
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
“સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમ નર્મદા જિલ્લો : નર્મદા જીલ્લાના એકતા નગર (કેવડિયા) ખાતે ગુજરાતી સૌરાષ્ટ્ર તમિલ યાત્રિકોનો અનોખો સંગમ
એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્રનો ભાવ સૌના દિલમાં જાગી ઉઠ્યો:
“સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમના યાત્રિકોની સફર આજે વડોદરાથી એકતાનગર-કેવડિયા ખાતે આવી પહોંચતા ભવ્ય પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું : ૩૦૦ મહેમાનોનો પ્રથમ પડાવ કેવડિયા આવી પહોંચતા ૨૦ થી ૩૦ એપ્રિલ સુધી યાત્રિકો તબક્કાવાર એકતાનગરનો પ્રવાસ કરશે:
“સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમ અંતર્ગત આજે નર્મદા જિલ્લાના એકતાનગર – કેવડિયા ખાતે ૩૦૦ યાત્રિકોનો પ્રથમ પડાવ ટેન્ટસિટી – ૨ ખાતે વડોદરાથી બસ મારફતે આવી પહોંચ્યો હતો. તમિલનાડુના યાત્રિકોનો છોટાઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડૉ. દર્શનાબેન દેશમુખ, જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, SoUADTGA ના મુખ્ય કારોબારી અધિકારીશ્રી ઉદિત અગ્રવાલ તથા જિલ્લા સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ દ્વારા ઉમળકાભેર પુષ્પગુચ્છ અને ફુલ આપી પ્રત્યેક યાત્રિકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તમિલનાડુ અને ગુજરાતના કલાકારો દ્વારા સંગીતમય રીતે ઢોલ, નગારા, શરણાઈ અને પરંપરાગત નૃત્ય દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રિકો અને કલાકારો ઉત્સાહ ઉમંગ સાથે ઝૂમી ઉઠ્યા હતા. તમિલ યાત્રિકોએ ગુજરાતીમાં કેમ છો…. મજામાં છો…. બહુ મઝા આવી….. નમસ્તે તેમ બોલીને ખુશી વ્યક્ત કરી આનંદનો અપાર પ્રેમ પ્રગટ કર્યો હતો. સોમનાથ, દ્વારકા ત્યારબાદ એકતાનગરના આવકારથી ભાવવિભોર બન્યા હતા. સરદાર સાહેબની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમા જોતાં જ “અરે વાહ …બ્યુટીફૂલ”ના શબ્દો તેમના મુખેથીસરી પડ્યા હતા. જંગલ પ્રકૃતિ, નર્મદા ડેમ, ટેન્ટન્સિટી, રોડ – રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગુજરાતનો વિકાસ અને વિકાસ મોડેલને નિહાળીને ધન્યતા સાથે એકતા, ભાઈચારાના ભાવ સાથે આ ટુર મદુરાઈથી શરૂ કરીને યાદગાર બનાવી અવિસ્મરણીય- અકલ્પનીય અદભુત નજારો જોઈને મહેમાનોનો ખુશીનો પાર રહ્યો નથી. ગુજરાતના લોકો દ્વારા ઠેર ઠેર રેલવે સ્ટેશન અને યાત્રાધામ સ્થળોએ સ્વાગત સત્કાર કર્યો તેના વર્ણન માટે તેમની આ પ્રવાસીઓ પાસે શબ્દો રહ્યા નથી.
મહેમાનોએ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન એક ભારત શ્રેષ્ઠ ભારત, વિકાસની દીર્ઘદ્રષ્ટિને સો સો સલામ કરી ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો પણ તહેદિલથી આભાર વ્યક્ત કર્યો હતો. સાથે કાર્યક્રમના શુભારંભમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રીશ્રી રાજનાથસિંહ અને કેન્દ્ર – રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સંગઠનના હોદ્દેદારોનો જે પ્રેમભાવ મળ્યો છે તેનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ અને આ યાત્રાનો અવસર અને તમિલ સંગમ કાર્યક્રમ થકી સંસ્કૃતિ, કલા, વારસો, ભાષા, ભવ્ય ઇતિહાસ, બોલીને ઉજાગર કરવામાં આ કાર્યક્રમ એક સ્વર્ણિમ પૃષ્ઠ બનીને રહી ગયું છે.
આ પ્રસંગે તમિલ સંગમ કાર્યક્રમના તામિલનાડુના કન્વીનર સુશ્રી એ. આર. મહાલક્ષ્મી અને તમિલનાડુના પર્યાવરણ સ્ટેટ પ્રેસિડન્ટશ્રી ગોપીનાથજીએ તમિલનાડુ સેલમ અને યુવાયાત્રીકો તેમજ હરેરામ નામના વિદ્યાર્થીએ કાર્યક્રમ સંદર્ભે સરાહનીય પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. એકતાનગર ખાતે આવીને અપાર ખુશી થઈ હોવાનું અભિવ્યક્ત કર્યું હતું.
આ પ્રવાસીઓ ટેન્ટસિટી ખાતેથી જુદા જુદા ત્રણ ગ્રુપમાં કુલ છ બસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના વિવિધ પ્રોજેક્ટની મુલાકાત કરશે. જે પૈકી સૌથી પહેલાં એકતાના પ્રતિક એવા એકતા મોલ ખાતે પહોંચીને એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રતીક એકતા મોલમાં આવેલા વિવિધ સ્ટોલ્સની મુલાકાત કરશે. ત્યારબાદ આ પ્રવાસીઓ ત્રણેય ગ્રુપમાં વિશ્વ વન, જંગલ સફારી, પેટઝોન, આરોગ્યવન, મિયાંવાકી, વેલી ઓફ ફ્લાવર, ગ્લોગાર્ડન, એકતા નર્સરી, વિશ્વ વન, ડેમ વ્યુ પોઇન્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, પ્રોજેક્શન મેપિંગ-શો, નર્મદા આરતી સહિતના વિવિધ સ્થળોની મુલાકાત કરશે. રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમનો ટેન્ટસિટી – ૨ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળશે.
આ પ્રસંગે કાર્યક્રમના નોડલ અધિકારીશ્રી અને જિલ્લાના પ્રાયોજના વહીવટદારશ્રી હનુલ ચૌધરી, નાયબ કલેકટરશ્રી પ્રોટોકોલ અને કાર્યક્રમના સહ નોડલ અધિકારીશ્રી એન. એફ. વસાવા, નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદ મછાર, પ્રાંત અધિકારીશ્રી શૈલેષ ગોકલાણી, નાયબ પોલીસ અધિક્ષક સર્વશ્રી સુશ્રી વાણી દૂધાત, શ્રી જયવીરસિંહ ઝાલા, સ્ટેચ્યુ ઓફ યુનિટીના જનસંપર્ક અધિકારીશ્રી રાહુલ પટેલ, આઈઆરસીટીસીના અધિકારીશ્રીઓ, ગુજરાત પ્રવાસન નિગમના અધિકારીશ્રીઓ સહિત જિલ્લા સંગઠનના હોદ્દેદારો, અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા