શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
ગંગપુર ભારત સેવાશ્રમ સંઘ આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ:
કમલેશ ગાંવિત, વાંસદા: વાંસદા તાલુકાના ગંગપુર સ્થિત ભારત સેવાશ્રમ સંઘ આશ્રમ ખાતે અષાઢી પૂર્ણિમા નિમિત્તે ગુરુપૂર્ણિમાની ઉજવણી ભક્તિભાવ અને ઉત્સાહભેર કરવામાં આવી હતી. તા.૨૯/૦૭/૨૦૨૬ ના રોજ યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં આશ્રમ પરિવાર, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ સંસ્થાના હિતેચ્છુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત સવારે શાળાના આચાર્યશ્રી તથા સ્ટાફ મિત્રો દ્વારા ભજન-કીર્તનની સુરાવલી સાથે કરવામાં આવી હતી. જેમાં પ્રણવ છાત્રાલયના બાળકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ત્યારબાદ સંસ્થાના મંત્રી વિશ્વરૂપાનંદ મહારાજ દ્વારા હવન-પૂજનની વિધિ સંપન્ન કરવામાં આવી હતી.
હવન-પૂજન બાદ યુગાચાર્ય સ્વામી પ્રણવાનંદજી મહારાજની વીર આરતી કરવામાં આવી હતી. તેમજ શસ્ત્ર આરતી બાદ ઉપસ્થિત તમામ ભક્તજનો માટે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ પવિત્ર પ્રસંગે સંસ્થાના હિતેચ્છુઓ ચીખલીથી હરીશભાઈ તથા તેમનો પરિવાર, ભરતભાઈ કાપડિયા, નીતાબેન અને પ્રજ્ઞાબેન ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગણદેવીથી ચંદ્રકાંત કાપડિયાએ પણ હાજરી આપી હતી.
ગુરુપૂર્ણિમાના પાવન અવસરે શાળા પરિવારના તમામ શિક્ષકો, હોસ્ટેલના ગૃહપતિ તેમજ સંસ્થાના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી નિમિષ વ્યાસ સાહેબે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમમાં શાળાના ડાયરેક્ટર કિશોરભાઈ, કેમ્પસ ડાયરેક્ટર ભાવેશભાઈ પટેલ, સંસ્થાના રાજુભાઈ તથા આશ્રમ સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ ભક્તિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો અને ગુરુ પ્રત્યેની શ્રદ્ધા તથા આસ્થાનો સુંદર સંદેશ આપ્યો હતો.

