દક્ષિણ ગુજરાતબ્રેકીંગ ન્યુઝ

દેડીયાપાડા તાલુકામાં બર્ડ ફલૂની એન્ટ્રી 4 કાગડાના રિપોર્ટ પોઝીટીવ: આજુબાજુના ૦૧ કિલોમીટર ત્રિજ્યાવાળા (ચેપગ્રસ્ત) મહેસુલી વિસ્તારમાં કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

  • નર્મદા જિલ્લામાં માં બર્ડ ફલૂ નો પ્રથમ પોઝિટિવ કેસ મળી આવ્યો:
  • દેડીયાપાડા તાલુકાના નાની બેડવાણ તથા ઇંદલાવી ગામની આજુબાજુના ૦૧ કિલોમીટર ત્રિજ્યાવાળા (ચેપગ્રસ્ત) મહેસુલી વિસ્તારમાં કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ:
  • અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ તકેદારી ના ભાગ રૂપે જાહેરનામું બહાર પાડ્યું:

રાજપીપલા:- હાલમાં તા.૧૦/૦૧/૨૦૨૧ના રોજ નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના નાની બેડવાણ તથા ઇંદલાવી ગામ ખાતે મળી આવેલ મૃત કાગડાના સેમ્પલનું પરિણામ Positive For Avian Influenza Virus BY Real RT PCR જણાઇ આવેલ છે. આ એવીઅન ઇન્ફ્લુએન્ઝા વાઇરસ દ્વારા બર્ડ ફ્લુનો રોગ અન્ય પક્ષીઓમાં પણ ફેલાવાની શકયતા રહેલ છે. આ રોગ મુખ્યત્વે પક્ષીઓમાં જોવા મળે છે અને જલ્દીથી પ્રસરી શકે છે. આ રોગના સંક્રમણ વખતે પક્ષીઓમાં શ્વાસોશ્વાસ સંબંધી તથા આંખોમાં લાલાશ જેવા ચિન્હો જણાય છે. જેમાં ખાંસી, નાકમાંથી પાણી પડવું, નબળાઇ જેવા ચિન્હો જોવા મળે છે.

આ રોગ ચેપી પક્ષીના સ્ત્રાવ, અઘારના સંમ્પર્કમાં આવવાથી તથા આવા પક્ષીના સંપર્કમાં આવેલ ખોરાક, પાણી, વસ્તુઓના સંપર્કથી અન્ય પક્ષીઓમાં ફેલાઇ શકે છે. આ રોગ ભાગ્યે જ માણસમાં ફેલાય છે. આમ છતાં બર્ડ ફ્લુ સંક્રમિત પક્ષીઓના ચેપ તેના સીધા સંપર્કમાં આવનાર મનુષ્યને લાગવાની શકયતાને ધ્યાને લઇ સાવચેતી અને સતર્કતા રાખવી આવશ્યક છે. જેથી આ રીતે આ ગંભીર ચેપીરોગને ફેલાતો અટકાવવા તકેદારીના ભાગરૂપે જાહેર હિતમાં કેટલાક નિયંત્રણો મુકવાની જરૂરીયાતને અનુલક્ષીને નર્મદા જિલ્લાના અધિક મેજીસ્ટ્રેટશ્રી એચ.કે.વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩(૧૯૭૪ નો બીજો અધિનિયમ)ની કલમ-૧૪૪ અન્વયે નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના નાની બેડવાણ તથા ઇંદલાવી ગામની આજુબાજુના ૦૧ (એક) કિલોમીટર ત્રિજ્યાવાળા (ચેપગ્રસ્ત) મહેસુલી વિસ્તારમાં નીચેના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

તદ્દઉપરાંત, સદર અસરગ્રસ્ત વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે મરઘા પાલનને લગતી કોઇપણ પ્રવૃતિ જેવી કે ઇંડા, મરઘા, મરઘાની અગાર તથા મરઘા ફાર્મની સાધન સામગ્રી અંદર અથવા બહાર લઇ જવા પર પ્રતિબંધ રહેશે. સદર અસરગ્રસ્ત વિસ્તારમાં પોલ્ટ્રી સાથે કામ કરતા માણસોએ રક્ષણાત્મક પહેરવેશ પહેરવાનો રહેશે. દા.ત.ખેસ, માસ્ક, મોજાં, ગમ બુટ, ડિસ્પોઝેબલ ગ્લોવ્સ વિગેરે. સદર અસરગ્રસ્ત વિસ્તારમાં અંદર કે બહાર જવાની અવરજવર અનિવાર્ય સંજોગોમાં જ કરવાની રહેશે, અન્યથા પ્રતિબંધ ગણાશે.સદર અસરગ્રસ્ત વિસ્તારમાં પાણીના સંપર્કમાં બહારથી આવતા પક્ષીઓ ન આવે તે માટે વ્યવસ્થા કરવાની રહેશે. દરેક વ્યક્તિએ સદર અસરગ્રસ્ત વિસ્તારમાં ચેપ ન લાગે તે માટેના તમામ રક્ષણાત્મક તકેદારીના પગલાં લેવાના રહેશે.

ઉપરોકત તમામ પ્રતિબંધોની ચુસ્તપણે અમલવારી થાય તે માટે સંબધિત વિભાગો જેવા કે પોલીસ વિભાગ/ પશુપાલન વિભાગ/ વન વિભાગ/ જિલ્લા પંચાયત/ તાલુકા પંચાયત તેમજ ગ્રામ પંચાયત તથા સંબંધિતોએ નિયમોનુસાર કાર્યવાહી કરવાની રહેશે.
ઉક્ત જાહેરનામામાં દર્શાવેલ અપવાદ અન્વયે આ જાહેરનામાની જોગવાઇઓ વહિવટી તંત્ર દ્વારા ફરજના ભાગરૂપે અધિકૃત કરાયેલ સરકારી ફરજ પરની વ્યક્તિઓ તથા અધિકૃત કરાયેલ વાહનો (સરકારી/ ખાનગી સહિત)ને લાગુ પડશે નહિ. આમ છતા તેઓએ સરકારશ્રીની સુચના મુજબની તમામ તકેદારી રાખવાની રહેશે.

નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના નાની બેડવાણ તથા ઇંદલાવી ગામના આજુબાજુના ૦૧ (એક) કિલોમીટર ત્રિજ્યાવાળા (ચેપગ્રસ્ત) મહેસુલી વિસ્તાર. આ જાહેરનામાની અમલવારી તા.૧૫/૦૧/૨૦૨૧ ના ૦૦.૦૦ કલાકથી તા.૧૫/૦૩/૨૦૨૧ના ૨૪.૦૦ કલાક સુધી કરવાની રહેશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है