
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, સુરત નલીનકુમાર
લોકસભાના સ્પીકર ઓમ બિરલાનો સુરત શહેર ખાતે સન્માન સમારોહ યોજાયોઃ
ગુજરાતની સંસ્કૃતિ અને ઈતિહાસ સદાય પ્રેરણાદાયી:-લોકસભાના સ્પીકર ઓમ બિરલા
દુનિયા મહત્તમ દેશોમાં વસેલા ગુજરાતીઓએ વૈશ્વિક ફલક પર અમીટ છાપ ઉભી કરી છે:-લોકસભાના સ્પીકર ઓમ બિરલા
સુરત શહેરની સામાજિક, ધાર્મિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા શ્રી ઓમ બિરલાનુ અદકેરું સન્માન:
સુરતઃ લોકસભાના સ્પીકરશ્રી ઓમ બિરલાનું શહેરની વિવિધ સામાજિક, ધાર્મિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ, ઔદ્યોગિક એસોસિયેશનો, સમાજ સંગઠનો દ્વારા સન્માન કરાયું હતું.
ધ ગ્રાન્ટ ભગવતી હોટલ ખાતે આયોજિત સન્માન સમારોહ પ્રસંગે શ્રી ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, વિશ્વના ઝડપથી વિકસી રહેલા વિકાસ અગ્રેસર શહેરોમાં સુરત શહેરનો સમાવેશ થાય છે. ગુજરાતની સંસ્કૃતિ અને ઈતિહાસ સૌને પ્રેરણા આપનાર રહ્યો છે. સૂરતે સામાજિક અને આર્થિક રીતે વિકાસના નવા કિર્તીમાન સ્થાપિત કર્યા છે.
શ્રી ઓમ બિરલાએ કહ્યું કે, આદરણીય મહાત્મા ગાંધીજી અને લોખંડી પુરૂષ સરદાર પટેલ સાહેબની ભૂમિ ગુજરાતે હંમેશા દેશને નવી દિશા આપી છે. ગાંધીજીએ સત્ય અને અહિંસાના શસ્ત્રો સાથે દેશને આઝાદ કરવા માટે લડત ચલાવી હતી. દુનિયા મહત્તમ દેશોમાં વસેલા ગુજરાતીઓએ વૈશ્વિક ફલક પર અમીટ છાપ ઉભી કરી છે. ગુજરાતીઓએ જ્યાં જ્યાં વસવાટ કર્યો છે તે દેશના આર્થિક અને સામાજિક વિકાસમાં મહત્વનુ યોગદાન આપ્યું છે. યુગપુરૂષોની ભૂમિ ગુજરાતમાં આવું છું, ત્યારે મને અહીંથી નવી ઉર્જા અને લોકસેવાની નવી પ્રેરણા મળે છે એમ અહોભાવથી જણાવ્યું હતું.
શ્રી બિરલાએ વધુમાં જણાવ્યું કે, ભારત દેશ પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં દરેક ક્ષેત્રે વિકાસ કરી રહ્યો છે. સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે દેશને આઝાદ કરવા માટે મહામૂલુ બલિદાન આપનારાઓને યાદ કરવાનો મહોત્સવ છે. સૌ કોઈને સમર્પણભાવના સાથે દેશને નવી ઉંચાઈએ લઈ જવાનો અનુરોધ કર્યો હતો.
કેન્દ્રીય રેલ્વે રાજયમંત્રીશ્રી દર્શનાબહેન જરદોશે જણાવ્યું હતું કે, સુરત એ સમગ્ર ભારતમાં મિની ભારત તરીકે ઓળખાય છે. સમગ્ર ભારતમાંથી આવેલા લોકોએ પોતાની કર્મભૂમિ બનાવી શહેરના વિકાસમાં સિંહફાળો આપ્યો છે એમ જણાવી લોકસભાના સ્પીકરશ્રી ઓમ બિરલાને ગરવી ગુજરાત અને સુરતની ભૂમિ પર આવકાર્યા હતા.