
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નવસારી કમલેશ ગાંવિત
આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત જમ્મુ થી દાંડી સુધીની સાયકલ રેલી ફલેગ ઇન સેરેમનીમાં ઉપસ્થિત રહેતા સુરત પોલીસ કમિશ્નરશ્રી અજય તોમર
બોર્ડર સિક્યુરિટી ફોર્સના ૧૦૦ જવાનોની જમ્મુ (ઓક્ટ્રોય) થી દાંડી સુધીની સાયકલ યાત્રા,
નવસારી: ભારતની સ્વતંત્રતાના ૭૫ વર્ષની ઉજવણી અંતર્ગત સમગ્ર દેશમાં ભારત કી આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી નિમિતે બી.ઍસ.ઍફ.દ્વારા જમ્મુ(ઓકટ્રોય)થી દાંડી સુધીની સાયકલ રેલી ગાંધી જયંતિના દિવસે રાષ્ટ્રીય નમક સ્મારક દાંડી ખાતે સુરત પોલીસ કમિશ્નરશ્રી અજય તોમરે ફલેગ ઇન સેરેમનીમાં ઉપસ્થિત રહી બી.એસ.એફના જવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. આ અવસરે સુરત પોલીસ કમિશ્નર શ્રી અજય તોમર, અધિક મુખ્ય સચિવ શ્રીમતિ સુનૈના તોમર, બી.ઍસ.ઍફ.ના આઇ.જી.શ્રી જી.ઍસ.મલીકે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી તેમજ પુષ્પાંજલિ અર્પી હતી.
આ પ્રસંગે શ્રી અજય તોમરે જણાવ્યું હતું કે દેશની ભાવિ પેઢીને ભારતના ભવ્ય ઐતિહાસિક વારસાથી અવગત કરાવવા માટે આઝાદીકા અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમો યોજાઇ રહયા છે દેશના સીમાડાઓ સાચવનારા આ જવાનો “આઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત એકતા,અખંડિતતા અને ફિટનેસના ધ્યેય મંત્ર સાથે નીકળ્યા છે ત્યારે સમાજમાં તેની હકારાત્મક અસર અને સંદેશો પહોંચશે તે પણ એટલું જ નિશ્ચિત છે.
શ્રી અજય તોમરે પૂ.બાપુની દાંડીયાત્રાના ઐતિહાસિક મહત્વને ઉજાગર કરી દેશના સ્વાધિનતા સંગ્રામમાં દાંડીયાત્રા દિવાદાંડી સમાન સાબિત થઇ હોવાનું જણાવ્યું હતું. તેમણે પૂ. મહાત્મા ગાંધીની દાંડીયાત્રાઍ સમગ્ર દેશમાં આઝાદીની ઍક અનોખી આહલેક જગાડી હોવાનું જણાવી આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી દેશની આઝાદીના લડવૈયાઓને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ સમાન છે.
સાયકલ રેલી પૂજ્ય બાપુનાં સત્ય અને અહિંસાના વિચારો વિશ્વના ખુણે-ખુણે પહોંચાડશે. અંદાજિત ૨૦૦૦ કિ.મી. લાંબી આ રેલીમાં બી.ઍસ.ઍફ.ના જવાનો સહભાગી થયા છે તે તમામને મહાનુભાવોઍ અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન બી.ઍસ.ઍફ.ના જવાનો દ્વારા દેશભકિતના ગીત પર નૃત્ય, બી.ઍસ.ઍફ.બેન્ડ દ્વારા ગાંધીજીના પ્રિયભજનોની સુરાવલી સહિતના કૃતિઓ રજુ કરવામાં આવી હતી.તેમજ મહાનુભાવોના હસ્તે સાઇકલ યાત્રીઓને મેડલ, પ્રમાણપત્ર અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે બી.ઍસ.ઍફના વરિષ્ઠ અધિકારીશ્રીઓ તેમજ જવાનો તથા નાગરિકો ઉપસ્થિત રહયાં હતા.