આરોગ્ય

કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રિય પોષણ માહ-૨૦૨૧નો શુભારંભ કરાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

પોષણ માહને જનભાગીદારીથી લોકભોગ્ય બનાવવા અનુરોધઃ કલેકટર એચ.કે.વઢવાણિયા..
કુપોષણ નિવારવાના સંકલ્પ સાથે આંગણવાડી બહેનો અભિયાનને સૂપેરે પાર પાડેઃ જિલ્લા વિકાસ અધિકારી ડો.ડી.ડી.કાપડિયા
વ્યારા ખાતે રાષ્ટ્રિય પોષણ માહ ૨૦૨૧ શુભારંભ..

 વ્યારા: તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા સેવાસદન ખાતે આજરોજ કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી ડો.દિનેશકુમાર કાપડિયા,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદ પટેલની ઉપસ્થિતિમાં રાષ્ટ્રિય પોષણ માહ-૨૦૨૧નો શુભારંભ કરાયો હતો.


કલેકટર એચ.કે.વઢવાણિયાએ પોષણ માસનો શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે છેલ્લા ૩ વર્ષથી આપણે પોષણ માસની ઉજવણી કરીએ છીએ. જેમાં સરકારની ગાઈડલાઈન મુજબ કુપોષણમાંથી બાળકોને બહાર લાવવા આઈ.સી.ડી.એસ.,આરોગ્ય, પંચાયત, શિક્ષણ જેવા વિભાગો વૃક્ષારોપણ,યોગા સહિતની પ્રવૃત્તિઓ દ્વારા જવાબદારીપૂર્વક કામ કરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં સગર્ભા બહેનો,ધાત્રી માતાઓ તથા બાળકોને પોષક આહાર મળી રહે તે માટે જીલ્લા વહીવટીતંત્ર કટીબધ્ધ છે. એકપણ બાળક કુપોષિત ન રહે તે માટે આપણે સૌએ પ્રયાસ કરવો આપણી સામાજીક ફરજ બની રહે તેમ જણાવી પોષણ માસને જનભાગીદારીથી જોડી લોકભોગ્ય બનાવવા કલેકટર વઢવાણિયાએ અનુરોધ કર્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારી ડો.દિનેશકુમાર કાપડિયાએ જણાવ્યું હતું કે આંગણવાડીના સી.ડી.પી.ઓ.,સુપરવાઈઝરો, આંણવાડી વર્કર,તેડાગર બહેનો વિગેરે તમામ સ્ટાફ આંગણવાડી સુદ્રઢ થાય અને બાળકો પોષણક્ષમ બને તે માટે મક્કમ નિર્ધાર કરીએ. ખેતીવાડી,બાગાયત અને મનરેગા યોજનાઓના સમન્વયથી ન્યુટ્રી ગાર્ડન તૈયાર કરીએ જેથી પ્રોટીનની ઉણપ દુર થાય. રાજ્ય સરકાર કુપોષિત બાળકોની સતત ચિંતા કરે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારાની મદદ લઇ જિલ્લામાં ન્યુટ્રી ગાર્ડન તૈયાર કરવામાં આવશે. વધુમાં ટ્રાયબલ સબ પ્લાનની મદદથી પ્રોજેક્ટ પણ તૈયાર કરાયો છે. કુપોષિત બાળકોને સારૂ પોષણ મળે તે માટે સરકારની ગાઈડલાઈનનું અક્ષરસઃ પાલન કરી તબક્કાવાર કામગીરી કરવા ડો.કાપડિયાએ સૂચન કર્યું હતું.
પ્રોગ્રામ ઓફિસર એ.ટી.પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી દ્વારા ૮ માર્ચ ૨૦૧૮ થી રાષ્ટ્રિય પોષણ અભિયાન જનઆંદોલન સ્વરૂપે ચાલી રહ્યું છે. સદર માસની ઉજવણી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા કરવામાં આવે છે. જેમાં પ્રથમ સપ્તાહ પોષણ વાટિકામાં આંગણવાડી,શાળા તથા જાહેર સ્થળોએ વૃક્ષારોપણ,,બીજા સપ્તાહમાં સગર્ભા,બાળકો,કિશોરીઓને યોગ કરાવવા, ત્રીજા સપ્તાહમાં આંગણવાડી લાભાર્થીઓને ન્યુટ્રીશન કીટ વિતરણ,ચોથા સપ્તાહમાં અતિ કુપોષિત બાળકોને શોધીને ન્યુટ્રીશન ખોરાક પુરો પાડવો જેવી પ્રવૃત્તિઓ હાથ ધરાશે. તાપી જિલ્લામાં ૩ થી ૬ વર્ષના અંદાજીત ૨૫૦૦ બાળકો કુપોષિત છે. જ્યારે એનીમીયાનું પ્રમાણ ૭૦ ટકા જેટલું છે.
રાષ્ટ્રિય પોષણ માહ ૨૦૨૧ની ઉજવણી પ્રસંગે ખેતીવાડી અધિકારી સતીષભાઈ ગામીત, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,વ્યારાના ડો.સી.ડી.પંડ્યા, તમામ સીડીપીઓ, સુપરવાઈઝરો અને આંગણવાડી સ્ટાફ ઉપસ્થિત રહી બાળકોને કુપોષણમાંથી બહાર લાવવાના શપથ લીધા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है