
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ગુજરાત રાજ્યના તમામ વિભાગોના ટેન્ડર તા. ૮ જાન્યુઆરીથી અચોક્કસ મુદત સુધી ભરવાનું બંધ:
ભરૂચ-નર્મદા જીલ્લા કોન્ટ્રકટર એસોસીએશનના પ્રમુખ મધુભાઇ જૈનની યાદી જણાવે છે કે, ગુજરાત સરકારમાં માર્ગ અને મકાન વિભાગ, સિંચાઇ વિભાગ, નિગમો, પંચાયતો, અર્બન ડેવલપમેન્ટો વિભાગ, પોલીસ આવાસો નગરપાલિકાઓ તેમજ અન્ય વિભાગોમાં કોન્ટ્રાકટરો વર્ષોથી જુના ભાવે કામો કરી રહ્યાં છે. છેલ્લા 6 થી 8 માસમાં વપરાતા સ્ટીલ, સિમેન્ટ, ડામર, રેતી, કપચી, ઇંટો સહિતના અન્ય બિલ્ડીંગ મટીરીયલ્સ તેમજ ટ્રાન્સપોર્ટેશન તથા કારીગરો અને મજૂરીનાં ભાવોમાં આશરે 30% થી 40% જેટલો અસહ્ય ભાવ વધારો થયો છે. જેથી ચાલુ કામો કોન્ટ્રાકટરો દ્વારા પુરા કરવા શક્ય નથી, તેથી ભાવ વધારો મેળવવા માટે સરકારશ્રીમાં રજુઆત કરેલ છતાં પણ સરકારશ્રી તરફથી કોઈ હકારાત્મક ઉકેલ આવેલ નથી. તેમજ સરકારી રોડના કામોમાં આયાતી ડામર વાપરવાની છુટ માટે પણ રજૂઆત કરેલ હતી તેમજ કોન્ટ્રાકટરના બાકી પ્રશ્નો લાંબા સમયથી પડતર છે. તેથી કોન્ટ્રાક્ટરોની તા.03-01 2022ની મીટીંગમાં ગુજરાત રાજ્યના તમામ વિભાગોના ટેન્ડર તા.08-01-2022થી અચોક્કસ મુદત સુધી ભરવાનું બંધ કરવાનું નક્કી કરવામાં આવ્યું, તેમજ આ પ્રકારની સંમતિ દર્શાવતા ગુજરાત રાજ્યના બધાજ જીલ્લાઓમાં કોન્ટ્રાકટરોએ મીટીંગ કરી સર્વસંમતિથી ઠરાવ કરેલ છે.
આ ઉપરાંત કોન્ટ્રાકટરોના ઉપર જણાવેલ પ્રશ્નોના ઉંકેલ માટે જુદા-જુદા જીલ્લાના સ્થાનિક ધારાસભ્યશ્રી, સંસદસભ્યશ્રીઓ તથા કલેકટરને આવેદનપત્ર આપેલ છે.
ગુજરાત રાજ્યના જુદા-જુદા શહેરોમાં ચાલતા પ્રધાનમંત્રી આવાસ યોજનાના કામો સ્વયંભૂ બંધ થયેલ છે. રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના આશરે 1.50 (એક લાખ પચાસ હજાર) આવાસોનું કામ બંધ પડેલ છે. જેમાં આશરે 10 હજાર કરોડના કામો બંધ થવા પામેલ છે.
ઉપરોક્ત બાબતોની જાણ કરતા આવેદનપત્રો તા.06-01-2022ના રોજ મુખ્યમંત્રીશ્રી તથા સંબંધિત મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓને પણ આપેલ છે.
ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશન અપેક્ષા રાખે છે કે, તાકીદે સરકારશ્રી તરફથી અમારી સાથે રૂબરૂ ચર્ચા કરી હકારાત્મક ઉકેલ લાવવામાં આવે. જો કોઇ ઉકેલ ન આવે તો બીજા તબક્કામાં ગુજરાત રાજ્યના તમામ સરકારી કામો બંધ કરવાની ફરજ પડશે.