વર્ષે મહાશિવરાત્રિના દિવસથી શરૂ થતાં મેળાની ઉજવણી ચાલુ વર્ષે કોવિડ-૧૯ ની મહામારીને અનુલક્ષીને લોકોનું સ્વાસ્થય અને સલામતી જળવાઇ રહે તેવા ઉમદા હેતુથી જાહેરહિતમાં મોકૂફ રાખવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો છે અને મંદિરે દર્શનાર્થે આવનાર શ્રધ્ધાળુઓ માટે કોવિડ-૧૯ ની સ્થાયી સુચનાઓ-માર્ગદર્શિકા-પ્રોટોકોલ સહિતની કેટલીક બાબતોનું ચૂસ્ત પાલન થાય તે સુનિશ્વિત કરવા દિશાનિર્દેશ અપાયા છે.
નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહના અધ્યક્ષપદે તાજેતરમાં રાજપીપલા કલેક્ટરાલય ખાતે નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસ, દેડીયાપાડાના પ્રાંત અધિકારીશ્રી દિપક બારીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના પ્રતિનિધિશ્રી ઉપરાંત તાલુકા હેલ્થ ઓફિસરશ્રી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, ગામના તલાટી-સરપંચશ્રી, સાર્વજનિક માઇ મંદિર ટ્રસ્ટ-દેવમોગરાના પ્રમુખશ્રી તથા સભ્યશ્રીઓ વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકમાં જરૂરી ચર્ચા-વિચારણા બાદ મહાશિવરાત્રિના રોજથી પ્રારંભાતા દેવમોગરા ખાતેનો મેળો ચાલુ વર્ષે મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. તદ્દઉરાંત અન્ય તમામ પ્રોટોકોલનું ચૂસ્તપણે પાલન કરવાની સાથે જાહેર હિતમાં કેટલીક બાબતોનો ચુસ્ત અમલ થાય તે જોવાનું ચર્ચા-વિચારણાને અંતે નક્કી કરાયું છે.
તદ્દઅનુસાર, સાર્વજનિક માઇ મંદિર ટ્રસ્ટનાં ટ્રસ્ટીશ્રીઓ-સરપંચશ્રી સાથે ચર્ચા થયા મુજબ દર વર્ષની જેમ આ વર્ષે દેવમોગરા માતાજીની સ્નાનવિધિમાં બહોળી સંખ્યામાં લોકો ભેગા થઇ શકશે નહિ તેની તકેદારી રાખવી અને વધુમાં વધુ ૧૦૦ શ્રધ્ધાળુઓથી સંખ્યા વધવી જોઇએ નહીં. દેવમોગરા માતાજીના મંદિરનો દર્શનનો સમય સવારના ૫:૦૦ કલાકથી સાંજના ૬:૦૦ વાગ્યા સુધીનો રહેશે. મંદિરના ત્રણેય ગેટ પાસે આવનાર શ્રધ્ધાળુઓ માટે સેનીટાઇઝેશન, સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્ક ફરજીયાત પહેરવાના રહેશે તથા અન્ય કોવિડ-૧૯ પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે. મંદિરના ગેટ ઉપર તથા અન્ય જગ્યાએ મેળાનું આયોજન કરેલ નથી તેવી સૂચના પ્રદર્શિત કરવાની રહેશે. શ્રધ્ધાળુઓએ રાતવાસો કરવાને બદલે ફક્ત દર્શન કરીને સ્થળ છોડી જવાનું રહેશે. લાઉડ સ્પીકર પર મોટેથી તમામ સુચનાઓનું પાલન કરવાનું રહેશે. મંદિરને ખોલતા પહેલા અને મંદિર બંધ કરતી વખતે નિયત ધોરણોનું પાલન કરીને સેનિટાઇઝ કરવાનું રહેશે, મંદિરના કમ્પાઉન્ડમાં મોટો જનસમુદાય એકત્રીત ન થાય તે સુનિશ્વિત કરવાની સાથોસાથ સરકારશ્રીની કોવિડ-૧૯ ની સ્થાયી/ વખતો વખતની સુચનાઓ અને ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.