
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા
ડેડીયાપાડા સાગબારાના રસ્તે મૂંગા પશુઓ ભરીને મહારાષ્ટ્રના કતલખાને મોકલવાનું ચાલતું મોટું નેટવર્ક છતાં પોલીસના આંખ આડા કાન;
ગાયોને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની વાતો કરનારાઓને આ કતલખાને જતા પશુઓ દેખાતા નથી કે શું?
છેલ્લા કેટલાક વર્ષોથી ચાલતા આ નેટવર્કને કોનો સહારો?પોલીસ અધિકારીઓ માનવતા મરી પરવારી કે પછી ટેબલ ઉપર મુકાતા વજન ને કારણે કોઈ કાર્યવાહી કરાતી નથી ?
આર.એસ.એસ,બજરંગદળ, વિશ્વ હિન્દુ પરિષદ, ગૌ રક્ષક દળ સહિતના અનેક સેવાભાવી સંગઠનોમાં રોષની લાગણી, આયોજન બદ્ધ ચાલતું નેટવર્ક બંધ નહીં થાય તો ટુંક સમયમાં આંદોલન ના ભણકારા;
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા સાગબારા તાલુકા માંથી પસાર થઈને મહારાષ્ટ્રના કતલખાને મૂંગા પશુઓ જેવાકે ગાયો, વાંછરડાઓ, ભેંસો વગેરેને ટ્રકો અને ટેમ્પાઓમાં ખીચોખીચ ભરી લઇ હેરાફેરી કરવાનું નેટવર્ક છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહ્યું છે, છતાં નર્મદા સહિત ભરૂચ પોલીસ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે પશુઓને કતલખાને લઇ જવાના આ નેટવર્કને કોના છુપા આશીર્વાદ મળી રહ્યા છે તે હાલ જનતામાં ચર્ચાનો વિષય બન્યો છે.
મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં આવેલા ડેડીયાપાડા અને સાગબારા તાલુકા માંથી પસાર થઈને ટ્રકો અને ટેમ્પાઓમાં ખીચોખીચ બેરહેમી પૂર્વક ભરીને મૂંગા પશુઓ જેવાકે ગાયો, વાંછરડાઓ, બળદો અને ભેંસોને મહારાષ્ટ્રના કતલખાને લઇ જવાનું મોટું નેટવર્ક છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહ્યું છે, છતાં નર્મદા સહિત ભરૂચ પોલીસ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રના કતલખાને લઇ જવાતા આ પશુધનને કોના છૂપા આશીર્વાદ મળી રહ્યા છે તે પણ એક સવાલ છે. એક તરફ દેશને હિન્દૂ રાષ્ટ્ર બનાવાની સાથે ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની વાતો થઈ રહી છે ત્યારે બીજી બાજુ અહીં સાગબારા પોલીસ સ્ટેશન સામેથી ખુલ્લેઆમ ટ્રકો ટેમ્પાઓમાં પશુઓને કતલખાને લઇ જવામાં આવી રહ્યા છે.
ગુજરાત મહારાષ્ટ્ર સરહદે આવેલી સાગબારા ની ઘનશેરા પોલીસ ચેકપોસ્ટ સામેથી પણ આવી ટ્રકો પસાર થતી હોય છે, છતાં પોલીસ ને તેની ગંધ ન આવે તે પ્રજા સમજી શકે છે. તો બીજી બાજુ આર.એસ.એસ., બજરંગદળ કે પછી વિશ્વ હિન્દુ પરિષદ, ગૌ રક્ષા દળ સહિતના અનેક સંગઠનો પણ આ કતલખાને લઇ જવાતા પશુઓના નેટવર્ક થી રોષે ભરાયા છે, ને જો આ પ્રવૃત્તિ બંધ નહીં થાય તો ટૂંક સમયમાં આંદોલન કરવાના મુડમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. સાગબારા પોલીસ સ્ટેશન સામેથીજ ધોળે દિવસે અને રાત્રે આ કતલખાને પશુધનને લઇ જવામાં આવે છે, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે પોલીસના સાથ સહકાર વિના આ શક્ય હોય તેમ લાગતું નથી.
ભરૂચ ખાતે નેશનલ હાઇવે ઉપર આવેલી એક હોટેલના કમ્પાઉન્ડ માંથી આ મૂંગા પશુઓને મહારાષ્ટ્ર ના કતલખાને મોકલવાનું નેટવર્ક ચલાવવામાં આવે છે, ત્યારે ભરૂચ જિલ્લાના પોલીસ વડા શું આ વાત થી વાકેફ છે ખરા? કે પછી વચેટીયાઓ આ સમગ્ર નેટવર્કને તેઓની જાણ બહાર જ ચલાવી રહ્યા છે? ભરૂચ સહિત આણંદ, ડભોઇ અને સુરત જિલ્લાના ઝંખવાવ ખાતે થી પણ મૂંગા પશુઓને મહારાષ્ટ્ર ના કતલખાને મોકલવાનું મોટું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે .છેલ્લા 25 વર્ષ ઉપરાંત થી ગુજરાતમાં ભાજપ ની સરકાર છે, છતાં આ મૂંગા પશુઓની કતલખાને હેરાફેરીને રોક લગાવવામાં આવી શકી નથી, છુપી રીતે નહિ પણ જાહેરમાં ચાલતું નેટવર્ક લોકોમાં શંકા ઉપજાવે છે, ત્યારે આ સમગ્ર નેટવર્ક પાછળ કોનો દોરી સંચાર છે તે તપાસ માંગે તેવો વિષય છે.
ગુજરાતમાં ટુક સમયમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ડેડીયાપાડા સાગબારા ના હિન્દૂ સંગઠનો હાલ રોષે ભરાયા છે ને તેઓની લાગણી પણ દુભાઈ રહી હોય ટૂંક સમયમાં આંદોલન કારવાના મૂડમાં હોઈ તેમ લાગી રહ્યું છે. ભરૂચ થી ગાયો વાછરડાઓ અને ભેંસો ભરીને નીકળતી ટ્રકો અંકલેશ્વર, વાલિયા, નેત્રંગ થઈને ડેડીયાપાડા સાગબારા થી મહારાષ્ટ્ર માં પ્રવેશ કરે છે છતાં કોઈ પોલીસ સ્ટેશન ના પીઆઇ કે પીએસઆઈ કે પછી ઉચ્ચ અધિકારીઓની હિંમત નથી કે આ ટ્રકોને રોકી શકે ? શું ભરૂચ સહિત નર્મદા જિલ્લા પોલીસ આવા કસાઈઓના હાથે વેચાઈ ગઈ છે કે પછી માનવતા મરી પરવારી છે? તેમ બંને તાલુકાના લોકોમાં હાલ ચર્ચાનો વિષય બન્યો છે.