
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
પિરામલ ફાઉડેશનની ટીબી વાનને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાના હસ્તે ફ્લેગઓફ કરી પ્રસ્થાન કરાઈ;
નર્મદા જિલ્લો ૨૦૨૫ સુધીમાં ટીબી મુક્ત બને તે માટે આ ટીબી વાન ખુબ જ અગત્યની બની રહેશે-જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડૉ. ઝંખનાબેન વસાવા
નર્મદા જિલ્લોએ એસ્પિરેશનલ જિલ્લો છે, ત્યારે આ જિલ્લામાં ટીબીના દરદીઓને ઘર આગણે જ સમયસર સારવાર-નિદાન થઈ શકે તે હેતુસર ટીબી મુક્ત ભારત કાર્યક્રમ હેઠળ નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી નિલામ્બરીબેન પરમાર, જિલ્લા ક્ષય અધિકાર ડૉ. ઝંખનાબેન વસાવાએ જિલ્લા ક્ષય સંકુલ ખાતેથી પિરામલ ફાઉડેશનની ટીબી અને કોવિડના એક્ટિવ કેસ ફાઈન્ડિંગ સર્વે વાનને લીલીઝંડી દ્વારા ફ્લેગઓફ કરી પ્રસ્થાન કરાવાઈ હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, નીતિ આયોગ અને આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા ટીબી મુક્ત ભારત કાર્યક્રમ હેઠળ આદિવાસી પ્રભાવિત જિલ્લાઓમાં ચલાવવામાં આવી રહેલા વિશેષ ખાતરી અભિયાન હેઠળ, નર્મદા જિલ્લામાં પીરામલ સ્વાસ્થ્ય દ્વારા યુએસએસ એઇડના સહયોગથી ટીબી સક્રિય કેસ શોધવાનું અભિયાન હાથ ધરાશે. જેમાં TB ACF કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લાના પાંચ તાલુકામાં વાહન દ્વારા ટીબી રોગ સંભવિત સ્ક્રીનીંગ કરવા માટે આ કામગીરી કરવામાં આવશે. આ ટીબી વાન દ્રારા ટીબીના દરદીઓના સ્પુટમ (ગળફા) લેવામાં આવશે. તેમના નમૂનાઓનું કાઉન્સેલિંગ કર્યા પછી, તેમને ઘરેથી એકત્રિત કરવા અને તેમને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપવામાં આવશે. ટી.બી. ની રેફરલ સેવા થકી છુપાયેલા કેસોને ઓળખી શકાય અને સારવાર પણ કરી શકાશે.
જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડૉ. ઝંખનાબેન વસાવાએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાનને ચરિતાર્થ કરવા તેમજ નર્મદા જિલ્લો વર્ષ- ૨૦૨૫ સુધીમાં ટીબી મુક્ત બને તે માટે આ ટીબી વાન ખુબ જ અગત્યની બની રહેશે. આ વાન જિલ્લાના જુદા-જુદા ૧૦ જેટલાં ગામોમાં ફરશે અને સ્થળ પર જ ટીબીના દરદીઓને સારવાર-નિદાન કરાશે, ટીબીના જે દરદીઓ હોય તેના પરિવારજનોની પણ તપાસ કરાશે તેની સાથે સરકારશ્રીની આરોગ્યલક્ષી યોજનાઓની જાણકારી પણ પુરી પાડવામાં આવશે તેમ ડૉ. વસાવાએ ઉમેર્યું હતું.