
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
મતદાન મથકની મર્યાદિત અંતર સુધી મંડપ બાંધી શકાશે નહીં: કેટલાક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું પ્રસિદ્ધ:
વ્યારા-તાપી: આગામી તા.૦૩-૧૦-૨૦૨૧ના રોજ યોજાનાર જિલ્લા/તાલુકા પંચાયતની પ્રસંગોપાત ખાલી બેઠકોની ચૂંટણી દરમિયાન સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ તથા મુકત અને ન્યાયી ચૂંટણી યોજી શકાય એ માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વલવીએ રાજકીય પક્ષો કે ઉમેદવારો માટે કેટલાક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે.
જે મુજબ મતદાન મથકની ૨૦૦ મીટરની અંતર સુધીમાં કોઈ પણ મંડપ બાંધવો નહીં અને એક જ મંડપ બાંધી શકાશે. જેમાં એક ટેબલ તથા બે ખુરશી જ રાખી શકાશે. તથા મંડપની ફરતે કંતાન કે પછેડી જેવી આડશ લગાવી શકાશે નહીં. મંડપ બાંધવા માંગતા ઉમેદવારે જગ્યા અંગે સ્થાનિક સત્તા મંડળની લેખિત મંજૂરી મેળવવી અને ચુંટણી અધિકારીને જાણ કરવી પડશે. મતદારોને જે સ્લીપ આપવામાં આવે તેમાં ઉમેદવારનું નામ/ચિન્હ કે રાજકીય પક્ષનું નામ લખેલ હોવું ન જોઈએ. મતદાન કરીને આવેલ મતદારને મંડપમાં ભેગા કરી શકાશે નહીં. સાથે જ ઉમેદવારોના કેમ્પ સાદગીપૂર્ણ હોવા જોઈએ. જેના પર કોઈ પોસ્ટર, પ્રતિકો કે અન્ય પ્રચાર સામગ્રી પ્રદર્શિત કરી શકાશે નહીં. મતદારોને મથક સુધી પ્રવેશ માટે અડચણ ઉભી થાય તેવું કૃત્ય કરવું નહી. મતદાન મથકની ૧૦૦ મીટરની હદમાં સેલ્યુલર ફોન, કોડલેસ ફોન કે વાયરલેસ સેટ્સ લઈ પ્રવેશ કરી શકાશે નહીં. આ હુકમ તા.૬ ઓક્ટોબર ૨૦૨૧ સુધી અમલી રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.