શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
- શીશા ગામના રહેવાસીઓ વિકાસની રાહ જોઈ બેઠાં છે:
- જવાબદાર તંત્ર કે વિભાગ ને હેન્ડપંપ મૂકવા માટે મુહૂર્ત નથી મળ્યું:
- બોર ઉતારનાર એજન્સીએ પોતાના રોટલાં સેકી લીધાં હવે જલ્દી હેન્ડ પંપ મુકાય તેની રાહ જોઈ બેઠા ગ્રામજનો:
દેડિયાપાડા તાલુકાના શીશા ગામનાં ઉખલા ફળિયાનાં રહેવાસીઓ પ્રાથમિક સુવિધાથી વંચિત છે, જેને લઇને ગ્રામજનો દ્વારા અનેક વાર પંચાયત અને જવાબદાર વિભાગ અને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં સામોટ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો, અહીંના લોકો આજે પણ છે પ્રાથમિક સુવિધાઓથી વંચીત છે.
દેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટીના ડુંગરોમાં વસતાં અસંખ્ય આદિવાસી ગામડાંઓ છે, જેને આ એકવીસમી સદીમાં પણ અનેક સુવિધાઓ જેમકે રસ્તાઓ,પાણી, વિજળી, મોબાઈલ કનેક્ટીવીટી મળતી નથી, રોજગારી મળતી નથી, શિક્ષિત યુવાનો બેકાર છે, આદિવાસીઓ ગરીબ, લાચાર બન્યા છે, આ આદિવાસી નર્મદાનાં જિલ્લાનાં પૂર્વ પટ્ટીનાં લોકો આજે પણ વિકાસની રાહ જોઈ ને બેઠાં છે.
પ્રાપ્ત માહિતી મુજબ દેડિયાપાડા થી ૪૦ કિ.મી. દૂર સામોટ ગામની ગ્રામ પંચાયતમાં સમાવિષ્ઠ શીશા ગામ આવેલું છે, શીશા ગામનું ઉખલા ફળિયું ત્યાંના આદિવાસીઓ સરકારની તમામ યોજનાઓથી વંચિત છે. શીશા ગામનાં મુખ્ય રસ્તાથી ઉખલા ફળિયામાં જવા માટે આઝાદીના ૭૪ વર્ષોના વાહણા વાયા છતાં ડુંગરમાં આવેલા ઉખલા ફળિયામાં જવા માટેનો રસ્તો આજ દિન સુધી એકદમ કાચો છે, અને ઉખલા ફળિયામાંથી મુખ્ય રસ્તા પર જવા માટે એક નદી આવે છે, આ નદી પર કોઈ પણ જાતનું કોઝવે, ગરનાળું કે પુલ નથી, અહીંના લોકો નદી માંથી જવા મજબૂર બને છે, અને ચોમાંસાની ઋતુ દમિયાન શાળાએ જતા ઘણા વિદ્યાર્થીઓ નદીમાં વધુ પાણી હોવાના કારણે શાળાએ જઈ સકતા નથી, જેના કારણે વિદ્યાર્થીઓનાં અભ્યાસ પર માઠી અસર ઉભી થાય છે, અને ઉખલા ફળિયામાંથી પસાર થતો સ્મશાનનો રસ્તો પણ કાચો હોવાથી ગ્રામજનોને ચોમાસા દરમિયાન ખુબજ હાલાકી ભોગવવી પડે છે તેમજ સ્મશાનમાં પાણીની વ્યવસ્થા માટે બોર પણ ઘણા વર્ષોથી મૂક્યો હોવા છતાં આજ દિન સુધી જવાબદાર તંત્ર કે વિભાગ ને હેન્ડપંપ મૂકવામા માટે મુહૂર્ત નથી મળ્યું. બોર ઉતારનાર એજન્સીએ પોતાના રોટલાં સેકી લીધાં હવે જલ્દી હેન્ડ પંપ મુકાય તેની રાહ જોઈ બેઠા છે ગામ જનો, આ બાબતે અહીંનું સ્થાનિક તંત્ર પણ ભર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે.