
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી પર 17 વિદ્યાર્થીનીઓ સાથે અભદ્ર વર્તનનો આક્ષેપ:
અભદ્ર ભાષા તેમજ વોટ્સએપ પર અશ્લીલ મેસેજ મોકલતા અને શારીરિક અડપલાં કરતા હોવાનો પીડિતાઓનો દાવો
દિલ્હી વસંત કુંજ ઉત્તર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ
ગ્રામીણ ટુડે ન્યુઝ: હાલમાં દિલ્હીની એક મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટમાં 17 છોકરીઓ સાથે અભદ્ર વર્તનનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શ્રી શારદા ઈન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી સામે ગંભીર આરોપો લગાવ્યા છે. દિલ્હી પોલીસે સંસ્થાના સંચાલક પીએ મુરલીની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે.
કોણ છે આ સ્વામી ચૈત્યાનંદ સરસ્વતી? જેઓ ઉપર 17 વિદ્યાર્થીનીઓ સાથે યૌન શોષણનો આરોપ લાગ્યો છે.
દિલ્હી સ્થિત આ બાબા સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી પર અગાઉ પણ 2006 અને 2016 માં અનેક ગંભીર આરોપો લાગી ચૂક્યા છે.
વસંત કુંજ ઉત્તર પોલીસ સ્ટેશનમાં પી.એ મુરલી દ્વારા નોંધાવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું છે કે સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી ઉર્ફે ડૉ. સ્વામી પાર્થ સારથીએ શ્રી શારદા ઈન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટમાં આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ની વિદ્યાર્થીઓનું જાતીય શોષણ કર્યું હતું. પીડિતાઓ EWS શિષ્યવૃત્તિ હેઠળ PGDM (પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ) કોર્સ કરી રહી છે.
પોલીસે આ ફરિયાદના આધારે 32 વિદ્યાર્થિનીના નિવેદન નોંધ્યા હતા, જેમાંથી 17 વિદ્યાર્થિનીએ આરોપ લગાવ્યો હતો કે ચૈતન્યાનંદ સરસ્વતી તેમની સાથે અભદ્ર ભાષામાં વાત કરતાં હતાં, તેમજ વોટ્સએપ પર અશ્લીલ મેસેજ મોકલતા હતાં. શારીરિક અડપલાં પણ કરતાં હતાં. પીડિતાઓએ એવો પણ દાવો કર્યો હતો કે, આ સંસ્થામાં કેટલીક મહિલા ફેકલ્ટી અને વહીવટી કર્મચારીઓએ આરોપીની માંગણીઓનું પાલન કરવા માટે દબાણ કર્યું હતું. ફરિયાદ બાદ પોલીસે IPC ની કલમ 75(2), 79 અને 351(2) હેઠળ કેસ નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા હતાં, ઘટનાસ્થળ અને આરોપીના ઘરે દરોડા પાડ્યા હતા. જો કે, આ આરોપી હાલ ફરાર છે. પોલીસે સંસ્થાના ભોંયરામાં પાર્ક કરેલી એક વોલ્વો કાર જપ્ત કરી હતી. જેનો ઉપયોગ આરોપી કરતો હતો. આ કારમાં નકલી ડિપ્લોમેટિક નંબર પ્લેટ (39 UN 1) હતી.
પોલીસે સંસ્થામાંથી CCTV ફૂટેજ જપ્ત કરીને તેને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે. 17 પીડિતોના નિવેદનો ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીનું છેલ્લું લોકેશન આગ્રા નજીક મળી આવ્યું હતું, અને તેની શોધ ચાલુ છે. ઘટના બાદ, શ્રી શારદા સંસ્થાન અને શ્રૃંગેરી મઠ વહીવટીતંત્રે આરોપીને તમામ હોદ્દા પરથી દૂર કરી દીધો છે અને તેની સાથેના સંબંધો તોડી નાખ્યા છે. શ્રી શારદા પીઠે આરોપીની પ્રવૃત્તિને ‘ગેરકાયદે, અયોગ્ય અને સંસ્થાના હિતોની વિરુદ્ધ’ ગણાવી છે.