
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
નવનિયુક્ત પાણી પુરવઠા રાજ્ય મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીએ તાપી જીલ્લાના ઉકાઇ ડેમની મુલાકાત લીધી હતી;
તાપી-વ્યારા : નવ નિયુકત રાજ્યનાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળના નવનિયુક્ત રાજયના કલ્પસર અને મત્સ્યોદ્યોગ નર્મદા, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરી આજે સમગ્ર દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપી નદી ઉકાઈ ડેમની મુલાકાતે આવ્યા હતાં, મુલાકાત લઇ તેઓએ તાપી મૈયાની પૂજા-અર્ચના કરી હતી. મંત્રીશ્રીએ ઉકાઈ ડેમ ખાતે ઉકાઈ જળાશયમાં શ્રીફળ અર્પણ, આરતી કરી નીરના વધામણા કર્યા હતા.
મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરી એ વિપુલ જળ રાશિનું પૂજન અર્ચન કરતા ધન્યતા અનુભવી હતી. પૂજા-અર્ચના કરી મંત્રીએ ઉકાઈ જળાશયની મુલાકાત લઈ સંગ્રહિત પાણીની સપાટી, છોડવામાં આવી રહેલ પાણીનો જથ્થો સહિત ડેમની ટેક્નીકલ જાણકારી મેળવી હતી. તેમણે ડેમનો કેચમેન્ટ એરિયા, પાણી છોડવાના ગેટ, ડાઉનસ્ટ્રીમ, લઘુત્તમ-મહત્તમ પાણીનું લેવલ જાળવણી, વિજ ઉત્પાદન પ્રક્રિયા સહિત વિવિધ ટેકનીકલ પાસાઓની સબંધિત અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી હતી.
મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીની આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ સુરજ વસાવા, ડેમના અધિક્ષક ઈજનેર એસ.આર.મહાકાલ, કા.પા.ઈ. જે.એમ.પટેલ, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ મેમ્બર ડો. જયરામભાઈ ગામીત અને સામાજિક આગેવાનો, પ્રતિનિધિઓ, સિંચાઈ વિભાગના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ મંત્રીશ્રીએ ઉકાઈ ખાતેથી શરૂ થયેલ જન આશીર્વાદ યાત્રામાં જોડાયા હતા.