
શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડીયાપાડા – સાગબારા તાલુકામાં નલ સે જલ યોજનામાં ગેરરીતિઓ થયાં ના આક્ષેપ સાથે ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો;
ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી કથિત ભ્રસ્ટાચાર / ગેરરીતિઓ બાબતે તપાસ કરાવવા માંગ કરી;
વારંવાર લોકોની ફરિયાદ ને લઈ ધારાસભ્ય મહેશભાઇ વસાવાએ સ્થળ પર જઈ જવાબદાર અધિકારીઓને સાથે રાખી જનતા રેડ કરી હતી,
ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઇ વસાવાએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને પત્ર લખીને ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં નલ સે જલ યોજના હેઠળની કામગીરીમાં ગેરરીતિઓ થઇ હોવાનો આક્ષેપ કરીને તેની તપાસ કરાવવા માંગ કરી હતી. વિગતો અનુસાર ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને લખાયેલ પત્રમાં જણાવાયું હતું, કે સરકાર દ્વારા છેવાડાના વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાને દુર કરવા નલ સે જલ યોજના અંતર્ગત પીવાના પાણી માટે ઘેર ઘેર નળ મુકવામાં આવ્યા છે. તેમના ડેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારમાં લોકો દ્વારા આ બાબતે રજુઆતો થતાં ડેડીયાપાડા તાલુકાના વિવિધ ગામોમાં વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન પ્રોજેક્ટ દ્વારા થયેલ કામોની તેમણે જાતે સ્થળ પર જઇને તપાસ કરી હતી.
ખુડદી, સાંકળી, પીપલોદ જેવા ગામોમાં કામગીરીની તપાસ કરતા જ્યાં કામ પુર્ણ બતાવાયું છે, ત્યાં ૬૦ થી ૮૦ ટકા જેટલી ચુકવણી એજન્સીઓને કરી દેવામાં આવી છે, પરંતું કોઇ જગ્યાઓ પર નળમાં પાણી નથી આવતું. કોઇ જગ્યાએ પાણીની ટાંકીઓ નથી તો કોઇ જગ્યાએ વીજળીના મીટરો પણ નથી. ઉપરાંત હલકી ગુણવત્તા વાળી પાઇપો પણ જમીનની બહાર દેખાય છે. મોટરો પણ હલકી ગુણવત્તા વાળી નાંખવામાં આવી છે. સરકાર દ્વારા લાખો રુપિયાની ગ્રાન્ટ ફળવાતી હોવા છતાં પણ લોકો સુધી પીવાનું પાણી પહોંચતું નથી. આ બાબતે કરોડો રુપિયાની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઇ વસાવાએ ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં આ બાબતની તપાસ માટે વિજિલન્સ સમિતિ બનાવીને તપાસ કરાવવા મુખ્યમંત્રીને પત્ર દ્વારા ભલામણ કરી છે. નલસે જલ યોજના અંતર્ગત કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને પત્ર દ્વારા રજુઆત કરાતા ચકચાર મચી જવા પામી છે.