
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
નર્મદા જિલ્લામાં તા.૨૩ જૂનથી તા.૦૩ જુલાઇ દરમિયાન ધો.૧૦ અને ધો.૧૨ની પૂરક પરીક્ષા યોજાશે
પરીક્ષા સ્થળોની આસપાસ બિનજરૂરી ભેગા થવા તેમજ લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ
સર્જન વસાવા, દેડીયાપાડા: આગામી તા.૨૩-૦૬-૨૦૨૫ થી તા.૦૩-૦૭-૨૦૨૫ દરમિયાન સવારે ૯:૩૦ કલાકથી ૧૯:૩૦ કલાક સુધી નર્મદા જિલ્લામાં ગુજરાત રાજય શિક્ષણ બોર્ડની ધો.૧૦ અને ધો.૧૨ માટેની પૂરક પરીક્ષાઓ યોજાશે. ધો.૧૦ની પરીક્ષા જિલ્લાના ૩ કેન્દ્રો અને ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા ૧ કેન્દ્ર તથા ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા ૦૨ કેન્દ્રો પર યોજાશે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી સી.કે.ઉંધાડ દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે.
જાહેરનામા મુજબ, દરેક પરીક્ષા કેન્દ્ર તથા તેના ૧૦૦ મીટરની ત્રિજ્યામાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. માત્ર પરીક્ષાર્થીઓ અને ફરજ પરના અધિકૃત અધિકારીઓને જ પ્રવેશવાની મંજૂરી રહેશે. પરીક્ષા સ્થળોની આસપાસ બિનજરૂરી ભેગા થવા પર પણ પ્રતિબંધ રહેશે.
સાથે જ, નર્મદા જિલ્લાના તમામ ઝેરોક્ષ સેન્ટરોના માલિકો અને સંચાલકોને જાહેર પરીક્ષા સંબંધિત કોઈપણ પ્રકારનું સાહિત્ય, પ્રશ્નપત્રો કે જવાબવહીની નકલ કાઢવા પર રોક મૂકવામાં આવી છે. પરીક્ષાના સમયગાળામાં આ ઝેરોક્ષ મશીનો બંધ રાખવાનું સૂચન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, પરીક્ષા દરમ્યાન કોઈપણ પ્રકારના નકલ માટે મદદરૂપ બનતી પ્રવૃત્તિઓ તથા ઉપકરણો જેવી કે મોબાઈલ ફોન, કેલ્ક્યુલેટર, પુસ્તકો કે ઝેરોક્ષ નકલ જેવા સામાન પર પ્રતિબંધ રહેશે. ઉક્ત સમયગાળા દરમિયાન આ નિયમોનો ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
તમામ પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટરની ત્રિજ્યા વાળા વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ લાઉડસ્પીકર, વાજિંત્રો કે ડી.જે. સિસ્ટમ વગાડશે નહીં. તેમજ મકાનની બહાર આવતાં અવાજ સાથે લાઉડસ્પીકર વગાડવા પર પણ પ્રતિબંધ રહેશે.