શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
વ્યારાના વિધવા બહેનની આર્થિક સહાય એક જ દિવસમાં મંજૂર કરતા તાપી કલેકટર એચ.કે.વઢવાણિયા:
તાપી જિલ્લા વહીવટી તંત્રની પહેલઃ
કલેકટરશ્રીએ અરજદાર બહેન પ્રત્યે લાગણીશીલ અભિગમ અપનાવી ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના અને રાષ્ટ્રિય કુટુંબ સહાય યોજના તાત્કાલિક મંજૂર કરાવી વિધવા બહેનને સરકારશ્રીના યોજનાકીય લાભો અર્પણ કર્યા.
માહિતી બ્યુરો, વ્યારા-તાપી ૦૩: ‘સંકટ સમયમાં સાથે રહે તે સરકાર’ એમ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કાર્યશૈલી રહી છે. સામાન્ય માણસને પડતી મુશ્કેલીઓથી જિલ્લા વહીવટીતંત્ર પરિચિત છે. અને આવા લોકોનું જીવન સુખમય બનાવવા તાપી કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયા સતત ચિંતિત છે. સરળ અને નિખાલસ સ્વભાવ ધરાવતા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયા પાસે ભસ્તી ફળિયા-વ્યારાના વિધવા અરજદાર લીલાબેન રતિલાલભાઈ ગામીત મળવા આવ્યા.અને તેમણે કહ્યું કે હું વિધવા નિઃસહાય છું. તમે મને કેવી રીતે મદદ કરી શકો? સરકારની યોજનાઓનો લાભ મને કેવી રીતે મળી શકે. મને સરકારના કેવા લાભો મળે તેની કંઈજ ખબર નથી.
અરજદાર બહેનની વાતો સાંભળી કલેકટરશ્રી વઢવાણિયાએ સંવેદનાસભર ત્વરિત પગલા લ્ઈને તાત્કાલિક સરકારની યોજનાઓની જાણકારી આપી વિધવા બહેનને ચિંતામુક્ત કરવા આશ્વાસન આપ્યું. તેમણે તુરંત ચીટનીશશ્રી બી.બી.ભાવસારને સૂચના આપી ‘વ્યથા નહીં વ્યવસ્થા’ના અભિગમ સાથે વિધવા લીલાબહેનને મળવાપાત્ર ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના અને રાષ્ટ્રિય કુટુંબ સહાય યોજનાનાની સત્વરે કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું. ચીટનીશ ભાવસારે લીલાબહેનનું તાત્કાલિક બેંક એકાઉન્ટ ખોલાવી તમામ કાર્યવાહી પૂર્ણ કરતા વ્યારા મામલતદારશ્રી દિપક સોનાવાલા અને તેમના સ્ટાફે આ બહેનને ઝડપી લાભ મળે તે માટે સંવેદનશીલ અભિગમ અપનાવી એક જ દિવસમાં સહાય મંજૂર કરી.
ગંગાસ્વરૂપા યોજના હેઠળ નિરાધાર વિધવા બહેનોને સમાજમાં સન્માનભેર જીવન વ્યતીત કરી શકે તે માટે આ યોજના થકી સરકાર દ્વારા આર્થિક મદદ કરવામાં આવે છે. આ યોજનામાં ‘ગંગા સ્વરૂપા બહેનો’ને માસિક રૂ.૧૨૫૦/- વિધવા પેન્શન રૂપે તેઓના બેંક કે પોસ્ટ ખાતામા ડી.બી.ટી (ડાયરેક્ટ બેનીફિટ ટ્રાન્સફર) મારફતે સીધા જમાં કરવામાં આવે છે.
રાષ્ટ્રિય કુટુંબ સહાય યોજનામાં ગરીબી રેખા નીચે જીવતા અને જે અરજદારનાં કુટુંબની આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૧,૨૦,૦૦૦/- અંકે રૂપીયા એક લાખ વીસ હજાર પુરા હોય તથા શહેરી વિસ્તારમા રૂ ૧,૫૦,૦૦૦/ – અંકે રૂપીયા એક લાખ પચાસ હજાર પુરા હોય માંદગીનાં કારણોસર યા અકસ્માતે કુટુંબની કમાનાર વ્યકિત મૃત્યુ પામી હોય તેવા કિસ્સામાં રૂ.૨૦,૦૦૦/- અંકે રૂપીયા વીસ હજાર પુરાની સહાય મંજુર કરી ચુકવવાની જોગવાઈ છે.
આજરોજ કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાના વરદ્ હસ્તે વિધવા બહેનને માસિક વિધવા પેન્શન રૂા.૧૨૫૦/- તેમજ પતિના અકસ્માતે મોતના કિસ્સામાં રૂા.૨૦,૦૦૦/- ના મંજૂરીપત્ર યોજનાકીય લાભો અર્પણ કરાયા. આ વેળા લીલાબહેનના મુખ ઉપર હર્ષના અશ્રુ આવી ગયા હતા.
ગુજરાત સરકારનો હેતુ સરળ,સહજ પરંતુ મક્કમ અને લોકાભિમુખ વહીવટ આપવાનો છે. આવો સરાહનિય અભિગમ તાપી જિલ્લા વહીવટીતંત્રની કાર્ય પધ્ધતિમાં જોવા મળી રહ્યો છે.