બ્રેકીંગ ન્યુઝ

કોરોના સંક્રમણની સ્થિતિ અંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો પ્રજાજોગ સંદેશ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નલીનકુમાર

કોરોના સંક્રમણની સ્થિતિ અંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો પ્રજાજોગ સંદેશ જનતાને આપ્યો હતો.

અફવાથી દોરવાશો નહીં કોઈ જ લોક ડાઉન રાજ્યમાં આવવાનું નથી મુખ્યમંત્રી તરીકે રાજ્યના નાગરિકોને વિશ્વાસ આપતા વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રીશ્રી એ રાજ્ય સરકાર દ્વારા લેવાઈ રહેલા પગલાંઓમાં જનતાને સાથ-સહકાર આપવાની અપીલ કરી

-: શ્રી વિજયભાઈ રૂપાણી –:
માસ્ક ના પહેરવા નો દંડ કોઈને ભરવો જ ન પડે તેવી સ્થિતિનું નિર્માણ કરીએ.
આવશ્યક નિયંત્રણો સાથે રાબેતા મુજબ જનજીવન ચાલશે.
કોરોનાકાળમાં પ્રજા પરેશાન ના થાય એ જ અમારી પ્રાથમિકતા.
જાન ભી હૈ, જહાન ભી હૈ” મંત્ર અપનાવી સંતુલન જાળવી સાવચેતી સાથે જીવન રાબેતા મુજબ રાખીએ.

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના સૌ નાગરિકોને કોરોના સંક્રમણ ની પ્રવર્તમાન સ્થિતિમાં સાવચેતી સલામતિ અને સતર્કતા રાખી રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે લેવાઈ રહેલા પગલાંઓમાં સહયોગ આપવા અનુરોધ કર્યો છે.
તેમણે સ્પષ્ટ પણે કહ્યું કે આ અગાઉ જ્યારે કોરોના નો વ્યાપ વધ્યો ત્યારે સરકારના પગલાંઓ ઉપાયોને જનતા જનાર્દને સમર્થન અને સહયોગ આપીને રાજ્યમાં કોરોના નું ઓછામાં ઓછું સંક્રમણ થાય તેવી સ્થિતિ સર્જી હતી.
હવે આ વખતે પણ ફરી સંક્રમણ દેશના અન્ય રાજ્યો સહિત ગુજરાતમાં પણ વધ્યું છે ત્યારે કેટલાક નિયંત્રણો સરકારે લાદવા પડ્યા છે તેને પણ ગુજરાતના સૌ નાગરિકો વ્યાપક હિતમાં સમર્થન આપે તેવી અપીલ શ્રી વિજય ભાઈ રૂપાણીએ કરી છે.
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ પોતાના સોશીયલ મિડિયા પ્લેટફોર્મ ફેઈસ બુક માધ્યમથી રાજ્યના નાગરિકોને સંબોધન કરતા સાફ શબ્દોમાં કહ્યું કે લોકોએ અફવાઓ થી ગભરાવાની કોઈ જરૂર નથી.
મુખ્યમંત્રીશ્રીએ સૌ નાગરિકોને રાજ્યના મુખ્યમંત્રી તરીકે એવો વિશ્વાસ આપ્યો કે રાજ્ય માં ફરીથી લોક ડાઉન આવવાનું નથી જ કે કોરોના ને કારણે સરકાર કોઈ ધંધા રોજગાર પણ બંધ કરવાની નથી.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નાગરિકો ને એમ પણ જણાવ્યું કે ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસના મુદ્દે સરકાર ખૂબ જ ગંભીરતાથી પ્રયાસો કરી રહી છે. એટલું જ નહીં કેસ કઈ રીતે ઘટાડવા અને નવા આવેલા કેસોની સતત ટ્રીટમેન્ટ થાય લોકો સાજા થઈ ને જલ્દી પાછા જાય તે માટે પણ યોગ્ય કાર્યવાહી આ સરકાર કરી રહી છે.
કોરોનાનું આ સંક્રમણ ફેલાતું અટકાવવાના ભાગરૂપે સરકારે થોડાંક પગલાંઓ લેવાં પડ્યાં છે. મહાનગરોમાં શાળા-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવું પડ્યું છે. તો ઓનલાઇન શિક્ષણ આપણે ચાલું જ રાખ્યું છે.
કેટલાક મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુનો સમય વધારવો પડ્યો છે. હોટલ-રેસ્ટોરન્ટ્સ પર અમુક અંકુશો લાદવા પડ્યા છે એમ  મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું.
શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ફરી એકવાર કોરોનાના સંક્રમણને અટકાવવા માટે લેવામાં આવેલા આ આકરા પગલા રોજિંદા જીવનમાં થોડી અગવડ ઊભી કરશે. જનતાને થોડું બંધિયાર મહેસૂસ થશે. પરંતુ, આ કરવું જરૂરી હતું
તેમણે ઉમેર્યું હતું કે જાહેર-જનતાને કોરોનામાં ઓછામાં ઓછી તકલીફ પડે, લોકોને હેરાન ન થવું પડે, ઘંઘા-રોજગાર પર અસર ન પડે એની ચિંતા આ સરકારે કરી છે અને આગળ પણ કરતી રહેવાની છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, અગાઉ કોરોનાની લહેર દેશ સહિત ગુજરાતમાં હતી ત્યારે પણ આપણે આવા નિયંત્રણો લગાવવા પડ્યા હતા અને તે વખતે ગુજરાતની જનતાએ પૂરો સહકાર પણ આપ્યો જ હતો. જ્યારે સંક્રમણ કાબૂમાં આવ્યું ત્યારે જાહેર જનતાને તકલીફ ન પડે એ મુજબ નિયમો હળવા પણ કરી દીધા હતા. ત્યારબાદ સંક્રમણ થોડું વધ્યું હતું, ત્યારે આપણે પાછા સાવચેત થયા હતા, જરૂરી પગલાં લીધાં હતાં અને સંક્રમણ ઘટાડ્યું હતું એટલા જ માટે આપણે ભૂતકાળમાં કોરોના સામેની લડાઈમાં સફળ રહ્યા છીએ એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
કોરોનાના સંક્રમણકાળમાં અગાઉ લેવામાં આવેલા અનેક પ્રયાસોની પ્રશંસા સુપ્રીમ કોર્ટ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને આઇઆઇએમ (IIM) જેવી અનેક સંસ્થાઓએ પણ કરી હતી એમ મુખ્યમંત્રીશ્રી એ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી એ કહ્યું કે અત્યાર સુધી કોરોના સામે ની લડાઈ માં સરકારે જે જે નિર્ણયો કર્યા તેને રાજ્યની જનતા એ પૂરો સહયોગ અને સમર્થન આપ્યા જ છે, વધુમાં તેમણે  જણાવ્યું કે, હવે જ્યારે ફરીથી કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે જાહેર જનતા પાસેથી અગાઉ જેવી જ સાવચેતી અને સહકારની અપેક્ષા સરકાર રાખી રહી છે.
એક બાજુ રાજ્યમાં ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે, હોસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં બેડ્સ અને તમામ પ્રકારની જરૂરી દવાઓ ઉપલબ્ધ પણ કરાવી દેવામાં આવી છે.
બીજી બાજુ વેક્સિનેશનનું કામ પણ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટ કહ્યું કે જાન ભી હૈ જ્હાન ભી હૈ એ મુજબ આપણે બધુ જ સંતુલન કરવાનું છે.
હવે નવું કોઈ લોકડાઉન થવાનું નથી, કોઈના ધંધા-રોજગાર બંધ થવાના નથી. થોડા નિયંત્રણો સાથે રાબેતા મુજબ જ ચાલવાનું છે. કોઈએ કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ કરવાનો નથી કે ગભરાવાની બિલકુલ જરૂર નથી એ વાત તેમણે ભાર પૂર્વક દોહરાવી હતી.

અત્યારે કેસોમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે આપણે ફરી એકવાર કડક પગલા લીધા છે, જ્યારે કેસોમાં ઘટાડો થશે એટલે પાછું બધુ રાબેતા મુજબ ચાલું થઇ જશે એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, માસ્કના દંડ ના પૈસા રૂપિયામાં સરકારને કોઇ રસ નથી. આપણે તો માસ્ક ન પહેરનારા લોકો પાસેથી હાઇકોર્ટના આદેશ રૂપિયા 1000 દંડ લઇ રહ્યા છીએ.
શ્રી વિજયભાઈ રૂપાણી એ સૌને એવી અપીલ પણ કરી કે રાજ્યમાં કોઈને માસ્ક ના પહેરવા નો દંડ જ ન ભરવો પડે એવી સ્થિતિ આપણે સૌ ઊભી કરીએ.
મુખ્યમંત્રીશ્રીએ જાહેર જનતાને અપિલ કરતા જણાવ્યું કે, પહેલા જેવી સંયમ અને સાવચેતી રાખી છે એવી જ અત્યારે ફરી એકવાર સાવચેતી અને સંયમ રાખવાની જરૂર છે.
સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીએ, સેનિટાઈઝરનો વારંવાર ઉપયોગ કરીએ અને વેક્સિનેશનમાં જ્યારે આપણો વારો આવે ત્યારે અવશ્ય વેક્સિન લઇએ. એટલું જ નહિ બિનજરૂરી ઘરની બહાર ન નીકળીએ અને ટોળામાં ભેગા થવાનું ટાળીએ.
આ બધા નિયમો અને થોડીક સાવધાની થી આપણે ફરીથી કોરોના ને હરાવી ને કોરોના હારશે ગુજરાત જીતશે ને સાકાર કરીશું એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है