
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ, પત્રકાર ફતેહ બેલીમ, સુરત
‘સ્વચ્છતા હી સેવા’: ‘એક તારીખ, એક કલાક મહાશ્રમદાન:
સુરત જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત ૧ ઓક્ટોબરના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યાથી એક કલાક માટે મહાશ્રમદાન હેઠળ સ્વચ્છતા અભિયાન યોજાશે:
જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને અધિકારીઓ સાથે બેઠક મળી:
તા.૨જી ઓકટોબરે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના અવસરે સ્વચ્છતાલક્ષી કાર્યક્રમો થશે:
ગામ-નગરોને સ્વચ્છ બનાવવાના અભિયાનમાં જોડાવા નાગરિકોને અનુરોધ:
મેગા સ્વચ્છતા ઝુંબેશના ભગીરથ કાર્યમાં પદાધિકારીઓ, જિલ્લા/તાલુકા પંચાયતોના પદાધિકારીઓ અને સભ્યો, સરપંચો અને ગ્રામ પંચાયત સભ્યો સહિતના આગેવાનો જોડાશે:
સુરતઃબુધવારઃ- ‘સ્વચ્છતા હી સેવાની એક માસની ઉજવણી અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તા.૧ ઓક્ટોબર-૨૦૨૩ના દિવસે દેશનાં તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન- પ્રતિનિધિઓની આગેવાની હેઠળ એક તારીખ, એક કલાક મહાશ્રમદાન સૂત્ર સાથે સવારે ૧૦.૦૦ વાગે મેગા સ્વચ્છતા ઝુંબેશ થશે. આ અભિયાનમાં જોડાઇ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના સ્વચ્છ ભારત- સ્વચ્છ ગુજરાતના સંકલ્પને સાકાર કરવા સુરત શહેર-જિલ્લાને વધુ સુદઢ અને સ્વચ્છ બનાવવાના અભિયાનમાં ભાગીદાર બનાવા કલેકટર આયુષ ઓકે સૌ નાગરિકોને અપીલ કરી છે..
જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટરાલય ખાતે બેઠક મળી હતી. બેઠકમાં તાલુકાના કક્ષાના અધિકારીઓ વચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, સમગ્ર ભારત દેશમાં તા.૧ ઓક્ટોબરના રોજ સવારે ૧૦.૦૦ થી ૧૧.૦૦ વાગ્યા દરમિયાન – એક તારીખ એક કલાક મહાશ્રમદાન હેઠળ સ્વચ્છતાના ઝુંબેશ યોજાશે. આ અવસરે સુરત જિલ્લાના તમામ ગામ તથા શહેરી વિસ્તારોમાં વોર્ડ વાઈઝ લોકભાગીદારી સાથે “એક તારીખ, એક કલાક મહાશ્રમદાન” સૂત્ર સાથે સાફ-સફાઈ અભિયાન થશે. આ અભિયાન હેઠળ સુરત મહાનગરપાલિકા, નગરપાલિકાઓમાં દરેક વોર્ડવાઈઝ, તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં દરેક ગામ, આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, શાળા, વિવિધ કચેરીઓના પ્રાંગણ, આસપાસના વિસ્તારો, પ્રવાસન સ્થળો, દરિયાકિનારા, ગૌ-શાળા, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો વગેરે સ્થળોએ મહાશ્રમદાન સહ મેગા સફાઈ ઝુંબેશ થશે. અભિયાન હેઠળ તમામ તાલુકાના નોડલ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે.
આ સ્વચ્છતાના કાર્યમાં મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોનાં પ્રમુખો અને સભ્યો, સરપંચો, ગ્રામ પંચાયત સભ્યો તેમજ જિલ્લા/તાલુકાના ઉચ્ચ અધિકારીઓ જોડાશે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એમ.બી.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, તા.રજીએ મહાત્મા ગાંધીની જન્મજયંતિને સ્વચ્છતા થકી જન આંદોલનની ઉજવણી કરવા માટે સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવશે, ગામોમાં પ્રભાત ફેરી, ગ્રામ સભા, રંગોળી સ્પર્ધા તથા સ્વચ્છતા અભિયાન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં હેલ્થ ચેકઅપ કેમ્પ સહિતના કાર્યક્રમોનું આયોજન થયું છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.કે.વસાવા, નિવાસી અધિક કલેકટરશ્રી વાય.બી.ઝાલા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તથા તાલુકા કક્ષાએથી પ્રાંત અધિકારીઓ જોડાયા હતા.