રાષ્ટ્રીય

મુખ્યમંત્રીશ્રી ના હસ્તે આંગણવાડીઓમાં યુનિફોર્મ વિતરણ યોજનાનો ગાંધીનગરથી ડિજીટલ માધ્યમથી વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રારંભ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રાજયભરની ૫૩,૦૨૯ આંગણવાડીઓના ૧૪ લાખ જેટલા નાના બાળકો-ભૂલકાંઓ માટે રૂા. ૩૬.૨૮ કરોડના ખર્ચે આકાર પામેલી યુનિફોર્મ વિતરણ યોજનાનો ગાંધીનગરથી ડિજીટલ માધ્યમથી વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રારંભ;

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો ગરીબ-મધ્યમવર્ગીય પરિવારોના બાળકો-ભૂલકાંઓ માટે સંવેદના સ્પર્શી નવતર અભિગમ : નાના ભૂલકાંઓને યુનિફોર્મથી મળશે આગવી ઓળખ

નવી શિક્ષણ નીતિ અનુસાર પૂર્વ પ્રાથમિક શિક્ષણને વધુ મજબૂત બનાવવા આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોના સર્વાંગી વિકાસ માટે રૂા. ૫ કરોડની પા… પા… પગલી યોજના અમલી બનાવવાનું કરાયેલું આયોજન;

સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા, જિલ્લાના વરિષ્ટ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, લાભાર્થી ભૂલકાંઓ સહિતના મહાનુભાવો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમમાં જોડાઇને સહભાગી બનતો નર્મદા જિલ્લો;

રાજપીપલા ખાતે જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં શ્રી મનસુખભાઇ વસાવા સહિતના મહાનુભાવોના હસ્તે ૬ લાભાર્થી ભૂલકાંઓને પ્રતિક રૂપે બે જોડી યુનિફોર્મનું કરાયું વિતરણ;

રૂા.૪૯.૬૩ લાખના ખર્ચે જિલ્લાની ૯૫૨ આંગણવાડી કેન્દ્રના ૧૯,૮૫૨ લાભાર્થી ભૂલકાંઓને આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ઘેર ઘેર જઇને યુનિફોર્મ વિતરણનો જિલ્લામાં થયેલો પ્રારંભ : બે-ત્રણ દિવસમાં કામગીરી પૂર્ણ કરાશે;

રાજપીપલા :- ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે ગાંધીનગર ખાતેથી ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ તેમજ વન અને આદિજાતિ વિકાસ વિભાગના મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા, મહિલા અને બાળ કલ્યાણના રાજયકક્ષાના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે, મહિલા અને બાળ કલ્યાણના સચિવશ્રી અને કમિશનરશ્રી કે.કે. નિરાલા તેમજ નિયામકશ્રી ડી.એન. મોદી વગેરેની ઉપસ્થિતિમાં ડિજીટલ માધ્યમથી વિડીયો કોન્ફરન્સ દ્વારા રૂા. ૩૬.૨૮ કરોડના ખર્ચે આકાર પામેલી રાજયભરની ૫૩,૦૨૯ આંગણવાડીઓના ૧૪ લાખ જેટલા નાના બાળકો-ભૂલકાંઓને યુનિફોર્મ વિતરણ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં નર્મદા જિલ્લા કલેકટરાલય ખાતે ભરૂચના સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા પંચાયતની મહિલા અને બાળ વિકાસ યુવા પ્રવૃત્તિ સમિતિના અધ્યક્ષ શ્રીમતી શ્રધ્ધાબેન બારીયા, જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણા, નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે વ્યાસ, મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવી, આઇસીડીએસના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ક્રિષ્નાકુમારી પટેલ, આંગણવાડીના લાભાર્થી ભૂલકાંઓ વગેરેએ પણ આ કાર્યક્રમમાં જોડાઇને તેમાં સહભાગી બન્યા હતા.

નવી શિક્ષણ નીતિ અનુસાર પૂર્વ પ્રાથમિક શિક્ષણને વધુ મજબૂત બનાવવા આંગણવાડીમાં અભ્યાસ કરવા આવતા બાળકોના સર્વાંગી વિકાસ માટે રૂા. ૫ કરોડની પા… પા… પગલી યોજના અમલી બનાવવાનું આયોજન કરાયું હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના ગરીબ-મધ્યમવર્ગીય પરિવારોના બાળકો-ભૂલકાંઓ માટે સંવેદના સ્પર્શી નવતર અભિગમ થકી આંગણવાડીના નાના ભૂલકાંઓને આ યુનિફોર્મથી આગવી ઓળખ મળશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સહિત અન્ય મંત્રીશ્રીઓના હસ્તે આંગણવાડીના બાળકોને પ્રતિક રૂપે યુનિફોર્મનું વિતરણ કરાયા બાદ મુખ્યમંત્રીશ્રીએ આગવી સંવેદના દર્શાવતા આ બાળકોને પોતાના તરફથી ભેટ અર્પણ કરી હતી.

કોરોના સંક્રમણકાળમાં મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અંગે આયોજીત ‘હેન્ડ વોશ’ કેમ્પઇનમાં એક સાથે પાંચ લાખ બહેનોએ પાંચ હજાર સ્થળોએ જોડાઇને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ ગૌરવ સિદ્ધિ માટે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનનું પ્રમાણ પત્ર તેમના પ્રતિનિધિએ મુખ્યમંત્રીશ્રીને અર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ આ ગૌરવ સિધ્ધિ માટે મહિલા અને બાળ કલ્યાણ વિભાગને અભિનંદન આપતા આ પ્રમાણપત્ર વિભાગને એનાયત કર્યું હતું

રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લાકક્ષાના યોજાયેલા કાર્યક્રમમાં સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણા સહિતના મહાનુભાવોના હસ્તે જિલ્લાના ૬ લાભાર્થી ભૂલકાંઓને યુનિફોર્મ એનાયત કરી પ્રોત્સાહિત કરાયાં હતાં. આજથી જિલ્લાની ૯૫૨ આંગણવાડીના ૩ થી ૬ વર્ષના ૧૯,૮૫૨ લાભાર્થી ભૂલકાંઓને રૂા.૪૯.૬૩ લાખના ખર્ચે બે જોડી યુનિફોર્મ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ઘેર ઘેર જઇને વિતરણની કામગીરી શરૂ કરાઇ છે, જે આગામી બે થી ત્રણ દિવસમાં પૂર્ણ કરાશે.

સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવાએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં પણ ૧૯ થી ૨૦ હજાર જેટલા બાળકોને ગણવેશનો લાભ મળવાનો છે, જેનાથી આંગણવાડીમાં જવા માટે બાળકોનો ઉત્સાહ વધવાનો છે. ગરીબ-મધ્યમવર્ગીય પરિવારોના બાળકો માટે ગણવેશની આ યોજના આવકારદાયક ગણાવી તેને બિરદાવવાની સાથોસાથ નર્મદા જિલ્લા માટે તે ખૂબજ ઉપયોગી બની રહેશે, તેવો દ્રઢ વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

શ્રી મનસુખભાઇ વસાવાએ વધુમાં ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજ્યભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ રાજ્યના આંગણવાડીના બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાં- ખિલવવાં માટેના અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. દેશ અને વિશ્વમાં કોવિડ-૧૯ ની મહામારીમાં પણ આંગણવાડી બંધ હોવા છતાં આંગણવાડીના બાળકોને પૂરતા પ્રમાણમાં પોષણયુક્ત આહાર મળી રહે તેમજ સેટકોમના માધ્યમથી શિક્ષણ મળી રહે તે રીતનું આયોજન સરકારશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રી વિજ્યભાઇ રૂપાણીએ આજે રાજ્યની આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ કરીને બાળકોને પ્રોત્સાહિત કરવાનું કામ કર્યુ છે. નર્મદા જિલ્લામાં આંગણવાડીમાં કામ કરતી બહેનોએ વૈજ્ઞાનિક ઢબે બાળકોને ઉત્તમ રીતે શિક્ષણ આપવાનું કાર્ય પણ કર્યું છે. શાળા પ્રવેશોત્સવ વખતે ધો-૧ માં પ્રવેશ મેળવતું બાળક હસતાં-હસતાં શાળાએ આવે છે તેની પાછળનું કારણ પણ આંગણવાડીમાં અપાતું શિક્ષણ છે, તેમ જણાવી રાજ્યમાં દાહોદ અને નર્મદા જિલ્લો એસ્પિરેશનલ જિલ્લો હોઇ, શિક્ષણ થકી જ આ જિલ્લાનો વિકાસ થશે તેમ શ્રી વસાવાએ ભારપૂર્વક ઉમેર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है