![](https://gramintoday.com/wp-content/uploads/2023/07/7ca7bdd9-50a4-443a-8be0-de7cee5875e2-780x470.jpg)
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7વેબ પોર્ટલ
નિરાધાર વૃદ્ધનું એલ્ડર હેલ્પ લાઇન દ્વાર રેસ્ક્યુ કરી વૃદ્ધાશ્રમમાં આશ્રય અપાવ્યો:
રાજ્યના ૬૦ વર્ષ કે તેથી વધુ વયના નાગરિકોની મદદ માટે કાર્યરત એલ્ડર હેલ્પલાઇન-૧૪૫૬૭
રાજપીપલા : કેન્દ્ર અને રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા રાજ્યના ૬૦ વર્ષ કે તેથી વધુ વયના નાગરિકોના સુખી અને સ્વસ્થ વૃદ્ધત્વ જીવન માટે તમામ પ્રકારે સહાય પૂરી પાડવા માટે એલ્ડર હેલ્પલાઇન ૧૪૫૬૭ શરૂ કરવામાં આવી છે. એલ્ડરલાઈન અંતર્ગત વરિષ્ઠ નાગરિકો માટે માહિતી, સલાહ, સ્થળ પર મદદ અને ભાવનાત્મક ટેકો એમ ચાર પ્રકારે સહાય કરવામાં આવે છે. આ માટે સવારના ૮ થી સાંજના ૮ વાગ્યા દરમ્યાન નેશનલ હેલ્પલાઈન ફોર સીનીયર સીટીઝન (એન.એચ.એસ.સી)નો સંપર્ક કરી શકાય છે. નર્મદા જિલ્લાના વડામથક રાજપીપલામાં એક નિરાધાર વૃદ્ધ મળી આવતા એલ્ડરલાઈન દ્વારા તેમને વૃદ્ધાશ્રમમાં આશ્રય અપાવ્યો હતો.
એલ્ડરલાઇન નર્મદા ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર સુશ્રી વૈશાલીબેન વસાવાના જણાવ્યા અનુસાર શ્રી છગનભાઈ ભયજીભાઈ તડવી નામના આશરે ૭૫ વર્ષની ઉંમરના વૃદ્ધ રાજપીપલા રેલ્વે સ્ટેશનમાં એક મહિનાથી રહેતા હતા. રાજપીપલાના રહીશ શ્રી મનોજભાઈ માછીને આ વૃદ્ધ નિરાધાર હોવાની માહિતી મળતા તેની જાણ એલ્ડર હેલ્પલાઇન- ૧૪૫૬૭ પર ફોન દ્વારા કરી હતી. બાદમાં નર્મદા જિલ્લાના ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસરને શ્રી છગનભાઈ તડવી કાળીયા ભૂત પાસે એક દુકાનની બહાર હોવાની માહિતી મળતા ત્યાં પહોંચી વૃદ્ધનું કાઉન્સેલિંગ કરી તેમના પરિવાર વિશે પુછપરછ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મારા પરિવારમાં કોઈ નથી, હું રાજપીપલા રેલવે સ્ટેશન ખાટે એકલો જ રહું છું. એટલે મારે હવે વૃદ્ધાશ્રમ જવું છે. ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસરે હેલ્પ લાઈન નંબર-૧૦૦ની મદદ લઈને રાજપીપલામાં નિરાધાર વૃદ્ધ મળી આવ્યાં હોવાની માહીતી આપી આ વૃદ્ધને વૃદ્ધાશ્રમમાં લઈ જવા માટે મદદ માગી હતી. પોલીસકર્મી શ્રી સંતોષભાઈ વસાવા તેમજ શ્રી કલ્પેશભાઈ વસાવાએ તાત્કાલિક વૃદ્ધની મદદે સ્થળ પર પહોંચી ગયા હતા.
એલ્ડરલાઇન દ્વારા ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ સંચાલિત મોટા પીપરીયા વૃદ્ધાશ્રમના શ્રી કમલેશભાઈ રાઉલજીને આ અંગે વાત કરતા તેમણે આગળ આવીને મોટા પીપરીયા ગામે આવેલા વૃદ્ધાશ્રમ ખાતે આ વૃદ્ધને આશ્રય આપ્યો છે, જ્યાં આશ્રમ દ્વારા તેમની સાર સંભાળ લેવામાં આવી રહી છે. આ ઉમદાકાર્ય થકી શ્રી છગનભાઈ તડવીએ ખુશી વ્યક્ત કરી અને સંતોષની લાગણી અનુભવી હતી.