
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નર્મદા જિલ્લામાં “સુજલામ્ સુફલામ જળ અભિયાન-૨૦૨૨” નો દેડીયાપાડા તાલુકાના પાટડી ગામેથી શુભારંભ કરાવ્યો:
ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ નર્મદા જિલ્લામાં “સુજલામ્ સુફલામ જળ અભિયાન-૨૦૨૨” નો પાંચમા તબક્કાનો દેડીયાપાડા તાલુકાના પાટડી ગામેથી તળાવ ઉંડુ કરવાના કામનું ખાતમુર્હત કરી શુભારંભ કરાવ્યો હતો.
જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ અધ્યક્ષપદેથી ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, જળ અભિયાન એ ગુજરાતની અતૃત્પ ધરાને જળસમૃધ્ધિથી સંતૃપ્ત કરવાનું અભિયાન છે. આ અભિયાન દ્વારા જળ સંચયનો વ્યાપ વધારવો, ભૂગર્ભ જળ સ્તર ઉંચા લાવવા, પાણીનો બગાડ ઘટાડવો અને સિંચાઈ વ્યવસ્થા સુદ્રઢ બનાવી ઉપલબ્ધ જળનો મહત્તમ લાભ મળી રહે તેવા આશય સાથે સહુ સાથે મળીને આ અભિયાનને વધુ વેગવાન બનાવવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.
વધુમાં શ્રીમતી પર્યુષાબેન વસાવાએ જણાવ્યું હતું કે, આ અભિયાનમાં તળાવો ઉંડા કરવા, ચેકડેમ રીપેરીંગ કરવાં, ચેકડેમ ડીસીલ્ટીંગ કરવાં, વન તલાવડી બનાવવી, નવીન તળાવો બનાવવા, માટીપાળા, તળાવનાં વેસ્ટ વિયર બનાવવા, ભૂગર્ભસંપ, આર.સી.સી. ઉંચી ટાંકી, શુધ્ધિકરણ પ્લાન્ટ, હેડ વર્ક્સ વગેરેની સાફ સફાઈ જેવા કામોને આવરી લેવામાં આવ્યાં છે. ચાલુ વર્ષે નર્મદા જિલ્લામાં અંદાજિત રૂ.૧૪ કરોડના આયોજન સામે ૫૨૨ જેટલાં વિવિધ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેથી સુજલામ સુફલામ જળ અભિયાન થકી ગામડાઓ, તાલુકાઓ, જિલ્લાઓ સહિત સમગ્ર ગુજરાતને પાણીદાર બનાવવા સરકાર કટીબધ્ધ હોવાનું નર્મદા જીલ્લા પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ ઉમેર્યું હતું.