શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
ડાંગ જિલ્લામા “કોરોના સંક્રમણ” ની સ્થિતિને ધ્યાને લેતા “શિવરાત્રી”ના મેળા સહીત હોળીના ભુરકુંડિયા બજારો અને “ડાંગ દરબાર”મા બહારના વેપારીઓ ભાગ નહિ લઇ શકે ;
શિવમંદિરોમા ફક્ત સ્થાનિક શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે:
આંતરરાજ્ય સરહદે ચેકપોસ્ટ ઉપર રખાવામાં આવશે ચાંપતી નજર, બીનજરુરી અવરજવર ઉપર રોક લગાવાશે ;
આહવા: તા: ૧૦: આંતર રાજ્ય સરહદને અડીને આવેલા ડાંગ જિલ્લામા “કોરોના સંક્રમણ” ની સાંપ્રત સ્થિતિને ધ્યાને લેતા “શિવરાત્રી” સહીત હોળી પૂર્વે ભરાતા હાટ/બજારો કે જેને સ્થાનિક લોકો “ભૂરકુંડિયા” બજાર તરીકે ઓળખે છે, તેમા ડાંગ બહારના વેપારીઓના ભાગ લેવા ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે. ગુજરાત સહીત પાડોશી મહારાષ્ટ્રમા ફરીથી “કોરોના” ની સ્થિતિ વકરી રહી હોવાને કારણે, તથા આજદિન સુધી “કોરોના” થી મહદઅંશે સલામત રહેલા ડાંગ જિલ્લાના પ્રજાજનોના જાહેર સ્વાસ્થ્ય, અને સલામતી જાળવવા માટે અગમચેતીના ભાગરૂપે જરૂરી એવી જિલ્લા પ્રશાસનની આ કાર્યવાહીમા, સૌને પરસ્પર સંકલન સાથે સહયોગ આપવાની હિમાયત ડાંગ કલેકટર શ્રી એન.કે.ડામોરે કરી છે. જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી એક તાકીદની બેઠકમા ડાંગ જિલ્લાના ધાર્મિક તથા સામાજિક અગ્રણીઓ સાથે ચર્ચા કરતા કલેકટરશ્રીએ, ડાંગ જિલ્લાના મોટાભાગના પરિવારો શ્રમજીવી પરિવારો છે તેમ જણાવી, આવા આર્થિક સંકડામણ વચ્ચે જીવન નિર્વાહ કરતા પ્રજાજનો ને “કોરોના” ના કેરથી બચાવી શકાય, અને સીમિત સેવાઓને કારણે જરૂરિયાતમંદ દર્દીઓ “કોરોના”ના કહેરનો ભોગ ન બને, તે માટે “સાવચેતી એ જ સલામતી” એકમાત્ર તરણોપાય છે તેમ જણાવ્યુ હતુ. રાજ્ય સમસ્તમા જુનાગઢના મેળા સહિતના પ્રસિદ્ધ મેળાઓ “કોરોના સંક્રમણ” ના ભયના ઓથાર હેઠળ બંધ છે, ત્યારે ડાંગ જિલ્લામા પણ “શિવરાત્રી”ના તમામ મેળાઓ બંધ રાખવા, અને શિવમંદિરોમા ફક્ત સ્થાનિક શ્રદ્ધાળુઓ જ, નિયત માર્ગદર્શિકાઓના પાલન સાથે પૂજાઅર્ચન અને દર્શન કરી શકે તે સુનિશ્ચિત કરવાની અપીલ કરતા કલેક્ટરશ્રી ડામોરે, ડાંગ જિલ્લાના પ્રસિદ્ધ શિવ મંદિરો બીલમાલ, બરમ્યાવડ, માયાદેવી, અટાળાધામ, દેવીનામાળ, ખાતળ, ચિંચલી, ઘોઘલી, સુન્દા, બોરખેત, બોરખલ, શબરીધામ અને પમ્પા સરોવર, સહીત આહવાના વિવિધ શિવ મંદિરોમા માત્ર દર્શનાર્થીઓ જ ભાગ લે તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની તાકીદ કરી હતી.
“કોરોના” સામે એપેડેમીક એકટ સહિતના વિવિધ પ્રતિબંધિત હુકમો, જાહેરનામાઓ જિલ્લામા લાગુ કરાયા છે તે ધ્યાને લઈને જાહેર સ્વાસ્થ્ય અને સુખાકારી માટે જિલ્લા વહીવટી તંત્રના આ કાર્યમા સહયોગ આપવાની અપીલ કરતા ડાંગના પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજાએ, ધાર્મિક સંસ્થાઓના સંચાલકોને આ બાબતે વિશેષ કાળજી દાખવવાની અપીલ કરી હતી. જિલ્લાની સરહદી ચેકપોસ્ટ સહીત દરેક એન્ટ્રી પોઈન્ટ ઉપર પોલીસ અને આરોગ્ય વિભાગનુ સંયુક્ત ચેકિંગ અભિયાન હાથ ધરવામા આવશે, તેમ જણાવતા શ્રી જાડેજાએ હોળી પૂર્વેના ગ્રામીણ હાટ/બજારોમા પણ બહારના વેપારીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે તેમ જણાવ્યુ હતુ. સદર બેઠકમા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણીયા સહીત નાયબ વન સંરક્ષક શ્રી અગ્નીશ્વર વ્યાસે પણ ઉપયોગી માર્ગદર્શન પૂરૂ પાડ્યુ હતુ.