Site icon Gramin Today

ખેડૂત દિવસની ઉજવણી અંતર્ગત નર્મદા જિલ્લા બાગાયત વિભાગ દ્વારા ખેડૂત શિબિર યોજાઈ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ , 24×7 વેબ પોર્ટલ 

દેડીયાપાડા ખાતે ખેડૂત દિવસની ઉજવણી અંતર્ગત નર્મદા જિલ્લા બાગાયત વિભાગ દ્વારા ખેડૂત શિબિર યોજાઈ;

દેડીયાપાડાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે આયોજિત ખેડૂત શિબિરમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા;

દેડીયાપાડા: આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ખેડૂત દિવસની ઉજવણીના ભાગરૂપે આજ રોજ નર્મદા જિલ્લા બાગાયત વિભાગ દ્વારા દેડીયાપાડા નાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિવિધ કૃષિ નિષ્ણાંતોએ ઉપસ્થિત રહી ખેડૂતોને નવી ખેતી પધ્ધતિ વિશે જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

              ગુજરાત રાજ્યના બાગાયત વિભાગ દ્વારા તા.૨૩/૧૨/૨૦૨૨ ને શુક્રવારના રોજ ખેડૂત દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું જેના ભાગરૂપે નર્મદા જિલ્લા બાગાયત વિભાગ દ્વારા દેડિયાપાડા તાલુકામાં ખેડૂત શિબિર યોજાઇ હતી. આ કાર્યક્રમ અંતર્ગત બાગાયત નિયામકશ્રી ડૉ.પી.એમ.વઘાસીયા અને સંયુક્ત બાગાયત નિયામકશ્રી ડૉ.બી.પી.રાઠોડ દ્વારા ગુગલ લાઇવ મીટ ઓનલાઇન પ્લેટફોર્મથી જોડાઇને પોષણ, ફુડસિક્યોરિટી, કિચન ગાર્ડન, બાગાયતી યોજના વિશે ખેડુતોને માર્ગદર્શન પુરુ પાડ્યું હતુ.

નર્મદા જિલ્લામાં આ કાર્યક્રમ અંતર્ગત દેડિયાપાડા તાલુકાના કે.વી.કે. દેડીયાપાડા ખાતે ખેડૂત શિબિર યોજાઇ હતી. 

   દેડીયાપાડા તાલુકાના કે.વી.કે. દેડીયાપાડા ખાતે યોજાયેલી ખેડૂત શિબિરમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં નર્મદા જિલ્લાના મદદનીશ બાગાયત નિયામકશ્રી જીગરભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં બાગાયત વિભાગની ખેડુતલક્ષી યોજનાઓ વિશે વિસ્તારપૂર્વક માહિતી પુરી પાડી હતી. તો કે.વી.કે. દેડિયાપાડાના વડા અને મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. પી.ડી.વર્માએ વિસ્તારને અનુરૂપ બાગાયતી ખેતી વિશે માહિતી આપીને કે.વી.કે નો મહત્તમ લાભ લેવા ખેડુતોને અપીલ કરી હતી. આ શિબિરમાં ડૉ.મીનાક્ષી તિવારીએ મહિલા તાલીમ, કિચન ગાર્ડન-ઈનડોર ગાર્ડન જેવી બાબતો વિશે જાણકારી આપી હતી અને શ્રી નિખીલભાઇએ હવામાન વિશેની વિસ્તૃત માહિતી આપી હતી. આ શિબિરમાં હાજર રહેલા પ્રગતિશીલ ખેડૂત શ્રી કરમસિંગભાઇ વસાવા અને શ્રી મનિષભાઇ ભગતે શાકભાજી, તરબુચ, ટેટી સહિત અન્ય પાકોની પ્રાકૃત્તિક ખેતી પધ્ધતિ વિશે જરૂરી માહિતી પુરી પાડી હતી. જ્યારે ડૉ.પોશીયાએ બાગાયતી ખેતી, પ્રાકૃતિક ખેતી, વાતાવરણ વગેરેની જાણકારી આપી હતી. શ્રી રમેશભાઇ વસાવાએ બાગાયતદાર ખેડુતના અનુભવ, પ્લગ નર્સરી વિશે ખેડુતોને માહિતી પુરી પાડી હતી.

રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા 

Exit mobile version