
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
વાલિયા ના ગણેશ ગાર્ડન સોસાયટી સ્થિત પોતાના બંગલા માંથી શિક્ષક દંપતીની લોહીથી લથપથ હાલતમાં લાશો મળી આવતા ચકચાર;
દિવસભર શિક્ષક દંપતી નુ મકાન બંધ રહેતા પાડોશીઓએ પોલીસ બોલાવી, ઉચ્ચઅધિકારીઓ ઘટનાસ્થળે દોડ્યા;
સર્જન વસાવા, ભરૂચ: વાલીયામાં પોતાના જ બંગલા માંથી શિક્ષક દંપતીની લોહીથી લથપથ લાશો મળી આવવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વાલીયામાં ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા અને વિજયનગર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક જીતેન્દ્રસિંહ બોડાદરા અને ભિલોડ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા તેમના પત્ની લતાબેન બોડાદરાના મૃતદેહ તેમના જ ઘર માંથી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા છે. તા. 05/03/2025 ના દંપતીની અવરજવર ન દેખાતા પાડોશીએ ઘણી વખત ડોરબેલ વગાડ્યો હતો. જોકે, અંદરથી કોઇ જવાબ ન મળતાં અંતે મોડી સાંજે દસેક વાગ્યાના અરસામાં પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે મકાનનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો ત્યારે બંને પતિ-પત્નીના મૃતદેહ મળી આવ્યા હતા. બંને મૃતદેહ પર તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હતા.
ઘટનાની જાણ થતાં ઝઘડિયાના એ.એસ.પી.અજય કુમાર મીણા, ક્રાઈમ બ્રાન્ચ અને SOG ના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે. હાલ પોલીસ આ કેસમાં હત્યા કે આત્મહત્યાની દિશામાં તપાસ કરી રહી છે. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.
આ અંગે ઝઘડીયા એએસપી અજયકુમાર મીણાએ જણાવ્યું હતું કે, મોડી સાંજે દસ વાગ્યાના અરસામાં દંપતનીના પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી કે, ઘરનો દરવાજો કોઇ નથી ખોલતું. જેથી પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને દરવાજો તોડીને અંદર પ્રવેશ કરતાં પતિ-પત્ની બંનેના મૃતદેહ પડ્યા હતા. હાલ મૃતદેહને પી.એમ.અર્થે ખસેડવામાં આવ્યા છે અને આ હત્યા છે કે આત્મહત્યા છે એ દિશામાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.