શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
સાપુતારાના સહેલાણીઓને પ્રજાસ્તાક પર્વની ભેટ ;
–
તા ૨૫મી જાન્યુઆરી થી સાપુતારા ઘાટમાર્ગ હેવી વેહિકલ માટે શરૂ કરાશે ;
આહવા: ગિરિમથક સાપુતારાના સહેલાણીઓ તથા સ્થાનિક પ્રજાજનોને પ્રજાસત્તાક પર્વની ભેટ આપતા, ડાંગ જિલ્લા વહીવટી તંત્રે, શામગહાન – સાપુતારા ઘાટમાર્ગ હેવી વેહિકલ માટે, બુધવાર તા.25/01/2023 થી શરૂ કરવાની જાહેરાત કરી છે.
જિલ્લા વહીવટી તંત્ર તરફથી પ્રાપ્ત થયેલ વિગતો અનુસાર, ગત ચોમાસા દરમ્યાન ભારે વરસાદ અને ભુસ્ખલનને કારણે નુકશાન પામેલા આ ઘાટમાર્ગને, અગમચેતીના ભાગરૂપે બંધ કરાયો હતો. હવે આ માર્ગ ભારે વાહનો માટે અનુકૂળ થતા તા.25/01/2023 થી શરૂ કરવામા આવનાર છે.
શામગહાન-સાપુતારા ઘાટમાર્ગ ભારે વાહનો માટે શરૂ થતા સાપુતારા થી મહારાષ્ટ્ર તરફ જતા – આવતા ભારે વાહનો અને એસ.ટી. બસોના પ્રવાસીઓ, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, માલ વાહક ટ્રકો વિગેરેને મોટો ફાયદો થશે.
તા 25 મી જાન્યુઆરી થી સાપુતારાના બન્ને નાકા ઉપર ટોલ ટેક્ષ શરૂ કરાશે ;
ગિરિમથક સાપુતારાને જોડતા નેશનલ હાઇ વે નંબર 953 ઉપર, તા 25 જાન્યુઆરીથી ભારે વાહનો શરૂ કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિર્ણય કરવામા આવ્યો છે.
ગત ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે આ રસ્તા ઉપર ભારે નુકશાન થતા અહીંનો વાહન વ્યવહાર બંધ કરવામા આવ્યો હતો.
હવે આ માર્ગ ભારે વાહનો માટે શરૂ કરાતા, ફરિથી સાપુતારાના બન્ને નાકા ઉપર ટોલ ટેક્ષ પણ શરૂ કરવામા આવનાર છે. જેની વાહન ચાલકોને નોંધ લેવા જણાવાયું છે,
સાપુતારાનો આ ઘાટમાર્ગ શરૂ કરવા બાબતે જિલ્લા કલેક્ટર શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાની અધ્યક્ષતામા એક તાકીદની બેઠક યોજવામા આવી હતી. જેમા પ્રાયોજના વહીવટદાર શ્રી જે.ડી.પટેલ, પ્રાંત અધિકારી શ્રી રાજેન્દ્રસિંહજી ચૌહાણ, નાયબ વન સરક્ષક શ્રી દિનેશભાઇ રબારી, એ.સી.એફ. શ્રીમતી આરતીબેન ડામોર, એ.આર.ટી.ઓ. ડાંગ, એસ.ટી. કર્મીઓ તેમજ નેશનલ અને સ્ટેટ હાઈવેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.