શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
૨૪મીએ ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’માં વર્ગ-૧ના અધિકારીઓ હાજર રહેશે
કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારે મહિનાની તા.૧૦મી સુધીમાં અરજી મોકલવી જરૂરી
સુરત: લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ અરજદાર વ્યકિતગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિવિષયક અને સર્વિસ મેટર સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં થતો ન હોય તો તેવા કામોનો નિકાલ આ કાર્યક્રમમાં કરવામાં આવશે. જે મુજબ સપ્ટેમ્બર મહિનાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૪મીએ અને જિલ્લા સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૫મીએ યોજાશે. તા.૨૪મીના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે સુરત જિલ્લા કલેક્ટરશ્રી કોઈ પણ એક તાલુકામાં ઉપસ્થિત રહેશે.
સ્વાગત કાર્યક્રમના ભાગરૂપે તા.૨૪મીના રોજ સવારે ૧૧.૦૦ વાગે જિલ્લાના વર્ગ-૧ના અધિકારીઓ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી પ્રશ્નોનું નિરાકરણ લાવશે. જેમાં મજુરા, ઉધના અને પુણા તાલુકામાં સુડાના મુખ્ય કારોબારી અધ્યક્ષ તેમજ નાયબ કલેક્ટર-સિટી પ્રાંત(દક્ષિણ), અબ્રામા, કતારગામ અને અડાજણ તાલુકામાં પોલીસ કમિશનર-સુરત શહેર તેમજ નાયબ કલેક્ટર-સિટી પ્રાંત(ઉત્તર), ઓલપાડ અને ચોર્યાસી તાલુકામાં સુરત ગ્રામ્યના પોલીસ અધિક્ષક તેમજ નાયબ કલેક્ટર ઓલપાડ પ્રાંત, કામરેજ અને પલસાણા તાલુકામાં જિલ્લા વિકાસ અધિકારી તેમજ નાયબ કલેક્ટર- કામરેજ પ્રાંત અધિકારી, બારડોલી અને મહુવા તાલુકામાં માંડવીના પ્રાયોજના વહીવટદાર (ટ્રાયબલ સબ પ્લાન તેમજ બારડોલી પ્રાંત અધિકારી તથા માંગરોળ, માંડવી અને ઉમરપાડા તાલુકામાં જિલ્લા વિકાસ ગ્રામ એજન્સીના નિયામક તેમજ માંડવી પ્રાંત અધિકારી હાજર રહેશે.
ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નો/રજૂઆતો અંગેની ‘મારી અરજી તાલુકા સ્વાગતમાં લેવી’ તેવા મથાળા સાથે ગામના તલાટીને સંબોધીને દર મહિનાની તા.૧૦મી સુધી આપવાની રહેશે. જેનો જે તે તાલુકામાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે. જયારે જિલ્લા કક્ષાના નિકાલ કરવાના કામ માટેની અરજી જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં મોકલી આપવી તેમ સુરત જિલ્લા કલેકટરશ્રીની યાદીમાં જણાવાયું છે.