
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,માંગરોળ કરૂણેશ ચૌધરી
ભાદરવે ભરપૂર ચારેકોર જળબંબાકાર:
માંગરોળ: સુરત જિલ્લાના માંગરોળમાં ગત રોજ ટૂંકા વિરામ બાદ વાતાવરણમાં પલટો આવતા મેઘરાજનો કહેર વરસાતા જાણે આભ ફાટ્યું હોય એવા દ્રશ્યયો સર્જાયા હતા, અને બે કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ ખાબકતા માર્ગો, નદી, નાળા, ખેતરો પાણીથી રેલમ છેલ થઈ જવા પામ્યા હતા, અવિરત પડેલા વરસાદથી મોસાલી બજારનો માર્ગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, ખેતરો પણ પાણીથી ઉભરાઈ ગયા હતા, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો, જેથી ખેતરો ફરી પાણીથી ભરાઈ જતા ખેડૂતોની સ્થિતિ ખુબજ ખરાબ થઈ જવા પામી છે, માંગરોળમાં ૮૪ ઇંચ વરસાદ પડી ચુક્યો છે, આ વરસાદથી માંગરોળથી વકીલપરા જતા માર્ગ ઉપર આવતું ગળનાળુ ધોવાઈ જતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે અને અનેક ગામ સંપર્ક વિહોણા થયા હતા
આ માર્ગનો ઉપયોગ દશ જેટલા ગામોનાં લોકો કરે છે અને દસ જેટલા ગામોને જોડતો આ મુખ્ય માર્ગ હોય જેથી લોકોને ઘણી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, જો કે માંગરોળના સરપંચ નિકેશકુમાર વસાવાએ આ તત્કાલ નિર્ણય લઈ ગળનાળુ મોટા વાહનો માટે બંધ કરી દીધું છે, સાથે જ આ અંગેની જાણ માર્ગ અને મકાન વિભાગની, માંગરોળ કચેરીને કરી દેવામાં આવી છે, કચેરી દ્વારા હાલમાં કામચલાઉ અવર જવર થઈ શકે એ માટે યોગ્ય સમારકામ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.