
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, સુરત ફતેહ બેલીમ
સરસાણા ખાતે વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે ૧,૪૩૨ ઉમેદવારોને રોજગાર નિમણુકપત્રો અને એપ્રેન્ટિસશિપ કરારપત્રો અર્પણ કરાયા :
સુવિધાજનક વિકાસકામો, પ્રજાહિતને સ્પર્શતા પ્રોજેક્ટોમાં અનેક લોકોને રોજગારી પ્રાપ્ત થઈ રહી છે, સરકારે શ્રેણીબદ્ધ રોજગાર મેળાઓનું આયોજન કરી યુવાઓને રોજગારીના અવસરો ઉપલબ્ધ કરાવ્યા:- વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશભાઈ મોદી
૫,૯૦૦ ઉમેદવારોને ઓનલાઈન માધ્યમથી નિમણુંકપત્રો અને એપ્રેન્ટિસશિપ કરારપત્રો મોકલવામાં આવ્યા :
સુરત: વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન,પ્રવાસન અને યાત્રાધામ વિકાસમંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર, પ્લેટીનમ હોલ ખાતે રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તથા સુરત મહાનગર પાલિકા દ્વારા આયોજિત સમારોહમાં ૧,૪૩૨ ઉમેદવારોને રોજગાર નિમણૂંકપત્રો અને એપ્રેન્ટિસશિપ કરારપત્રો અર્પણ કરાયા હતા, જેમાં SMCમાં ૬૩૬, એપ્રેન્ટિસશીપમાં ૩૫૦, GMDCમાં ૦૫, GSRTCમાં ૨૯, RTO વિભાગમાં ૧૨ તથા રોજગાર વિભાગથી ૪૦૦ એમ કુલ ૧,૪૩૨ ઉમેદવારોને કરારપત્રોનું વિતરણ કરાયું હતું. તેમજ ૫,૯૦૦ લોકોને ઓનલાઈન નિમણુંકપત્રો અને એપ્રેન્ટિસશિપ કરારપત્રો મોકલવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે,મર્યાદિત સરકારી નોકરીઓની સામે આજે રાજ્ય સરકારના પ્રયાસોથી પ્રાઈવેટ સેક્ટરમાં રોજગારીની નવીન તકોનું નિર્માણ થયું છે. સરકાર માત્ર તાલીમ અને કૌશલ્યવર્ધન જ નહીં, પરંતુ શ્રેણીબદ્ધ રોજગાર મેળાઓનું આયોજન કરી યુવાઓને રોજગારીના અવસરો ઉપલબ્ધ કરાવ્યા છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, સુવિધાજનક વિકાસકામો, પ્રજાહિતને સ્પર્શતા પ્રોજેક્ટોના કામોમાં પણ અનેક લોકોને રોજગારી પ્રાપ્ત થઈ રહી છે, સરકારના મહત્વના પ્રોજેકટોમાં નાના-મોટા અનેક વર્ગોના લોકોને મહત્તમ રોજગારી મળી રહે તેના પર પણ સરકાર વિશેષ ધ્યાન આપી રહી છે.
રાજ્ય તથા રાષ્ટ્રમાં ઔદ્યોગીકરણનો વ્યાપ વધ્યો છે એનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ ઉભરી રહેલા નવા ક્ષેત્રોમાં વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવેળા કુશળ ઉમેદવારોને રોજગારી- સ્વરોજગારીની વિપુલ તકો મળી રહી છે. ગુજરાત રાજ્યમાં એક લાખ જેટલા રોજગારવાંચ્છુ યુવક-યુવતીઓનું સ્કીલ ડેવલપમેન્ટ, તાલીમબદ્ધ કરવા સાથે નિયત સ્ટાઈપેન્ડ આપવાના ધ્યેય સાથે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના’નું સુદ્રઢ અમલીકરણ કર્યું છે.
વર્ષ ૨૦૦૨થી રોજગાર આપવામાં ગુજરાત અગ્રેસર છે એમ જણાવી મંત્રીશ્રીએ તાલીમબદ્ધ અને સ્કીલ્ડ યુવાધનને ઝડપથી રોજગાર મળે તેવો લક્ષ્યાંક સેવ્યો છે એમ તેમણે કહ્યું હતું. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, દક્ષિણ અને મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતા અનેક રસ્તાઓને તૈયાર કરી માસ ટ્રાન્સપોર્ટેશનને સરળ બનાવ્યું છે. સ્મુધ ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટીથી પ્રવાસનક્ષેત્રને અઢળક ફાયદો થઈ રહ્યો છે, અને રોજગારીની વિપુલ તકોનું સર્જન થઈ રહ્યું છે.
દેશના પ્રત્યેક નાગરિકને શિક્ષણ, આરોગ્ય, વેપાર તેમજ ઉદ્યોગને જોડતી માસ કનેક્ટિવિટી પ્રદાન કરી આત્મનિર્ભરતા તરફ આગેકૂચ કરવાના સરકારના સંકલ્પને યથાર્થ કરવાની નેમ મંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી વિવેક પટેલ, ડે.મેયર શ્રી દિનેશભાઈ જોધાણી, ડે. મ્યુ. કમિશનર સ્વાતિબેન દેસાઈ, દંડકશ્રી વિનોદભાઈ પટેલ, રોજગાર અધિકારીશ્રી એસ.કે.ગોહિલ તેમજ રોજગાર અને એપ્રેન્ટીસ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.