
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વેબ ટીમ
કેન્દ્રીય શીપીંગ રાજ્ય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા બે દિવસની ભાવનગરના વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે:
મ્યકોરમાઇસીસની સારવારના સંશાધનો અને સાધનો માટે પોતાની ગ્રાન્ટમાંથી તુરંત જ રૂા. ૭૫ લાખનું અનુદાન જાહેર કર્યું:
કોરોનાની જેમ મ્યુકોરમાઇસીસ જેવાં રોગ સામે અગાઉથી સાવધાની અને સાવચેતી જરૂરી: કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા
સર ટી. હોસ્પિટલમાં તજજ્ઞ ડોક્ટરો સાથે સંવાદ સાધી કોરોના અને નવા ફેલાયેલા મ્યુકોરમાઇસીસ તથા તેની સારવાર- સંશોધન વિશેની વિશદ ચર્ચા કરી:
કેન્દ્રીય શીપીંગ રાજ્ય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા બે દિવસની ભાવનગરના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પધાર્યા હતાં. તેઓની આ બે દિવસીય મુલાકાતમાં તેઓ તાઉ-તે વાવાઝોડાથી અસરગ્રસ્ત સરતાનપર બંદર સહિત અસરગ્રસ્ત લોકોને મળીને તેમને સાંત્વના પાઠવી હતી.
તેમની આ મુલાકાતમાં તેઓ કોરોનાથી અસરગ્રસ્ત લોકોના ખબર અંતર પૂછ્યાં હતાં. તેમજ ભાવનગરમાં ચાલતાં કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઇને કોરોનાની પરિસ્થિતિનું આકલન પણ કર્યું હતું.
કેન્દ્રીય મંત્રીશ્રીએ આજે બપોર બાદ સર ટી. હોસ્પિટલની મુલાકાત લઇ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટશ્રી ડો. જયેશ બ્રમ્હભટ્ટ પાસેથી કોરોના અને મ્યુકરમાઇસીસની વિગતો જાણીને મ્યુકોરમાઇસીસની સારવાર માટે સંશાધનો અને સાધનો વિશેની જાણીને તુરંત જ પોતાની ગ્રાન્ટમાંથી રૂા. ૭૫ લાખ આપવાની મીટીંગમાં જ જાહેરાત કરી પોતાના વતન માટેની લાગણીનો તેમણે પડઘો પાડ્યો હતો. કેન્દ્રીય મંત્રીશ્રીએ સર ટી. હોસ્પિટલમાં ઉભા કરવામાં આવેલ કોવિડ કોલ સેન્ટરની મુલાકાત લઇ ઉપલબ્ધ સેવા, વિડીયો કોલ સહિતની વિગતો જાણી હતી.
મંત્રીશ્રીએ ત્યારબાદ સર ટી. હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટરો પાસેથી કોરોના તથા મ્યુકોરમાઇસીસની સારવાર, સંશોધન અને ત્રીજો વેવ આવે તો તે માટેની તૈયારીઓ વિશે ઝીણામાં ઝીણી વિગતો વિશે લંબાણપૂર્વક ચર્ચા- વિચારણાં કરી હતી.
તેમણે કહ્યું કે, ભારત દેશમાં વસતિનું વૈવિધ્ય, ગેરમાન્યતાઓ, અંધશ્રધ્ધાઓ અને અનેક પ્રકારના વિચારોની વચ્ચે આપણે કોરોનાનો સફળતાપૂર્વક સામનો કરવામાં સફળ થયાં છીએ. મ્યુકોરમાઇસીસના ૧૦ વર્ષમાં આવતાં કેસ માત્ર ૧૦ દિવસમાં નોંધાયા છે. ત્યારે આ માટે અગાઉથી અગમચેતીના પગલાં લઇ શકાય તે માટે આજે સર ટી. હોસ્પિટલમાં તેનું વિગતવાર પ્રેઝન્ટેશન જોઇ તેની સારવાર માટે શું થઇ શકે તે માટેના પગલાઓની તજજ્ઞો સાથે વિશદ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, લોકોના સ્વાસ્થ્યની અસર દેશના અર્થતંત્ર પર પણ પડતી હોય છે. તેથી દેશના નાગરિકોના નિરામય માટે રેમડેસીવીર અને એમ્ફોટેરીસીન-બી ની રસીનો પૂરતો જથ્થો હવે દેશમાં જ ઉત્પાદિત થઇ રહ્યો છે અને આવતાં ડિસેમ્બર સુધીમાં આપણે જગતમાં સૌથી વધુ રસી ઉત્પાદન કરતાં દેશ તરીકેનું નામ દર્જ કરાવી શકીશું તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. એમ્ફોટેરીસીન-બી ની રસીની અછત ન થાય તે માટે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલાં પ્રયત્નોની ભૂમિકા પણ તેમણે આપી હતી.
કોરોના કાળમાં ડોક્ટરો, સેવાભાવી સંસ્થાઓએ જે પ્રયત્નો કર્યા છે તેને તેમણે બિરદાવી ભાજપ દ્વારા ઉભા કરાયેલ “વિસામો” ની સેવા દ્વારા હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાઓને રોકાવા સાથે જમવાની સગવડો વિશેની જાત માહિતી તેમણે રૂબરૂ મુલાકાત દ્વારા મેળવી હતી.
શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી વિભાવરીબેન દવેએ કેન્દ્રીય મંત્રીશ્રીને સર ટી. હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધઓ વિશે અવગત કરાવી કોરોના કાળમાં કોવિડ કેર સેન્ટરો ઉભા કરવાં માટે ડોક્ટર્સ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને બિરદાવ્યાં હતાં.
તેમણે ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને કારણે જ આપણે કોરોના પર ઘણે અંશે નિયંત્રણ મેળવવાં માટે સફળ થયાં છીએ. તેમણે કેન્દ્રીય મંત્રીશ્રીને મ્યુકોરમાઇસીસ માટે રૂા. ૭૫ લાખનું અનુદાન ફાળવવા માટે અભિનંદન આપ્યાં હતાં.
કેન્દ્રીય મંત્રીશ્રીની આ મુલાકાત વખતે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ, મ્યુનિસિપલ કમિશનરશ્રી એમ.એ. ગાંધી, કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરૂણ બરનવાલ, જિલ્લા ભાજપના પ્રમુખશ્રી મુકેશ લંગાળીયા, સર ટી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટશ્રી જયેશ ઉપાધ્યાય, ઉચ્ચ અધિકારીઓ તથા જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.