શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
સાંસદ મનસુખ વસાવાએ આદિજાતિ વિકાસ મંડળની બેઠકનો કર્યો બહિષ્કાર:
ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી હળપતિને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી:
સર્જન વસાવા, નેત્રંગ: તાજેતરમાં ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને “ન્યુ ગુજરાત પેટર્ન યોજના” : વર્ષ : ૨૦૨૪-૨૫ અંતર્ગત જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, જો કે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મિટિંગનો ભારોભાર નારાજગી સાથે બહિષ્કાર કરી તેમાં હાજર રહ્યા ન હતા.
આ બાબતે મનસુખ વસાવાએ પ્રભારી મંત્રી કુંવરજી હળપતિને પત્ર લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે, મનસુખ વસાવાએ કુંવરજી હળપતિને લખેલા પત્રમાં જણાવ્યા અનુસાર ઝઘડીયા, વાલીયા તથા નેત્રંગ તાલુકામાં ગુજરાત પેટર્નના કામોમાં તેઓએ સુચવેલા કામોમાંથી મોટાભાગના કામો કાઢી નાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ગુજરાત પેટર્નના સભ્યોને પણ વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. સાથે જ ગુજરાત પેટર્નની મીટીંગ પણ સરકારના ધારા – ધોરણ મુજબ ન મળતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
તેઓએ જણાવ્યું હતું કે ખરેખર તો તાલુકા સંગઠન, જીલ્લા સંગઠન અને ગુજરાત પેટર્નના સભ્યોને, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતના સભ્યોને પણ વિશ્વાસમાં લઇને આયોજન કરવું જોઈએ પરંતુ તેવું થતું નથી માટે આજની મીટીંગમાં ખાસ કારણોસર તેઓને સખ્ત નારાજગી હોવાથી તેઓ મિટિંગમાં હાજર રહેશે નહીં, તેમ સાંસદ શ્રીએ ઉમેર્યું હતુ.