Site icon Gramin Today

બણબા ડુંગર પર્યાવરણ પ્રવાસન કેન્દ્ર લોકડાઉન બાદ ફરી ખુલ્લું મુકાયું : આ વર્ષે દશેરાના દિવસે નહીં યોજાય મેળો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ, સુરત નલિન ચૌધરી

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ રેન્જમાં આવતા બણબા ડુંગરને ૧૮ ઓક્ટોબરના રોજ લોકડાઉન બાદ ફરીથી ખુલ્લો મુકવામાં આવ્યો છે. માંગરોળ તાલુકાના રટોટી, ઓગણીસા અને સણધરા ગામની હદમાં બણબો ડુંગર આવેલો છે. આ ડુંગર પર બણબાદેવનું મંદિર બનાવવામાં આવ્યું છે.આજુબાજુના ગામના ખેડૂતો અહીયાં ખેતરનો પ્રથમ પાક ચડાવવા આવતા હોય છે. ત્યારબાદ જે તે પાકને ઉપયોગમાં લેતા હોય છે.

પરંતુ રાજ્યમાં કોરોનાનો કહેર વધતા પર્યાવરણ પ્રવાસન કેન્દ્ર બંધ કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરાયો હતો, પરંતુ હાલ નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે હજારોની સંખ્યામાં લોકો અહીંયા દર્શન માટે આવતા હોય છે. સ્થાનિક લોકો દ્વારા અને રટોટી ગામના સરપંચશ્રી પ્રકાશભાઈ ગામીત દ્વારા બણબા ડુંગર પ્રવાસન કેન્દ્રને ખોલવા માટે માંગ કરાઈ હતી.

૧૮ ઓક્ટોબરના રોજ લોકડાઉન પછી તેને ફરી ખુલ્લો મુકાતા આજુબાજુના ગામોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી.દર વર્ષે નવરાત્રી ઉપર દશેરાના દિવસે અહીં મેળો ભરાતો હોય છે.અનેક લોકો આજુબાજુના ગામોમાંથી અહીં લોકો આવતા હોય છે.ત્યારે આ વખતે પણ દર્શન માટે જ બણબા ડુંગર ખુલ્લુ મુકાશે પરંતુ પરિસરના કેન્દ્રનાં બગીચામાં પ્રવેશ નહીં અપાશે. દર્શનાર્થીઓને સીધા ડુંગર ઉપર જ દર્શન કરવા જવાનું રહેશે.આ સાથે દરેક વ્યક્તિએ માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે.કોરોનાનાં સંક્રમણનાં કારણે દર વર્ષની જેમ આ વર્ષે દશેરાના દિવસે મેળો નહીં ભરાય તેવું જણાવવામાં આવ્યું છે.

Exit mobile version