ખેતીવાડી

ગુજરાતના પ્રથમ રબર ડેમનું નિર્માણ ડોલવણના પાઠકવાડી ગામે અંબિકા નદી પર થશે:

આધુનિક ટેકનોલોજી વાળો એર-ફિલ્ડ રબર ડેમ લોકો માટે બનશે આકર્ષણ નુ કેન્દ્ર:

શ્રોત:  ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ 

તાપી જિલ્લા માટે ગૌરવશાળી ક્ષણ: ગુજરાતના પ્રથમ રબર ડેમનું નિર્માણ ડોલવણમાં થશે

પાઠકવાડી ગામે અંબિકા નદી પર રૂ. ૭૯.૯૨ કરોડના ખર્ચે બનનાર એર-ફિલ્ડ રબર ડેમનું ખાતમુહૂર્ત કરતા પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા

રબર ડેમથી પાણીની બચત, સિંચાઈમાં વધારો અને જમીનના જળસ્તરમાં સુધારો થતા ગ્રામીણ અર્થતંત્રને વેગ મળશે – મંત્રીશ્રી બાવળીયા

તાપી: નવીન ટેકનોલોજીના ઉપયોગ દ્વારા વિકાસ કાર્યોને પ્રોત્સાહન આપતી રાજ્ય સરકાર તાપી જિલ્લાના પ્રજાજનો માટે વધુ એક મહત્વની ભેટ આપવા જઈ રહી છે.આજે તા. ૨૯ એપ્રિલે રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામે નર્મદા, જળસંપત્તિ,પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હસ્તક અંબિકા નદી પર રૂ. ૭૯.૯૨ કરોડના ખર્ચે બનનાર એર-ફિલ્ડ રબર ડેમનું ખાતમુહૂર્ત કર્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રબર ડેમનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની સુવિધાઓને મજબૂત બનાવવાનો છે, જે ગ્રામ વિકાસનો પાયો સાબિત થશે. સરકારનું લક્ષ્ય છે કે દરેક ખેડૂતને પૂરતું પિયતનું અને પીવાનું શુદ્ધ પાણી મળી રહે. રબર ડેમના માધ્યમથી વરસાદી પાણીનો સંગ્રહ થશે, જમીનનું જળસ્તર ઊંચું આવશે અને ખેડૂતોને ખરીફ તેમજ ઉનાળુ પાક માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે. તાપી જિલ્લાવાસી માટે આ ગૌરવશાળી ક્ષણ છે કે, ડોલવણ ખાતે નિર્માણ થનાર આ રબર ડેમ ગુજરાતનો પ્રથમ અને ભારતનો બીજો ડેમ છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ડેમના નિર્માણથી આસપાસના વિસ્તારોના કૂવા અને બોરવેલમાં પાણીનું સ્તર વધશે,ખેડૂતોને સિંચાઈની સુવિધાઓ મળશે જેના કારણે ખેડૂતોને પાક નુકસાનીનો ભય ઓછો રહેશે.

પ્રોજેક્ટ અંગે તેમણે અધિકારીઓને તેને ડેમની કામગીરી ગુણવત્તાયુક્ત અને સમયમર્યાદામાં પૂર્ણ કરવાની સૂચના આપી હતી તથા ગ્રામજનોને સંપૂર્ણ સહકાર આપવા અપીલ કરી હતી.

આ તકે ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ જણાવ્યું હતું કે હતું કે ડોલવણ તાલુકો સંપૂર્ણપણે વરસાદ આધારિત છે. આ સમસ્યાનો કાયમી નિકાલ થાય તે માટે રાજ્યના મુખ્યમંત્રીએ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ નોંધ લીધી છે. આ રબર ડેમ દ્વારા પાણીનો પુરતો સંગ્રહ થશે અને ડોલવણના ખેડૂતોની ખેતી માટે લાભદાયી સાબિત થશે. સિંચાઈ વિભાગે અત્યંત પ્રશંસનીય કામગીરી કરી હતી.

નોંધનીય છે કે આ યોજના મિડીયમ ઇરીગેશન સ્કીમ તરીકે અમલમાં આવશે, જે અંદાજે ૩.૫૦ એમસીએમ પાણીનો સંગ્રહ કરશે અને લગભગ ૬૫૦ હેક્ટર જમીનને સિંચાઈ માટે આવરી લેશે.

એરફિલ્ડ રબર ડેમ એક ખાસ પ્રકારના કૃત્રિમ રબરથી બનેલું લંબગોળ માળખું હોય છે, જેમાં હવા ભરતા તે ઇન્ફ્લેટ થઈ જાય છે અને વિયર તરીકે કાર્ય કરે છે. જરૂરીયાત પ્રમાણે તેને હવા કાઢીને ડિફ્લેટ પણ કરી શકાય છે, જેથી વધારાનું પાણી વહેતી નદીમાં છોડવા સરળતા રહે. આ ડેમ SKADA સિસ્ટમથી સંપૂર્ણપણે સ્વચાલિત છે, સાથે મેન્યુઅલ ઓપરેશન પણ શક્ય છે.

રબર ડેમની વિશેષતાઓમાં તેનો ઝડપી નિર્માણ, ઓછી જાળવણી અને લાંબાગાળે જળસંગ્રહ ક્ષમતા શામેલ છે. ૧૫૦ મીટર સુધીના સિંગલ સ્પાનમાં તે બાંધવા યોગ્ય છે. ડેમનું ડિઝાઇન જાપાનીઝ કોડ ૨૦૦૦ મુજબ થયેલું છે અને તેનો અંદાજિત આયુષ્ય ૩૦ વર્ષનો છે. ડેમમાં વપરાતા રબરની જાડાઈ ૧૯ મિ.મી.થી વધુ હોય છે અને તે ૫૦ ડિગ્રીથી વધુ તાપમાનમાં પણ કાર્યક્ષમ રહે છે. સ્ટીલ ગેટેડ ડેમની તુલનામાં તેનું જાળવણી ખર્ચ ઘણું ઓછું છે.

અંબિકા નદી પર નિર્માણ પામનાર આ એરફિલ્ડ રબર ડેમથી પીવાના પાણી અને સિંચાઈ માટે પાણીનો સંગ્રહ, નદી પરના વિયરનું ઊંચાઈમાં રૂપાંતરણ તેમજ દરિયાકાંઠે મીઠું પાણી નદીને ન ભળે તે માટે રેગ્યુલેટર તરીકે ઉપયોગ થશે. આ સંપૂર્ણ ઇજનેરી, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (EPC) મોડ હેઠળ YOOIL ENVIROTECH PVT. LTD. દ્વારા રૂ. ૭૯.૯૧ કરોડના અંદાજિત ખર્ચે તૈયાર કરાશે.

ડેમની મુખ્ય વિશેષતાઓમાં તેની કુલ લંબાઈ ૩૮૬ મીટર છે, જેમાં રબર ડેમ ૨૮૦મીટર અને માટીપાળ ૧૦૬ મીટર છે. તેની ઊંચાઈ ૪. ૫ મીટર અને પાણી સંગ્રહ ક્ષમતા ૧૨૩ MCFt (દસ લાખ ઘનફૂટ) છે. આ ડેમથી પાઠકવાડી, સિંણધઈ, ઉનાઈ, ઢોડિયાવાડ અને આસપાસના ગામોને લાભ મળશે તથા અંદાજે ૬૫૦ હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલિમસિંહ વસાવા, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સુરજભાઈ વસાવા,ચેરમેન સિંચાઈ સમિતિ જિલ્લા પંચાયત શ્રીમતી વાસંતીબેન પટેલ, ડોલવણ તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભાવનાબેન કે પટેલ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી ઋષિભાઈ ગામીત, મુખ્ય ઇજનેર (દ. ગુ) અને અધિક સચિવ શ્રી નર્મદા જળસંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગાંધીનગર શ્રી આર એમ પટેલ, વ્યારા પ્રાંત અધિકારીશ્રી સંદીપ ગાયકવાડ,અધિક્ષક ઇજનેર ઉકાઈ શ્રી એ આર પટેલ, કાર્યપાલ ઇજનેર વ્યારા શ્રી કે.આર.પટેલ,ડોલવણ અને પાઠકવાડી ના સરપંચશ્રીઓ, તાલુકા પંચાયત ના સદસ્ય શ્રીઓ, અન્ય હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है