
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
મહારાષ્ટ્રના રાજ્યપાલશ્રી ભગતસિંહ કોશિયારીજીએ વિશ્વ ધરોહર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી;
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા નર્મદા જિલ્લાને મળેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની અમૂલ્ય ભેટ વિશ્વફલક પર આંતરરાષ્ટ્રીય પ્રવાસનનું મુખ્ય કેન્દ્રબિંદુ બની રહ્યું છે. જ્યાં ભારત દેશની એકતા અને અખંડિતતાના પ્રતિક, લોહપુરુષ એવા સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા છે, જેની મુલાકાત લઈ આજરોજ મહારાષ્ટ્રના માનનીય રાજ્યપાલશ્રી ભગતસિંહ કોશિયારીએ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં આવી પહોંચતા ગાઈડ સુશ્રી જુલીબેન પંડ્યાએ રાજ્યપાલશ્રી કોશિયારજીને સમગ્ર સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિરાટત્વની ઝીણવટભરી જાણકારી પુરી પાડી સરદાર સાહેબના જીવનની ઝાંખી કરાવતા પ્રદર્શનની મુલાકાત કરાવી હતી. જ્યાં તેઓશ્રીએ સાહેબના જીવન-કવન અંગેનું તસ્વીરી પ્રદર્શન રસપૂર્વક નિહાળ્યું હતું. રાજ્યપાલશ્રી ભગતસિંહ કોશિયારીજીએ ૪૫ માળની ઉંચાઇએ આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી તથા પ્રતિમાના હૃદયસ્થાનેથી વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળી આનંદિત થયા હતા. વધુમાં રાજ્યપાલશ્રીએ બાળકો સાથે સમય વિતાવી હળવાશની પળો પણ માણી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પોથીમાં પોતાના પ્રતિભાવો પ્રકટ કરતા માનનીય રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, માં નર્મદાના કિનારે સાતપુડા અને વિધ્યાંચલના સંગમ પર દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પરિકલ્પનાથી નિર્મિત સમગ્ર રાષ્ટ્રને એકસૂત્રમાં બાંધનાર, અખંડ ભારતના નિર્માતાની આ અભૂતપૂર્વ પ્રતિમા અપ્રતિમ છે. જે યુગો-યુગો સુધી ભારતને એકસૂત્રમાં બાંધવાનું કામ કરશે એવો ભાવ વ્યક્ત કર્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ રાજ્યપાલશ્રીએ સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લીધી હતી. જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના જનસંપર્ક અધિકારીશ્રી રાહુલભાઈ પટેલે ડેમની તકનિકી જાણકારી પુરી પાડી હતી.
માનનીય રાજ્યપાલશ્રીની આ મુલાકાત પ્રસંગે નાંદોદના પ્રાંત અધિકારીશ્રી શૈલેષ ગોકલાણી, જિલ્લા આયોજન અધિકારીશ્રી એસ.એસ.પાંડે સહિત જિલ્લા વહિવટીતંત્રના અધિકારી-પદાધિકારીશ્રીઓ હાજર રહ્યાં હતાં. આ વેળાએ SOU ઓથોરિટીના નાયબ કલેકટરશ્રી ઉમેશ શુકલા એ રાજ્યપાલશ્રી ભગતસિંહ કોશિયારીજીને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ અને કોફીટેબલ બુક ભેટ આપી હતી.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા