Site icon Gramin Today

કચ્છના કુનરિયા ગામની દીકરી આનંદીના પ્રસ્તાવને પગલે દેશભરમાં બાલિકા પંચાયત સ્થાપિત કરવાનો ધ્યેય:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ગુજરાત (કચ્છ) 

કચ્છના કુનરિયા ગામની દીકરી આનંદીના પ્રસ્તાવને પગલે દેશભરમાં બાલિકા પંચાયત સ્થાપિત કરવાનો ધ્યેય: કેન્દ્રીય મંત્રીશ્રી સ્મૃતિ ઈરાની 

ઈ-વર્ચ્યુઅલ સંવાદમાં કેન્દ્રીય મહિલા બાળ વિકાસમંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ કહ્યું દીકરીઓ સમાજને ઘરેલું હિંસાથી રોકીને બાળકોને સંરક્ષિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે, 

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ દેશમાં અલગ અલગ રાજ્યોમાં 7 સ્થળોએ મહિલા દિનની પૂર્વ સંધ્યાએ ઈ-વર્ચ્યુઅલી સંવાદ કર્યો હતો. જેમાં કચ્છના કુનરિયા ગામમાં ચાલતી બાલિકા પંચાયતના સદસ્ય આનંદી છાંગા સાથે તેમણે વાત કરી હતી. જે અંતર્ગત કચ્છની આ દીકરીએ સમગ્ર દેશમાં પોતાના ગામ કુનરિયાની જેમ બાલિકા પંચાયત શરૂ કરવા સૂચન કર્યું હતું. આ પ્રસ્તાવનો પ્રતિભાવ આપતાં કેન્દ્રીય મંત્રીશ્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, “કચ્છ કુનરિયાની દીકરી આનંદીબેન અરૂણભાઇ છાંગાના સમગ્ર દેશમાં બાલિકા પંચાયત પ્રારંભ કરવાના પ્રસ્તાવને તેઓ સ્વીકારે છે અને દેશભરમાં બાલિકા પંચાયત સ્થાપિત કરવાનો અમારો ધ્યેય છે.”  

ભારત સરકાર દ્વારા શાળાએ ના જતી 11 થી 14 વર્ષની દીકરીઓ માટે ચાલતી “કુનરિયા ગામના બાલિકા પંચાયત” તા.31/03/2022ના રોજ પૂર્ણ જાહેર કરી મિશનમોડમાં લઇ જવા “મિશન પોષણ 2.0 અને સક્ષમ આંગણવાડી સ્કીમ” અંતર્ગત 14 થી 18 વર્ષની કિશોરીઓને આવરી લેવાના અભિયાનમાં 14 થી 18 વર્ષની શાળાએ ન જતી કિશોરીઓને પુનઃ શાળા પ્રવેશ આપવાના અભિયાન “કન્યા શિક્ષણ પ્રવેશ ઉત્સવ”નો આજે દિલ્હી ખાતેથી કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીના અધ્યક્ષસ્થાને પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીશ્રીએ વર્ચ્યુઅલી ઓડિશા, આંધ્રપ્રદેશ, આસામના એક એક અને દિલ્હીના બે તેમજ ગુજરાત કચ્છની બે દીકરીઓ સાથે સંવાદ કર્યો હતો.

કુનરિયા ગામના બાલિકા પંચાયતના સભ્ય 13 વર્ષીય આનંદી છાંગાએ, “બાલિકા પંચાયતની કામગીરી જેવી કે શિક્ષણ, આરોગ્ય, કાયદો, સ્વરક્ષણ, સ્પોર્ટસ, અધિકારો પ્રત્યે જાગૃતિ વગેરે બાલિકા પંચાયત દ્વારા ગ્રામ પંચાયતમાં લાવવાની તેમજ બાળપણથી જ બાલિકાઓને સ્ટેજ મળે તેમજ રાજકારણમાં બાલિકાની ભાગીદારી વધે તે આશય રજુ કરી સમગ્ર ભારતમાં પણ બાલિકા પંચાયત બને એવી રજુઆત કરી હતી. જેમાં બાલિકા પંચાયત સરપંચ શ્રી ભારતીબેન ગરવા પણ સાથે હતા. આ બાલિકા પંચાયતોની અન્યોએ પ્રેરણા લેવી તેમજ સર્વ સમસ્યાનું સમાધાન બાલિકા પંચાયતમાં છે એમ શ્રી ઈરાનીએ જણાવ્યું હતું.

આ તકે રાપર તાલુકાના થોરીયારી ગામના આંગણવાડી કાર્યકર મિનાક્ષીબેન વાઘેલાએ પણ કિશોરીજુથની ગામની 20 થી ૨૫ દીકરીઓનું ગામથી 4 કિ.મી. દુર શાળાના કારણે શિક્ષણ છૂટવાથી પુનઃ અભ્યાસ માટે વાહન વ્યવસ્થાની સુવિધા માટે વિનંતી કરી હતી. જેને મંત્રી શ્રીમતી ઈરાનીએ કેન્દ્રીય શિક્ષણ રાજયમંત્રીશ્રી અન્નપૂર્ણાદેવી અને કેન્દ્રીય મહિલા બાળ વિકાસ રાજયમંત્રી શ્રી ડો.મહેન્દ્ર મુંજપરાને સાથે રાખીને રાપર સર્વ શિક્ષા વિભાગને આ બાબતે અમલીકરણ કરવા સૂચિત કર્યા હતા. મિનાક્ષીબેન વાઘેલાના થોરીયારી તેમજ રાપર તાલુકામાં શિક્ષણ માટે વાહન વ્યવસ્થાની માંગણી માટે મંત્રીશ્રીએ તેમને અભિનંદન અને આભાર પાઠવી જણાવ્યું હતું કે, આપ સૌના કારણે જ અમે ભારત નવનિર્માણ અને સ્વર્ણિમ ભારતની વાત કરીએ છીએ. આ વર્ચ્યુઅલી કાર્યક્રમમાં કલેકટર શ્રી પ્રવિણા ડી.કે., કુનરિયાના પૂર્વ સરપંચશ્રી સુરેશભાઇ છાંગા તેમજ રાપર આઈ.સી.ડી.એસ. અધિકારી પણ જોડાયા હતા. 

Exit mobile version