
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા
રાજપીપલા, શુક્રવારના ગત રોજ સાંજે ૪:૦૦ કલાકે સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે ડેમની જળસપાટી ૧૩૫.૪૧ મીટર નોંધાયેલી છે. આ સમયે ૧ લાખ ક્યુસેક જેટલો પાણીનો ઇન્ફલો છે અને ૧ લાખ ક્યુસેક જેટલો પાણીનો આઉટફલો છે.
હાલમાં નર્મદા ડેમના ૨૩ દરવાજામાંથી ૧૦ દરવાજા ૦.૬ મીટર જેટલા ખુલ્લા રાખવામાં આવ્યાં છે, જેને કારણે દરવાજામાંથી ૪૪ હજાર ક્યુસેક જેટલો પાણીનો ફલો ભરૂચ તરફ વહી રહ્યો છે.
રિવરબેડ પાવર હાઉસના ૬ યુનિટ ૨૦૦ મેગાવોટની કેપેસીટી સાથે ૧૨૦૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન કરી રહ્યા છે, જેના કારણે ૪૨ હજાર ક્યુસેક જેટલો પાણીનો પ્રવાહ ભરૂચ તરફ વહી રહ્યો છે. કેનાલ હેડ પાવર હાઉસમાં ૪ યુનિટ કાર્યરત હોવાથી ૨૦૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન થઇ રહી છે અને તેના કારણે ૧૭ હજાર ક્યુસેક જેટલો પાણીનો પ્રવાહ મુખ્ય કેનાલ તરફ વહી રહ્યો છે.
ઇન્ડિયન મિટિઓરોલોજીકલ વિભાગની આગાહી મુજબ આવતા પાંચ દિવસ સુધી ભારે વરસાદની કોઇ આગાહી ન હોવાથી નર્મદા નદીમાં પૂર આવવાની કોઇ શક્યતા જણાતી નથી, તેવી જાણકારી નર્મદા ડેમના કાર્યપાલક ઇજનેરશ્રી અશોક ગજજર તરફથી પ્રાંપ્ત થઇ છે.