
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ સુરત: ફતેહ બેલીમ
નાગરિકોમાં અંગદાન વિશે જનજાગૃત્તિ માટે સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા મહારેલી યોજાઈ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા ડો.દિલીપભાઈ દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં ‘અંગદાન મહાદાન’ અભિયાન અંતર્ગત યોજાઈ મહારેલી:
છેલ્લા ચાર મહિનામાં સમગ્ર ગુજરાતમાં સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી સૌથી વધુ ૧૯ અંગદાન: ૬૫ જેટલા વ્યક્તિઓને મળ્યું નવજીવન:
સુરતઃ અંગદાન મહાદાન’ જનજાગૃતિ અભિયાન અંતર્ગત અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા ડો. દિલીપભાઈ દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે તબીબો, નર્સિંગ સ્ટાફ, સિવિલ હોસ્પિટલની નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ તથા સ્વયંસેવકો દ્વારા મહારેલી યોજાઈ હતી. અંગદાન જાગૃત્તિના પ્લેકાર્ડ સાથે અંગદાનના સૂત્રોચ્ચારથી લોકોને જાગૃત્ત કરાયા હતા. આ પ્રસંગે તબીબ અધિક્ષક ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં અંગદાન પ્રત્યે લોકો જાગૃત્ત થઈ રહ્યા છે. ત્યારે સુરત પણ રક્તદાન નેત્રદાન તેમજ અંગદાનમાં પ્રમાણમાં અંગદાન અગ્રેસર થઈ રહ્યું છે. સુરત જિલ્લામાંથી મોટા પ્રવૃત્તિ થઈ રહી છે. અંગદાન જરૂરિયાતમંદ વ્યક્તિના જીવનમાં નવી રોશનો લાવે છે. શ્રી ગોવેકરે કહ્યું કે, હોસ્પિટલોમાં દર્દીઓની સૌથી નજીક તબીબ અને નર્સિંગ સ્ટાફ જ હોય છે. ત્યારે અંગદાનમાં તબીબ અને નર્સિંગ સ્ટાફની સરાહનીય કામગીરીથી જરૂરિયાતમંદ દર્દીઓને અંગો મળતા તેમના જીવનમાં ઉજાસ ફેલાયો છે. ઈશ્વર માનવીને જીવન આપે છે અને તબીબ જરૂરીયાતમંદ વ્યક્તિઓમાં અંગ પ્રત્યારોપણ કરીને તેને જીવ બચાવીને નવજીવન આપે છે. બ્રેનડેડ વ્યક્તિના મૃત્યુ બાદ પણ તેની આજીવન સ્મૃતિ સાચવવા અને તેમના જીવનમાં રંગો પૂરવા અંગદાનનો સંકલ્પ લઈએ એમ તેમણે ઉમેર્યું હતું.
નોંધનીય છે કે, છેલ્લા ચાર મહિનામાં સમગ્ર ગુજરાતમાં સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી સૌથી વધુ કિડની, લીવર, સ્વાદુપિંડ, હાથ અને આંખ મળીને ૧૯ અંગદાન થયા છે, જેમાં ગુજરાતના ૬૫ જેટલા વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. આ રેલીમાં નર્સિંગ એસો.ના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, નિલેશ લાઠીયા, વિભોર યુગ, જગદીશ બુહા, ચૈતન આહીર સહિત નર્સિંગ સ્ટાફ તેમજ સ્વયંસેવકો અને જાગૃત્ત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.