
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત પેટર્ન યોજનામાં કૌભાંડ અને ગેરરીતી મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખ્યો:
અગાઉની મિટિંગમાં ધારાસભ્ય સહિતના ચૂંટાયેલા સભ્યો તથા કલેકટર દ્વારા જે કામ નક્કી કરવામાં આવ્યા હતા, તે કામોને પ્રભારી મંત્રી દ્વારા રદ કરવામાં આવતા ધારાસભ્ય ચૈતર વસાવા કલેક્ટરની ઓફિસ બહાર ધરણા પર બેઠા
પ્રભારી મંત્રી તથા કેટલીક બહારની એજન્સીઓએ ફાઈલો ઘરે મંગાવીને પોતાની રીતે ૧૦ કરોડથી પણ વધુ રકમનું બિનજરૂરી બારોબાર આયોજન કરી દીધેલ છે: ચૈતર વસાવા
સર્જન વસાવા, નર્મદા: ગુજરાત પેટર્ન યોજનાના વર્ષ 2024-25ના આયોજન માટે અગાઉની મિટિંગમાં ધારાસભ્ય સહિતના ચૂંટાયેલા સભ્યો તથા કલેકટર દ્વારા 30 કરોડના જે કામ નક્કી કરવામાં આવ્યા હતા, તે કામોને પ્રભારી મંત્રી દ્વારા ફાઈલોને ગાંધીનગર મંગાવીને રદ કરવામાં આવતા ધારાસભ્ય ચૈત્રર વસાવા કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેઠા. આ જ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ગુજરાત પેટર્ન યોજના વર્ષ ૨૦૨૪-૨૫ના આયોજન અને નર્મદા પ્રભારી મંત્રી દ્વારા ગેરરીતી કરવા બાબતે પત્ર લખ્યો હતો. આ પત્રમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાત પેટર્ન યોજના વર્ષ: ૨૦૨૪-૨૫ નર્મદાના આયોજન અંગેની નર્મદા જિલ્લા આદિજાતી વિકાસ મંડળની બેઠક ભીખુસિંહ ચતુરસિંહ પરમાર, અધ્યક્ષ જિલ્લા આદિજાતી વિકાસ મંડળ અને નર્મદા જિલ્લા પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને તા. ૧૨/૧૨/૨૦૨૪ નાં રોજ બપોર ના ૧૫:૦૦ કલાકે, સ્થળ: કોન્ફરન્સ હોલ કલેકટરની કચેરી નર્મદા ખાતે મળેલ હતી.
ગુજરાત પેટર્ન યોજના વર્ષ: ૨૦૨૪-૨૫ના નાણાકીય વર્ષમાં નર્મદા જિલ્લાના લોકોના સુખાકારી માટે ૩૦૬૮ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. આ યોજનાના શર સદર સરકારના તા.૦૮/૦૫/૨૦૧૨ તથા તેને આનુષંગિક તા. ૧૦/૧૦/૨૦૨૪ ના સુધારેલા ઠરાવોની જોગવાઈઓ અનુસાર આ યોજનાના અમલ હેતુસર નર્મદા જિલ્લાની તાલુકા કક્ષાએ તાલુકા આદિજાતી વિકાસ સમિતિ દેડીયાપાડા અને સાગબારાની તા. ૨૮/૧૧/૨૦૨૪ ના રોજ મળેલ. જેમાં નિયુક્ત સભ્યો સર્વ સંમતિથી મર્યાદાઓમાં આવરી સબંધિત અમલીકરણ અધિકારીઓને રજુ કરવામાં આવેલ હતું અને જિલ્લા આદિજાતી વિકાસ મંડળની બેઠકમાં બહાલી અર્થે રજુ કરી ચર્ચાઓને અંતે સત્ય સંમતિથી મંજુરીની આગળની કાર્યવાહીઓ હાથ ધરવા જિલ્લા આદિજાતી વિકાસ મંડળમાં સર્વાનુમતે ઠરાવ્યું હતું.
પરંતુ આ આયોજનમાં પ્રભારી મંત્રી તથા કેટલીક બહારની એજન્સીઓ આ ફાઈલો ઘરે મંગાવી, પોતાની રીતે ૧૦ કરોડથી પણ વધુ રકમનું બિન જરૂરી બારોબાર આયોજન કરી દીધેલ છે. અને અમલીકરણ અધિકારીઓ પર દબાણ લાવી દરખાસ્તો તૈયાર કરાવેલ છે. જેની તપાસ કરાવવા અને આ આયોજન ફરી જિલ્લા આદિજાતી વિકાસ મંડળની બેઠક બોલાવવા મારી માંગ છે. આ જ રીતે અંબાજીથી ઉમરગામની ટ્રાઇબલ સબપ્લાનની તમામ ગ્રાન્ટોમાં પ્રભારી મંત્રીઓએ બહારની એજન્સીઓના ઈશારે કરોડોનો ભ્રષ્ટાચાર કરે છે. તેમ ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપો કર્યા છે.