
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબીર તાલુકાઓની આદિજાતિ વિકાસ સમિતિની બેઠક યોજાઈ:
દિનકર બંગાળ, વઘઈ : આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય ગાંધીનગર પ્રાયોજના વહીવટદારની કચેરી ડાંગ આહવા દ્વારા ન્યુ પેટર્ન યોજના હેઠળના સને ૨૦૨૫-૨૬ ના કામોના તાલુકા કક્ષાના આયોજન માટે ડાંગ જિલ્લા પ્રાયોજના વહીવટદાર શ્રી આંનદ પાટીલ અધ્યક્ષપણા હેઠળ જિલ્લાના આહવા, વઘઇ અને સુબીર તાલુકાઓની આદિજાતિ વિકાસ સમિતિની બેઠક યોજવામા આવી હતી.
આ બેઠકમાં ગુજરાત વિધાનસભા નાયબ દંડક વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલની વિષેશ ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત શીટના ચૂંટાયેલ સભ્યશ્રીઓ/પદાધિકારીશ્રીઓ અને જુદાં જુદાં ખાતાના અમલીકરણ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.
જિલ્લાના વિવિધ ખાતામાંથી થતાં કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહર્ત વિગેરે સ્થાનિક પદાધિકારીઓની ઉપસ્થિતિમાં થાય તે અનિવાર્ય છે. તેમજ જરૂરીયાત વિસ્તારોમાં વિવિધ યોજનાઓનું અમલીકરણ કરવામાં આવે તેમ અધ્યક્ષ શ્રી આંનદ પાટીલે આ બેઠકમાં જણાવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યું હતું કે, ન્યુ ગુજરાત પેટર્ન યોજનાઓનું સુવ્યવસ્થિત અમલીકરણ કરવાં સાથે ખેતીવાડી અને બાગાયત વિભાગમાંથી દરેક લાભાર્થીઓને યોજનાઓનો લાભ મળી રહે, લોકોને માળખાકીય સુવિધાઓ મળી રહે તેમજ દરેક કામોમાં પારદર્શિતા જળવાઇ રહે તે દિશામાં કાર્ય કરવાં માટે જિલ્લાના અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતું.
પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરીના સભાખંડમાં યોજાયેલ આ બેઠકમાં આહવા તાલુકામા સંભવિત જોગવાઈ રૂ. ૧૧૨૯.૨૮ લાખ, વઘઇ તાલુકામા ૮૨૪.૦૩ લાખ અને સુબીર તાલુકામા રૂ. ૬૬૪.૩૮ લાખના જુદાં જુદાં વિકાસના સદરો જેવા કે, પાક વ્યવસ્થા, પશુપાલન-ડેરી વિકાસ, મત્સ્યઉદ્યોગ, વન વિકાસ, ગ્રામ વિકાસ, નાની સિંચાઇ, વિસ્તાર વિકાસ, માર્ગ અને પુલ, નાગરિક પુરવઠો, તાંત્રિક વિકાસ, તબીબી અને જાહેર આરોગ્ય, શ્રમ અને રોજગાર, પોષણ અને મધ્યાહન ભોજન જેવા સદરોમા તાલુકાની જે તે સદરોની જોગવાઈ મર્યાદામાં જરૂરિયાત અને અગ્રિમતા મુજબના કામોનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
બેઠકોમા તાલુકાના તમામ ગામોમાં સર્વાંગી વિકાસ લક્ષી યોજનાઓના અમલ બાબતે પણ વિગતે ચર્ચા-વિચારણા કરવામા આવી હતી અને જરૂરીયાત મુજબના વિવિધ કામોની રજુઆતો સાંભળી તેના અમલ બાબતે જે તે ખાતાના અધિકારીશ્રીઓને સકલનમા રાખી વિગતવાર જાણકારી અને ચર્ચા કરવામા આવી હતી.
આ તમામ બેઠકોમાં પ્રાયોજના વહીવટદારશ્રી અને ગુજરાત વિધાનસભા નાયબ દંડકશ્રી દ્વારા સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગ, હસ્તકની આદિજાતિ લોકોના સર્વાંગી વિકાસ માટેની વ્યકિતગત, રોજગારલક્ષી અને માળખાકીય સુવિધાની વિવિધ યોજનાઓના પારદર્શી અમલ બાબતે તમામ ખાતાના અમલીકરણ અધિકારીશ્રીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો.